હાઉસફૂલ 5ના ટ્રેલર લોન્ચ પર અક્ષય કુમારે પરેશ રાવલ માટે કહ્યું કે હું કોઈ મૂર્ખ…

ફિલ્મ હેરાફેરીની સિક્વલ હેરાફેરી-3ને લઈને થઈ રહેલો વિવાદ વધુને વધુ વકરતો જઈ રહ્યો છે. આ ફિલ્મને કારણે બોલીવૂડના મિસ્ટર ખિલાડી અક્ષય કુમાર અને દિગ્ગજ કલાકાર પરેશ રાવલ વચ્ચેનું અંતર વધી રહ્યું છે અને એની સાથે સાથે જ મામલો કોર્ટ સુધી પહોંચી ગયો છે. હાલમાં અક્ષય કુમારની ફિલ્મ હાઉસફૂલ-5નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું, જ્યાં અભિનેતાએ આ મામલે અત્યાર સુધી સેવેલું મૌન તોડ્યું છે. જોકે, અક્ષયે સ્પષ્ટ તો કંઈ કહ્યું નથી પણ એટલી હિન્ટ ચોક્કસ આપી છે કે મામલો ખૂબ જ ગંભીર બની ચૂક્યો છે.
અક્ષય કુમારે આ સમયે પોતાની વાતોથી સ્પષ્ટ કર્યું હતું કે પરેશ રાવલ સાથે થયેલી અણબનાવનું સમાધાન કોર્ટ પાસેથી મળી શકે એમ છે. હવે આ વાતો પરથી ખ્યાલ તો આવી જ ગયો હશે ને કે આ મામલે વાતચીતનો કોઈ સ્કોપ જ નથી. જોકે, આ સમયે તેના ચહેરા પર દુઃખ દેખાઈ રહ્યું હતું. અક્ષયે પોતાના આ ગેસ્ચર પરથી સ્પષ્ટ કરી દીધું છે કે ગમે એટલા મતભેદ છતાં પણ પરેશ રાવલની વિરુદ્ધમાં કોઈ પણ ખોટી વાત સાંભળવાનું પસંદ નહીં કરે.
આ પણ વાંચો: હું બ્લ્યુપ્રિન્ટ છું, ડુપ્લિકેટ નહીંઃ ઉર્વશી રાઉતૈલા કઈ વાતે ભડકી
ટ્રેલર લોન્ચ સમયે અક્ષયે જણાવ્યું હતું કે હું મારા કો-સ્ટાર માટે કોઈ પણ મૂર્ખામીભર્યા શબ્દોની આશા નથી રાખતો કે ન તો પસંદ કરું છું. મેં એમની સાથે 32 વર્ષથી કામ કર્યું છે. અમે ખૂબ જ સારા મિત્રો છીએ. તેઓ સારા કલાકાર છે અને હું એમને ખૂબ જ પસંદ પણ કરું છે. જે કંઈ પણ થયું છે હું નથી ઈચ્છતો કે એ વિશે અહીંયા વાત થવી જોઈએ. જે પણ થયું એ ખૂબ જ સિરીયસ મેટર છે અને એને કોર્ટમાં જ હેન્ડલ કરવી જોઈએ. એ જ સાચી જગ્યા છે તો મને નથી લાગતું કે મારે આ વિશે કંઈ પણ કહેવું જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે પરેશે હેરાફેરી-3માંથી પ્રોમો શૂટ થયા બાદ એક્ઝિટ લઈ લીધી હતી. તેઓ સાઈનિંગ એમાઉન્ટ લઈ ચૂક્યા હતા. એવું કહેવાઈ રહ્યું છે કે તેઓ 25 કરોડ રૂપિયાની ફી અને ફિલ્મના પ્રોફિટમાં શેયરિંગમાં ભાગ ઈચ્છતા હતા. પરંતુ તેમની માંગણી પૂરી નહીં કરવામાં આવી. ત્યાર બાદ અક્ષય કુમારે તેમના પર 25 કરોડ રૂપિયાનો દાવો માંડ્યો હતો.
એક્ટરના જણાવ્યા અનુસાર પરેશ રાવલે જાણ કર્યા વિના ફિલ્મમાંથી એક્ઝિટ લઈ લેતા મોટું નુકસાન થયું છે. ડિરેક્ટર પ્રિયદર્શને પણ જણાવ્યું હતું કે પરેશ રાવલની એક્ઝિટબાદ અક્ષય કુમાર ખૂબ જ ઈમોશનલ થઈ ગયો હતો અને તેની આંખોમાં આંસુ આવી ગયા હતા.
આ પણ વાંચો: શર્ટલેસ સોનૂ સૂદનો વીડિયો વાયરલ થયો, બાઈક રાઈડિંગ કરતો એક્ટર આ કારણે ફસાયો
મળતી માહિતી મુજબ પરેશ રાવલે ફિલ્મ છોડવાની માહિતી ટીમને નહોતી આપી અને એક સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને આની જાહેરાત કરી હતી. મામલો કોર્ટ સુધી પહોંચતા પરેશ રાવલે કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નહોતું આપ્યું અને એક પોસ્ટ શેર કરીને માત્ર એટલું કહ્યું હતું કે મારા વકીલ અમિત નાઈકે ફિલ્મ છોડવા અંગેનો મારો જવાબ આપ્યો છે. એક વખત મારો જવાબ વાંચી લેશો તો મારા મુદ્દા સમજાઈ હશે.
હવે પરેશ રાવલ અને અક્ષય કુમાર વચ્ચે પડેલી આ ખાઈ ક્યારે પૂરાશે એ તો બંને એક્ટર્સ જ કહી શકશે. ત્યાં સુધી એવું કહેવું જરાય ખોટું નહીં ગણાય કે ફિલ્મ હેરાફેરી 3 પર હાલ તો પડદો પડી ચૂક્યો છે. ફેન્સ પણ આ વાતથી ખૂબ જ નિરાશ થયા હતા.