ધર્મતેજ

અલૌકિક દર્શન : શિવતત્ત્વ ને મહિમા અનંત છે…

-ભાણદેવ

(ગતાંકથી ચાલુ)
શિવનો વેશ પ્રથમ દૃષ્ટિએ અમંગલ જેવો લાગે છે, તેનું કારણ એ છે કે શિવજી નિર્ગુણ બ્રહ્મનું સ્વરૂપ છે. નિર્ગુણ બ્રહ્મ ગુણરહિત છે, ગુણાતીત છે. જે સ્વરૂપ દ્વારા નિર્ગુણ બ્રહ્મ સૂચિત થાય છે, તે સ્વરૂપ પીતાંબર પહેરે તો તે શોભે? આવા અલંકારો સગુણ-સાકાર બ્રહ્મને શોભે, નિર્ગુણ બ્રહ્મને નહીં. આ દૃષ્ટિથી શિવના વેશને સમજવામાં આવે તો સ્પષ્ટ થશે કે શિવનો આ વૈરાગી જેવો વેશ તેમની અનાર્યતાનો નહીં, પરંતુ તેમના પરબ્રહ્મપણાનો દ્યોતક છે.

  1. શિવનો પ્રસાદ ગ્રહણ ન કરવાનું કારણ આપણે જોઈ ગયા તે પ્રમાણે શિવની પરબ્રહ્મતા જ છે, શિવની અનાર્યતા નહીં જ.

જો આર્ય પ્રજા શિવને અનાર્ય માનીને તેનો પ્રસાદ ગ્રહણ ન કરે તો તેની પૂજા શા માટે કરે? તેનાં મંદિરો શા માટે રચે? તેની પ્રાર્થના શા માટે કરે? તેના યજ્ઞો શા માટે કરે?

આમ પ્રસાદ ન ગ્રહણ કરવાની પરંપરા દ્વારા શિવને અનાર્ય દેવ ગણી શકાય નહીં.

3.હડપ્પા અને મોહેં-જો-દડોના અવશેષોમાં શિવલિંગ મળી આવ્યાં તેટલા માત્રથી શિવ અનાર્ય દેવ છે તેમ સિદ્ધ થઈ શકે નહીં. કોઈ પણ અનુમાન પ્રક્રિયાને આટલી હદ સુધી લંબાવી શકાય નહીં. શિવલિંગ ત્યાં કેવી રીતે અને ક્યા સ્વરૂપે હતું તે આપણે કહી શકીએ તેમ નથી, તેથી આવા એકાદ અવશેષ દ્વારા શિવને અનાર્ય દેવ સાબિત કરવા તે અસંગત દલીલ છે.

4.શિવલિંગને શિવશિશ્ર્ન માનવું તે જ બરાબર નથી. શિવલિંગ શિવતત્ત્વનું ચિહ્ન છે. શિવલિંગ એટલે શિવનું ચિહ્ન, પરંતુ શિવનું શિશ્ર્ન નહીં. આમ શિવલિંગ તે શિવશિશ્ર્ન નથી જ. તેથી શિશ્ર્નપૂજાના અનુમાન દ્વારા શિવને અનાર્ય દેવ માની શકાય તેમ નથી.

આમ શિવને અનાર્ય દેવ માનવા માટેની ચારે દલીલો વજૂદ વગરની છે.

શિવ વૈદિક દેવ છે તેવા પાર વિનાના પુરાવા વૈદિક સાહિત્યમાં મળી આવે તેમ છે. વેદમાં અનેક સ્થળે રુદ્રનાં સૂકતો છે. ‘અષ્ટાધ્યાયી રુદ્રી’ વૈદિક મંત્રોનો જ સમુચ્ચય છે. રુદ્રીનો પાંચમો અધ્યાય શતરુદ્રી ગણાય છે. તેમાં રુદ્રની જ વંદના કરેલી છે. વૈદિક ભાષામાં જે રુદ્ર છે, તે જ પૌરાણિક ભાષામાં શિવ છે. ‘યજુર્વેદ’ના નમનાનુવાકના આઠમા અનુવાકના ત્રણ મંત્રો અહીં જોઈએ:

नमः शंभवे च मयोभवे च ॥९॥
नमः शंकराय च मयस्कराय च ॥१०॥
नमः शिवाय च शिवतराय च ॥११॥

રુદ્રને નમન કરનારા આ ત્રણે મંત્રોમાં શિવનાં ત્રણ નામો છે: શંભુ, શંકર અને શિવ.

