મહારાષ્ટ્ર

સોના-ચાંદીની દાણચોરીના કેસમાં નાશિકના જ્વેલર્સ સહિત બેની ધરપકડ

ડીઆરઆઈએ કારમાંથી 4.26 કરોડનું સોનું, જ્વેલર્સની ઑફિસમાંથી 85 લાખની ચાંદી અને 74 લાખની રોકડ જપ્ત કરી

યોગેશ સી. પટેલ

મુંબઈ: ડિરેક્ટરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ના અધિકારીઓએ સોના-ચાંદીની કથિત દાણચોરીના કેસમાં નાશિકના જ્વેલર્સ સહિત બે જણની ગુરુવારે ધરપકડ કરી હતી. આરોપી પાસેથી 4.26 કરોડ રૂપિયાનું સોનું, 85.57 લાખ રૂપિયાની ચાંદી અને 74 લાખની રોકડ જપ્ત કરવામાં આવી હતી.

મુંબઈથી દાણચોરીનું સોનું એક કારમાં નાશિક લઈ જવામાં આવતું હોવાની માહિતી ડીઆરઆઈને મળી હતી. માહિતીને આધારે અધિકારીઓએ છટકું ગોઠવી કારને આંતરી હતી. કારના ડ્રાઈવર એફ. કે. શિકલીકરને તાબામાં લઈ પૂછપરછ કરવામાં આવતાં તેણે ઉડાઉ જવાબ આપ્યા હતા.

આ પણ વાંચો: ઍરપોર્ટના સ્ટોર્સના કર્મચારીઓ સોનાની દાણચોરીમાં પકડાયા

શંકાને આધારે અધિકારીઓએ કારની બારીકાઈથી તપાસ કરી હતી. કારની પાછલી સીટ નીચે છૂપું ખાનું બનાવવામાં આવ્યું હતું. આ ખાનામાંથી અંદાજે 4.26 કરોડ રૂપિયાનું સોનું મળી આવ્યું હતું. કાર નાશિકના જ્વેલર્સ એ. એચ. જૈનની હોવાનું શિકલીકરે પૂછપરછમાં જણાવ્યું હતું.

અધિકારીઓએ જૈનને સમન્સ મોકલાવી જપ્ત કરાયેલા સોનાની ખરીદીના દસ્તાવેજો રજૂ કરવાનું કહ્યું હતું. જોકે આપેલી સમયમર્યાદામાં જૈન દ્વારા કોઈ દસ્તાવેજ રજૂ ન કરાતાં સોનું દાણચોરીથી લવાયું હોવાની શક્યતા અધિકારીએ વ્યક્ત કરી હતી.
અધિકારીઓએ જૈનની ઑફિસમાં સર્ચ કરતાં 85.57 લાખની ચાંદી અને 74 લાખ રૂપિયા મળી આવ્યા હતા. કહેવાય છે કે જપ્ત કરાયેલી ચાંદી સંબંધિત પણ યોગ્ય દસ્તાવેજો જ્વેલર્સ દ્વારા રજૂ કરાયા નહોતા.

પ્રાથમિક તપાસમાં શિકલીકરે અધિકારીઓને જણાવ્યું હતું કે તે જૈનની સૂચનાથી નાશિક અને ધુળેના વિવિધ જ્વેલર્સને સોનાની ડિલીવરી કરતો હતો. સોના-ચાંદીની દાણચોરીમાં સંડોવાયેલા જૈનના સાથીઓની માહિતી અધિકારીઓ મેળવી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button