
નવી દિલ્હી : ભારતના સતત વધતાં આર્થિક વિકાસના પગલે અર્થતંત્રમાં મજબૂતી આવી છે. જેના પગલે ભારત જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે. નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી બીવીઆર સુબ્રમણ્યમે શનિવારે આ માહિતી આપી. નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની 10મી બેઠક બાદ તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે એકંદરે વૈશ્વિક અને આર્થિક વાતાવરણ ભારત માટે અનુકૂળ છે. તેમણે કહ્યું વિશ્વમાં ભારત આજે ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ભારત 4,000 અબજ ડોલરની અર્થવ્યવસ્થા છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના ડેટાને ટાંકીને સુબ્રમણ્યમે કહ્યું કે આજે ભારતનું અર્થતંત્ર જાપાન કરતા મોટું છે.
અઢીથી ત્રણ વર્ષમાં આપણે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીશું
તેમણે કહ્યું આપણે ફક્ત અમેરિકા, ચીન અને જર્મની ભારત કરતા મોટા છે અને જો આપણે આપણી યોજના અને વિચારસરણી પર અડગ રહીશું તો અઢીથી ત્રણ વર્ષમાં આપણે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીશું. આઇફોન નિર્માતા કંપની એપલ પર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદન અંગેના પ્રશ્નના જવાબમાં સુબ્રમણ્યમે કહ્યું, ટેરિફ દર શું હશે તે અનિશ્ચિત છે. પરંતુ જે રીતે વસ્તુઓ બદલાઈ રહી છે. તેનાથી આપણે ઉત્પાદન માટે સસ્તી જગ્યા બનીશું. ટ્રમ્પે કહ્યું હતું કે તેમને આશા છે કે અમેરિકામાં વેચાતા એપલ આઈફોનનું ઉત્પાદન ભારતમાં કે બીજે ક્યાંય નહીં પણ અમેરિકામાં થશે. નીતિ આયોગના સીઈઓએ એમ પણ કહ્યું કે સંપત્તિના મુદ્રીકરણનો બીજો તબક્કો તૈયાર કરવામાં આવી રહ્યો છે અને ઓગસ્ટમાં તેની જાહેરાત કરવામાં આવશે.
જીડીપી વૃદ્ધિ દર 6.8 ટકા રહેવાનું અનુમાન
નાણાકીય વર્ષ 2025ના ચોથા ક્વાર્ટરમાં દેશનો જીડીપી વૃદ્ધિ દર 6.8 ટકા રહી શકે છે. આનો અર્થ એ થયો કે આ સમયગાળા દરમિયાન દેશની અર્થવ્યવસ્થામાં ઝડપથી વૃદ્ધિ થઈ છે. આ વધારા પાછળનું કારણ કૃષિ, હોટલ, પરિવહન અને બાંધકામ જેવા ક્ષેત્રોનું મજબૂત પ્રદર્શન છે. કેરએજ રેટિંગ્સ નામની સંસ્થાના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. આ અહેવાલ મુજબ ગ્રામીણ વિસ્તારમાં લોકોની ખરીદી વધી છે. જેના કારણે વપરાશમાં વધારો થયો છે. જોકે શહેરી વિસ્તારોમાં ખરીદીનો ટ્રેન્ડ મિશ્ર રહ્યો છે.