
નવી દિલ્હી: ભારતમાં આતંકવાદીઓ અને પાકિસ્તાનની ગુપ્તચર એજેન્સી ઇન્ટર સર્વિસ ઈન્ટેલીજન્સ(ISI)ના નેટવર્કને તોડી પાડવા વિવિધ એજન્સીઓ હાલ સઘન કાર્યવાહી કરી રહી છે. આ દિશામાં દિલ્હી પોલીસે મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસે ISIના સ્લીપર સેલના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. દિલ્હી પોલીસે બે એજન્ટોની ધરપકડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે એજન્ટો દિલ્હીમાં આતંકવાદી હુમલાનું કાવતરું ઘડી રહ્યા હતાં.
અહેવાલ મુજબ નેપાળી મૂળના ISI એજન્ટ અંસારુલ મિયાં અન્સારીની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી ભારતના સશસ્ત્ર દળો સાથે સંબંધિત અનેક ગુપ્ત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.

ISI એજન્ટો તિહાર જેલમાં કેદ:
અધિકારીઓએ જણાવ્યું હતું કે જાન્યુઆરીથી માર્ચ 2025 દરમિયાન હાથ ધરવામાં આવેલા આ ઓપરેશનમાં કેન્દ્રીય એજન્સીઓ પણ સામેલ હતી. આ કેસમાં મે મહિનામાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, ધરપકડ કરાયેલા બંને ISI એજન્ટો હવે દિલ્હીની તિહાર જેલમાં કેદ છે.
અહેવાલ મુજબ તપાસમાં એ પણ જાણવા મળ્યું કે દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનના કેટલાક કર્મચારીઓ પર પણ શંકાસ્પદ પ્રવૃતિઓમાં સામેલ હોઈ શકે છે. એવી શંકા છે કે ભારતીય યુટ્યુબર્સ અને ઇન્ફ્લુએન્સર્સને મદદ કરનારા ISI અધિકારીઓ મુઝમ્મિલ અને એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશ આ કાવતરામાં સામેલ હતા.
આ રીતે પકડાયા ISI એજન્ટો:
જાન્યુઆરીમાં એક બાતમી મળી હતી કે કે ISI દ્વારા સંવેદનશીલ દસ્તાવેજો/ફોટો/ગુગલ કોઓર્ડિનેટ્સ એકત્રિત કરવા માટે એક જાસૂસ મોકલવામાં આવ્યો છે અને તે નેપાળ થઈને દિલ્હી પહોંચવાનો છે. આ બાતમીને આધારે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. તાપસમાં ખુલાસો થયો હતો કે આતંકવાદીઓ દિલ્હીમાં હુમલાનું આયોજન કરી રહ્યા હતાં અને ભારતના સશસ્ત્ર દળો વિશેની ગુપ્ત માહિતીનો ઉપયોગ કરીને આતંકવાદી હુમલાની યોજના બનાવવામાં આવી રહી હતી. ગુપ્તચર વિભાગને ઓપરેશન તરફ આગળ વધવા માટે ફેબ્રુઆરીના મધ્ય સુધી રાહ જોવી પડી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે ISI એજન્ટ દિલ્હી પહોંચ્યો હતો અને ગુપ્ત મીલીટરી દસ્તાવેજો એકઠા કર્યા હતા. એજન્ટને પકડવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું અને 15 ફેબ્રુઆરીના રોજ, નેપાળ થઈને પાકિસ્તાન પાછા ફરતી વખતે મધ્ય દિલ્હીમાં સંવેદનશીલ દસ્તાવેજો સાથે અંસારીની ધરપકડ કરવામાં આવી હતી.
ત્યારબાદ અન્સારીને પોલીસને સોંપવામાં આવ્યો. પોલીસે ભારતીય સશસ્ત્ર દળો સાથે સંબંધિત ગુપ્ત દસ્તાવેજો રાખવા અને પાકિસ્તાની હેન્ડલર્સને સપ્લાય કરવાનો પ્રયાસ કરવા બદલ તેની સામે ગુનો નોંધ્યો. ઓફિસિયલ સિક્રેટ્સ એક્ટ હેઠળ FIR નોંધવામાં આવી.
તપાસમાં રાંચીના રહેવાસી અખલાક આઝમની ભૂમિકા પણ જાણવા મળી, તે ભારતમાં અન્સારીને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડતો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે બંને પાકિસ્તાની હેન્ડલર્સ સાથે સતત સંપર્કમાં હતા. માર્ચમાં અખલાક આઝમની ધરપકડ કરવામાં આવી હતી.

ISIએ અન્સારીને ભારત મોકલ્યો હતો:
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે દિલ્હીની એક હોટલમાંથી ધરપકડ કરાયેલા અંસારુલ મિયાં અન્સારીએ ખુલાસો કર્યો હતો કે તે કતારમાં ટેક્સી ચલાવતો હતો, જ્યાં તે એક ISI હેન્ડલરને મળ્યો હતો. બાદમાં, અન્સારીને પાકિસ્તાન લઈ જવામાં આવ્યો, જ્યાં તેને ISIના ટોચના અધિકારીઓ દ્વારા ઘણા દિવસો સુધી તાલીમ આપવામાં આવી અને પછી નેપાળ થઈને દિલ્હી મોકલવામાં આવ્યો.
વધુ શંકાસ્પદોને પકડવા તપાસ:
અહેવાલ મુજબ બંનેના મોબાઇલ ફોનમાં પાકિસ્તાની હેન્ડલર્સ વચ્ચે શંકાસ્પદ વાતચીત મળી આવી હતી, જે મોટા કાવતરાનો સંકેત મળી આવ્યા હતાં. થોડા દિવસો પહેલા, બંને શંકાસ્પદો સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જ્યારે કાવતરામાં સામેલ વધુ વ્યક્તિઓને ઓળખવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

એક અખબારને સૂત્રએ જણાવ્યું, “અમારા માણસો ભારતના વિવિધ ભાગોમાં સક્રિય પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનો અને તેમને લોજિસ્ટિક સપોર્ટ પૂરા પાડતા સ્લીપર સેલ વિશે માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ISI સમર્થિત આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશલ (BKI) દ્વારા પંજાબમાં પોલીસ સ્ટેશનોની બહાર કેટલાક ગ્રેનેડ હુમલાઓ કર્યા હતા, ત્યાર બાદ એજન્સીને ઉત્તર-પશ્ચિમ ભારતમાં મોટું કાવતરું ઘડાઈ રહ્યું હોવાની શંકા ઉભી થઇ હતી.”
આપણ વાંચો : યુપીમાં ISI સાથે સંકળાયેલા આતંકવાદીની ધરપકડ, વિસ્ફોટક સામગ્રી જપ્ત