વેદમાં આવાં બીજાં પણ અનેક સૂક્તો અને મંત્રો છે, જેમના પરથી સ્પષ્ટતા: સિદ્ધ થાય છે કે રુદ્ર અર્થાત્ શિવ એક વૈદિક દેવ છે, જે દેવનાં વેદમાં આટલાં ગુણગાન ગવાયાં છે, આટલી પ્રાર્થના થયેલ છે તે દેવને અનાર્ય ગણવા તે સર્વથા અસત્ય છે.
આદિથી અંત સુધી શિવ આર્ય પ્રજાના ઈષ્ટદેવ છે. આર્ય પ્રજાના હૃદયમાં તેમનું સ્થાન અબાધિત છે. શિવને અનાર્ય દેવ ગણીને પ્રજાની અસ્મિતાને તોડવાનો પ્રયત્ન કરવો તે રાષ્ટ્રીય અપરાધ તો છે જ, પણ તેથીયે વિશેષ તો તે એક શિવ-અપરાધ છે.

  1. શિવલિંગ શિવશિશ્ર્ન છે?

આપણે જોઈ ગયા તે પ્રમાણે ‘લિંગ’ પદનો અર્થ અહીં શિશ્ર્ન નહીં, પરંતુ ચિહ્ન છે, તેથી શિવલિંગ એટલે શિવનું શિશ્ર્ન નહીં, પરંતુ શિવતત્ત્વનું અર્થાત્ બ્રહ્મતત્ત્વનું ચિહ્ન.

વેદમાન્ય ભારતીય પરંપરામાં શિશ્ર્નપૂજા, યોનિપૂજાને કોઈ સ્થાન નથી. ભારતમાં વામતાંત્રિકો સિવાય કોઈએ આવી પૂજાને માન્ય પણ ગણી નથી અને સ્વીકારી પણ નથી. વામતાંત્રિકો પણ શિશ્ર્નપૂજા કે યોનિપૂજા એકાંતમાં ગુપ્ત રીતે કરતા અને તેમને તથા તેમની આવી વિધિઓને સમાજ તરફથી ત્યાજ્ય અને બહિષ્કૃત ગણવામાં આવેલ છે, તેથી સ્પષ્ટ થાય છે કે ભારતીય સમાજે યોનિપૂજા કે શિશ્ર્નપૂજાનો વ્યાપક રીતે અને ખુલ્લી રીતે ક્યારેય સ્વીકાર કર્યો નથી.

શિવપૂજા તો ભારતમાં વ્યાપક રીતે થાય છે, સમાજમાન્ય ગણાય છે. શિવલિંગ ભારતના સર્વ હિન્દુઓ માટે હંમેશાં વંદનીય અને પૂજનીય જ ગણાયાં છે. શિવપૂજા તો ભારતમાં સર્વમાન્ય. ગણમાન્ય અને સાર્વભૌમ ગણાય છે. આવી સાર્વભૌમ ધાર્મિક વિધિને શિશ્ર્નપૂજાનું સ્વરૂપ ગણવામાં આવે તો તે માત્ર ભૂલ જ નહીં, પરંતુ અપરાધ પણ છે.

કેટલાક વામણા અને દૃષ્ટિહીન વિદ્વાનો (?)એ આવી વાત વહેતી મૂકી છે કે શિવલિંગ તે શિવશ્ર્નિનું પ્રતીક છે, પરંતુ વાતાવરણમાં વહેતા મુકાયેલા આ વિચારનો સર્વથા ત્યાગ કરવો જોઈએ.

આપણા માટે સૂર્ય જેવું સ્પષ્ટ અને પહાડ જેવું નિશ્ર્ચિત સત્ય એ છે કે શિવલિંગ એટલે બ્રહ્મતત્ત્વનું ચિહ્ન કે પ્રતીક.

વસ્તુત: તો આવા મોં-માથા વિનાના આક્ષેપનો ઉત્તર પણ ન આપવો જોઈએ. ઉત્તર આપવા જેટલી યોગ્યતા પણ આક્ષેપમાં નથી, પરંતુ આવા આક્ષેપોનો પ્રચાર થયો છે. પુસ્તકોમાં પણ આવા આક્ષેપોને સ્થાન આપવામાં આવે છે. સજ્જનો પણ છેતરાય છે. આવી પરિસ્થિતિ હોવાથી આવા તથ્યહીન આક્ષેપોનો ઉત્તર આપવાનું સંજોગોવશાત્ આપણા માથે આવી પડે છે.

ઉપસંહાર:

‘तव तत्त्वं न जानामि कीदृशोऽसि महेश्वर |
यादृशोऽसि महादेव तादृशाय नमो नमः ॥’

‘હે મહેશ્ર્વર (મહાદેવ)! તમે કેવા છો, તે તમારું તત્ત્વ હું જાણતો નથી. તમે જેવા હો તેવા, હે મહાદેવ! હું તમને નમસ્કાર કરું છું.’

