મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલનો તાજ વિવાદ: રેચલ ગુપ્તાની હકીકત

જલંધરની રેચલ ગુપ્તાએ મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ 2024નો તાજ જીતીને ઇતિહાસ રચ્યો હતો. પરંતુ હવે તાજ જીત્યાના લગભગ એક વર્ષ પછી, તેની પાસેથી આ ખિતાબ પાછો છીનવી લેવામાં આવ્યો છે.
આ વાતની જાહેરાત સૌંદર્ય સ્પર્ધાના આયોજકો દ્વારા કરવામાં આવી છે. જોકે, રેચલ ગુપ્તાનો દાવો છે કે તેણે પોતે ભારે હૃદય સાથે આ નિર્ણય લીધો છે. રેચલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે સૌંદર્ય સ્પર્ધાના ઝેરી વાતાવરણને કારણે તાજ પરત કરવાનું કહ્યું છે. રેચલ ગુપ્તાએ તેની પોસ્ટમાં દિલગીરી વ્યક્ત કરતા દુનિયાભરના સમર્થકોનો આભાર માન્યો.
તેણે પોતાના નિર્ણયને કપરો પણ જરૂરી જણાવ્યો. રેચલે જણાવ્યું કે સત્ય ટૂંક સમયમાં બધા સમક્ષ જાહેર થશે. તેણે આગળ લખ્યું, ‘તાજ પહેરવો એ મારા જીવનના સૌથી સુંદર સપનાઓમાંનું એક હતું, અને હું આશા અને ગર્વથી ભરેલી હતી કે હું મારા દેશનું પ્રતિનિધિત્વ કરીશ અને ઇતિહાસ રચીશ.
આપણ વાંચો: રશેલ ગુપ્તાએ રચ્યો ઈતિહાસ, પહેલી ભારતીય મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલ 2024ની વિજેતા બની
પરંતુ તાજ પહેરવાના પછીના મહિનાઓમાં મારો અનુભવ તૂટેલી અપેક્ષાઓ, દુર્વ્યવહાર અને ઝેરી વાતાવરણનો રહ્યો છે જેને હું હવે શાંતિથી સહન કરી શકતી નથી.
મેં આ નિર્ણય ઉતાવળમાં લીધો નથી. આગામી દિવસોમાં હું એક વીડિયો શેર કરીશ, જેમાં હું આ મુશ્કેલ મુસાફરી પાછળની બધી બાબતો જણાવીશ. હવે આગળનું પગલું ભરતી વખતે હું તમારી પાસે દયા, ખુલ્લા દિલે સમર્થનની વિનંતી કરું છું. તમારો પ્રેમ મારા માટે મારી કલ્પના કરતાં પણ વધુ મહત્વનો છે.
રેચલ ગુપ્તાએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો, પરંતુ આયોજકોનું કંઈક બીજું કહેવું છે. સૌંદર્ય સ્પર્ધાનું કહેવું છે કે તેમણે પોતે જ રેચલને આ પદ પરથી દૂર કરી છે. હવે તે આ પદનો ઉપયોગ કરવા માટે હકદાર નથી.
સત્તાવાર જાહેરાત કરીને મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશને સ્પષ્ટતા કરી કે તેઓ આજથી મિસ રેચલ ગુપ્તાને પદ પરથી હટાવી રહ્યા છે. તેમને સોંપાયેલ ફરજો નિભાવવામાં નિષ્ફળતા, સંસ્થાની પૂર્વ પરવાનગી વિના બહારના પ્રોજેક્ટ્સમાં સામેલ થવું અને ગ્વાટેમાલાની નિર્ધારિત યાત્રામાં ભાગ લેવાનો ઇનકાર કરવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સંગઠને તાત્કાલિક અસરથી તેમનું બિરુદ રદ કરવાનો નિર્ણય લીધો છે. મિસ રેચલ ગુપ્તા હવે આ ખિતાબનો ઉપયોગ કરવા અથવા મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ 2024 તરીકે તાજ પહેરવા માટે લાયક નથી.