અક્ષય કુમાર અને પરેશ રાવલ વચ્ચે રિયલ કોર્ટ ડ્રામાઃ 25 કરોડનો દાવો

ફિલ્મોમાં કોર્ટરૂમ ડ્રામા તો ઘણા થાય છે, પરંતુ રિયલ લાઈફમાં બે જાણીતા અભિનેતા વચ્ચે કોર્ટરૂમ ડ્રામા લગભગ પહેલીવાર જોવા મળશે. હેરાફેરી ફ્રેન્ચાઈઝીના બે કલાકાર અક્ષય કુમાર અને પરેશ રાવલ હવે કોર્ટમાં રિયલ લાઈફનો કેસ લડતા જોવા મળે તેવી પૂરી સંભાવના છે. આ ઘટના પણ હેરાફેરી ફિલ્મની સાથે સંબંધ ધરાવે છે. દિગ્દર્શક પ્રિયદર્શનની સુપરહીટ ફિલ્મ હેરાફેરીનો ત્રીજો ભાગ બની રહ્યો છે, પરંતુ અચાનક અભિનેતા પરેશ રાવલે ફિલ્મ ન કરવાની જાહેરાત કરી દીધી છે. ફિલ્મ અક્ષય, સુનીલ શેટ્ટી અને પરેશ ત્રણેયની જોડીએ કમાલ કરી છે અને દર્શકોએ તેમને ખૂબ પસંદ કરી છે. ખરા અર્થમાં બાબુરાવ ગણપતરાવના રોલમાં પરેશ રાવલને સૌથી વધારે લોકોએ પસંદ કર્યો છે. હવે અચાનક ત્રીજા પાર્ટમાંથી બહાર નીકળી જતા કરોડો ફેન્સ ફિલ્મ પહેલા જ નિરાશ થઈ ગયા છે અને ફિલ્મને જબરજસ્ત આંચકો લાગ્યો છે. આ ફિલ્મના રાઈટ્સ હાલમાં અક્ષય કુમાર પાસે છે, તેથી તેણે પરેશ રાવલ સામે રૂ. 25 કરોડનો કેસ ઠોકી દેવાનો નિર્ણય લીધો છે. સૂત્રોનું માનીએ તો આ રીતે ફિલ્મમાંથી નીકળી જવાનું એક સમયે અભિનેતાના તરંગી સ્વભાવને લીધે થતું હતું અને બીચારા નિર્માતાઓ કંઈ બોલતા નહીં, પણ અક્ષયે આમ ન કરતા કાનૂની રસ્તો અપનાવ્યો છે.
આપણ વાંચો: Happy Birthday: આ સાઉથ સુપરસ્ટારે લગ્નમાં સો કરોડનો ખર્ચ કર્યો પણ…
35 વર્ષની કરિયરમાં પહેલીવાર અક્ષયે આ રીતે કૉ-સ્ટાર સામે પગલું ભરવાનું નક્કી કર્યું છે અને છેલ્લા લાંબા સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવો કેસ લગભગ બન્યો નહીં હોય.
પરેશ રાવલે જાન્યુઆરી મહિનામાં જ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાહેરાત કરી હતી કે તે હેરાફેરી-3માં જોવા મળશે. ત્યારબાદ અચાનક ગયા અઠવાડિયે અભિનેતાએ પોતે આ ફિલ્મમાં નથી, તેમ જણાવ્યું હતું. પરેશા રાવલ ક્રિએટીવ ડિફરન્સ અને પૈસાના કારણે બહાર નીકળી ગયા હોવાની વાતો વહેતી થઈ ત્યાં ફરી તેમણે ટ્વીટ કર્યં અને પોતે આવા કોઈ કારણથી બહાર ન નીકળ્યા હોવાનું કહ્યું હતું. આથી ફિલ્મ ન કરવાનું કોઈ કરણ સ્પષ્ટ થયું નથી.
I wish to put it on record that my decision to step away from Hera Pheri 3 was not due to creative differences. I REITERATE THAT THERE ARE NO CREATIVE DISAGREEMENT WITH THE FILM MAKER . I hold immense love, respect, and faith in Mr. Priyadarshan the film director.
— Paresh Rawal (@SirPareshRawal) May 18, 2025
અક્ષયના કાનૂની નિષ્ણાતોએ મીડિયા સાથે કરેલી બિનસત્તાવારા વાત અનુસાર એપ્રિલ મહિનામાં શૂટિંગ શરૂ થઈ ગયું. રાવલે બધા કોન્ટ્રાક્ટ પેપર્સ પણ સાઈન કર્યા અને હવે અચાનક ફિલ્મ નહીં કરવાનું કહ્યું છે, જેથી પરેશાન અક્ષયે કોર્ટમાં જવાનું નક્કી કર્યું છે. આ મામલે રાવલ તરફથી કોઈ પ્રતિક્રિયા હજુ સુધી આવી નથી.