શિવતત્ત્વ અનંત છે, તેનો મહિમા અનંત છે, તેનું સ્વરૂપ અમાપ અને અગમ્ય છે. તેને પૂરેપૂરું કોણ જાણી શકે?

શિવની કૃપાથી અમે શિવતત્ત્વને કંઈક જાણીએ છીએ અને જે કાંઈ જાણીએ છીએ તે શિવનાં ચરણોમાં સમર્પિત કરીએ છીએ.

ૐ त्र्यंबकं यजामहे सुगंधि पुष्टिवर्धनम् |
उर्वारूकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माडमृतात्॥

‘સુગંધ અને પુષ્ટિનું વર્ધન કરનાર ત્રિનેત્ર શિવનું અમે યજન કરીએ છીએ. કાકડી જેમ વેલાના બંધનથી મુક્ત થાય, તેમ તે (શિવ) અમને મૃત્યુ (રૂપી સંસાર)માંથી મુક્ત કરે, પણ (પરમતત્ત્વરૂપ) અમૃતથી નહીં.’

આપણ વાંચો:  મનનઃ કુસંગનો સદાય ત્યાગ કરવો

હિન્દુત્વની હાંસી ન ઉડાવો
કેટલાક વિદેશીઓ અને કેટલાક વિધર્મીઓ હિન્દુ ધર્મની હાંસી ઉડાવે છે. તેમના અનુકરણરૂપે કેટલાક હિન્દુત્વવિરોધી હિન્દુઓ પણ હિન્દુ ધર્મની ટીકા કરે છે. આ ટીકા યુવાન પેઢી સમક્ષ પહોંચે છે અને તે ગેરમાર્ગે દોરાય છે અને ગેરસમજનો ભોગ થઈ પડે છે.

વિરોધનો પ્રત્યુત્તર વિરોધ નથી, ટીકાનો જવાબ ટીકા નથી, આક્રોશનું નિરાકરણ આક્રોશ નથી. નિરાકરણ સમજ દ્વારા મળે છે, સંઘર્ષ દ્વારા નહીં. જેમને ટીકા કરવી જ છે, તેમને રોકી શકાય તેમ નથી, પરંતુ ટીકાકારો હિન્દુ ધર્મનાં જે તત્ત્વોને અનુલક્ષીને ટીકા કરે છે, હાંસી ઉડાવે છે, તે તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ શું છે તે આપણે કહી શકીએ, તે તત્ત્વોને યથાર્થ સ્વરૂપે સમજી શકીએ અને જેઓ સમજવા ઈચ્છે તેમને સમજાવી શકીએ, પરંતુ જેમને સમજવું જ નથી તેમને બ્રહ્માજી પણ ન સમજાવી શકે.

હિન્દુ ધર્મ, હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ તત્ત્વજ્ઞાન અને હિન્દુ પરંપરાનાં જે તત્ત્વોને નિમિત્ત બનાવીને હિન્દુત્વની ટીકા કરવામાં આવે છે, તે તત્ત્વો તેમના યથાર્થ સ્વરૂપે શું છે તેની વિચારણા અહીં પ્રસ્તુત છે:

  1. આપણું કથાસાહિત્ય
    આપણાં પુરાણો, મહાકાવ્યો આદિ ગ્રંથો આપણું કથાસાહિત્ય છે. આ કથાઓમાં કેટલાક પ્રસંગો એવા પણ છે કે જે પ્રથમ દૃષ્ટિએ અને તેમના બાહ્ય સ્વરૂપે અશક્ય લાગે અને કેટલાક પ્રસંગો જો તેના સ્થૂળ અર્થમાં જ લઈએ તો અરુચિકર પણ લાગે.

    આપણા કથાસાહિત્યના યથાર્થ સ્વરૂપ વિશે વિગતવાર વિચારણા આ પુસ્તકમાં અન્યત્ર કરી હોવાથી તે વિશે પુનરાવર્તન અનાવશ્યક છે. અહીં માત્ર એટલું જ નોંધવું આવશ્યક છે કે આપણા કથાસાહિત્યને માત્ર સ્થૂળ રૂપે અને માત્ર બહિરંગ દૃષ્ટિથી જોઈએ તે પર્યાપ્ત નથી. જો આપણે આ કથાસાહિત્યને સૂક્ષ્મ દૃષ્ટિથી જોઈએ અને તેના સાંકેતિક અર્થને સમજવાનો પ્રયત્ન કરીએ, તો નિશ્ર્ચિતપણે સમજી શકાશે કે આ પુરાણકથાઓ હાંસીને પાત્ર નથી, ગૌરવને પાત્ર છે, એટલું જ નહીં, પણ આ કથાસાહિત્ય અધ્યાત્મવિદ્યાનો મહામૂલો ખજાનો છે. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button