મહારાષ્ટ્ર

‘શાળાર્થ આઇડી’ કૌભાંડ: પ્રક્રિયાનું પાલન કર્યા વિના 500થી વધુ શિક્ષકની ભરતી, રકમ 100 કરોડ રૂપિયાને પાર જઇ શકે છે: એસઆઇટી

નાગપુર: રાજ્યમાં ‘શાળાર્થ આઇડી’ કૌભાંડની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ને જાણવા મળ્યું હતું કે યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વિના 500થી વધુ શિક્ષકની ભરતી કરવામાં આવી હતી, એમ વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું.

શાળાર્થ એ મહારાષ્ટ્ર સરકારનું સેન્ટ્રલાઇઝ્ડ પોર્ટલ છે, જે સરકારી તેમ જ સરકાર-અનુદાનિત શાળાઓના શિક્ષકો સહિત કર્મચારીઓના પગાર તથા સર્વિસનો રેકોર્ડ રાખે છે. શાળાર્થ આઇડી દરેક શિક્ષકોના ઓળખ નંબર દર્શાવે છે.

એસઆઇટીને જાણવા મળ્યું હતું કે નિયુક્ત કરાયેલા 622 શિક્ષકમાંથી માત્ર 75ની ભરતી યોગ્ય પ્રક્રિયા દ્વારા કરવામાં આવી હતી. બાકીના 547 શિક્ષકની નિયુક્તિ 20-30 લાખ રૂપિયા ચૂકવ્યા બાદ બોગસ આઇડીનો ઉપયોગ કરીને કરવામાં આવી હતી. આનો અર્થ એ થયો કે કૌભાંડ 100 કરોડ રૂપિયાથી વધુનું હોઇ શકે છે.

આ પણ વાંચો: ભિવંડીમાં બે શિક્ષક 60 હજાર રૂપિયાની લાંચ લેતા પકડાયા

એસઆઇટીનાં ઇન્ચાર્જ અને આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સુનિતા મેશ્રામે જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગમાં ડેપ્યુટી ડિરેક્ટરો ઉપરાંત તપાસ હવે શિક્ષણ અધિકારીઓ અને શિક્ષકો પર કેન્દ્રિત છે. આ કેસમાં વધુ લોકોની ધરપકડ થઇ શકે છે.

અધિકારીએ જણાવ્યું હતું કે નિવૃત્ત ડેપ્યુટી ડિરેક્ટર સતીષ મેંઢેની સંડોવણી બદલ તેની ધરપકડ કરવા માટે ટીમ શુક્રવારે ભંડારા ગઇ હતી, પણ તે ઘરે મળી આવ્યો નહોતો.

નાગપુરમાં શાળાર્થ પોર્ટલ દ્વારા પગાર આપવા માટે નકલી ઓળખનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો તેની તપાસ કરવા એપ્રિલમાં એસઆઇટીની રચના કરવામાં આવી હતી. આ કેસમાં અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button