અમદાવાદથી ભીલવાડા જતી બસ પલટીઃ ત્રણનાં મોત, 20 થી વધુ ઘાયલ…

અમદાવાદઃ શહેરથી ભીલવાડા જતી એક ખાનગી બસ રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં પલટી ખાઈ જતાં ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાં બેની હાલત અતિ ગંભીર છે. પ્રારંભિક માહિતી મુજબ ડ્રાઈવરને ઝોકું આવી જતાં બસ બેકાબૂ બની હતી અને અચાનક પલટી ખાઈ ગઈ હતી. પોલીસે ખાનગી બસ કંપની અને ડ્રાઈવર વિરૂદ્ધ બેદરકારીનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મોતનો આંકડો વધવાની આશંકા
શનિવારે વહેલી સવારે 8.30 વાગ્યે રાજસમંદના કાંકરોલીમાં આ અકસ્માત સર્જાયો હતો. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં બેની હાલત અતિ ગંભીર બનતાં ઉદયપુર ખસેડવામાં આવ્યા હતા. અન્ય ઘાયલોની સારવાર ચાલી રહી છે. સ્થાનિક પોલીસ અને પ્રશાસને ત્વરિત બચાવ કામગીરી શરૂ કરી હતી. મૃતકોની ઓળખ હજી થઈ નથી. ઘણા ઈજાગ્રસ્તોને ગંભીર ઈજા થતાં મોતનો આંકડો વધવાની આશંકા છે.
બસ ફૂલ સ્પીડે જઈ રહી હતીઃ સ્થાનિક
સ્થાનિકોના જણાવ્યા મુજબ બસ ફૂલ સ્પીડે જઈ રહી હતી. અચાનક બસ ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં બસ રસ્તા પરથી ઊતરી પલટી ખાઈ ખાડામાં પડી ગઈ હતી. અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો અને પોલીસે તુરંત બચાવ કામગીરી હાથ ધરી હતી. ઉબડ-ખાબડવાળો રસ્તો અને ડ્રાઈવરની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ 16મી એપ્રિલે રાજસમંદના દેલવાડામાં આવેલા મજેરા ગામ નજીકના નેશનલ હાઈવે પર પણ અકસ્માત સર્જાયો હતો. જેમાં 37 લોકો ઘાયલ થયા હતાં.