ગઈ કાલે CBIએ ચાર્જશીટ દાખલ કરી, આજે સત્યપાલ મલિક હોસ્પિટલમાં દાખલ

નવી દિલ્હી: ગઈ કાલે ગુરુવારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (CBI)એ કિરુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સાથે જીડાયેલા ભ્રષ્ટાચારના કેસ મામલે 6 લોકો વિરુદ્ધ સત્તાવાર રીતે ચાર્જશીટ દાખલ કરી, જેમાં જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ માલિક(Satya Pal Malik)નું નામ પણ સામેલ છે. એવામાં અવેહાલ છે સત્યપાલ મલિકની તબિયત લથડી છે.
સત્યપાલ મલિકે સોશિયલ મીડિયા પર માહિતી આપી કે તેઓ હોસ્પિટલમાં દાખલ છે અને તેમની હાલત ખૂબ જ ખરાબ છે.
સત્યપાલ મલિકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં તેઓ હોસ્પિટલના બેડ સુતેલા જોવા જોવા મળે છે.
આ ફોટો સાથે તેમણે લખ્યું, “મને મારા ઘણા શુભેચ્છકોના ફોન આવી રહ્યા છે જે હું રિસીવ કરી શકતો નથી. મારી હાલત હાલમાં ખૂબ જ ખરાબ છે. હું હાલમાં હોસ્પિટલમાં દાખલ છું અને કોઈની સાથે વાત કરવાની સ્થિતિમાં નથી.”
CBIની ચાર્જશીટ:
ઉલ્લેખનીય છે કે, CBIએ કિરુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં 2,200 કરોડ રૂપિયાના સિવિલ વર્ક્સ કોન્ટ્રાક્ટમાં કથિત ભ્રષ્ટાચારના સંદર્ભમાં સત્ય પાલ મલિક અને અન્ય પાંચ લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. ત્રણ વર્ષની તપાસ બાદ એજન્સીએ સ્પેશિયલ કોર્ટ સમક્ષ ચાર્જશીટ દાખલ કરી, જેમાં મલિક અને અન્ય પાંચ લોકોને આરોપી તરીકે નામ આપવામાં આવ્યા.
શું છે મામલો?
આ કેસની તપાસના સંદર્ભમાં ગયા વર્ષે ફેબ્રુઆરીમાં CBIએ મલિક અને અન્ય લોકોના પરિસરમાં દરોડા પાડ્યા હતા. મલિક 23 ઓગસ્ટ 2018 થી 30 ઓક્ટોબર 2019 સુધી જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ રહ્યા હતા. મલિકે દાવો કર્યો હતો કે તેમને બે ફાઇલો ક્લિયર કરવા માટે 300 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી, જેમાં એક પ્રોજેક્ટ સંબંધિત હતી.
ગયા વર્ષે એજન્સી દ્વારા દરોડા પાડવામાં આવ્યા બાદ સત્યપાલ મલિકે તેમના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોને નકારી કાઢ્યા હતા. મલિકે કહ્યું હતું કે જે લોકો વિશે તેમણે ફરિયાદ કરી હતી અને જેઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હતા તેમની તપાસ કરવાને બદલે, CBIએ તેમના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા.
સત્યપાલ માલિકે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, “તેમને (CBI અધિકારીઓને) ચારથી પાંચ કુર્તા અને પાયજામા સિવાય કંઈ નહીં મળે. સરમુખત્યાર સરકાર એજન્સીઓનો દુરુપયોગ કરીને મને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે. હું ખેડૂતનો દીકરો છું, હું ન તો ડરીશ કે ન તો ઝૂકીશ.”