આમચી મુંબઈ

ભારતનું લશ્કરી પ્રભુત્વ આત્મ-નિર્ભર સંરક્ષણ ઉત્પાદન મોડેલોનું પરિણામ છે: ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે કહ્યું હતું કે ભારત પાસે શ્રેષ્ઠ સંરક્ષણ ક્ષમતાઓ છે અને દેશનું લશ્કરી પ્રભુત્વ 2014માં શરૂ કરાયેલા આત્મ-નિર્ભર સંરક્ષણ ઉત્પાદન મોડેલોનું પરિણામ છે.

નાગપુર જિલ્લાના ખાપરખેડા ગામમાં ‘તિરંગા યાત્રા’ બાદ પત્રકારો સાથે વાત કરતા ફડણવીસે કહ્યું હતું કે વિશ્ર્વને હવે ખ્યાલ આવી ગયો છે કે ભારત પાસે શ્રેષ્ઠ સંરક્ષણ તકનીક છે.

‘ભારત વિશ્ર્વભરમાં ટોચના પાંચ સશસ્ત્ર દળોમાં સ્થાન ધરાવે છે. વિશ્ર્વે સ્વીકાર્યું છે કે આપણી પાસે શ્રેષ્ઠ સંરક્ષણ ક્ષમતાઓ છે. આપણી સંરક્ષણ ક્ષમતા પાકિસ્તાન કરતા પાંચ ગણી વધારે છે,’ એમ તેમણે કહ્યું હતું.

આપણ વાંચો: દેવેન્દ્ર ફડણવીસે તુર્કીના સફરજનનો બહિષ્કાર કરવા બદલ પુણેના વેપારીઓની પ્રશંસા કરી

મુખ્ય પ્રધાને કહ્યું હતું કે દરેક ભારતીય સશસ્ત્ર દળોના જવાનો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પાછળ મજબૂત રીતે ઉભો છે.
‘આ યાત્રા કોઈ એક રાજકીય પક્ષ માટે નથી પરંતુ રાષ્ટ્રના સમર્થનમાં એકતાનું પ્રદર્શન છે,’ એમ તેમણે કહ્યું હતું.

પાકિસ્તાન દ્વારા તાજેતરમાં એવી કબૂલાત કરવામાં આવી હતી કે સરહદ પારથી ચોકસાઈથી કરવામાં આવેલા હુમલાઓમાં તેની માળખાકીય સુવિધાઓને નુકસાન થયું છે તેના પર ફડણવીસે કહ્યું, ‘જ્યારે અમે કાર્યવાહી કરી, ત્યારે તેઓ ભાનમાં આવ્યા, યુદ્ધવિરામ માટે ફોન કર્યો અને અમારી સામે ઘૂંટણિયે પડ્યા. આ એક ગર્વની ક્ષણ છે.

આપણું લશ્કરી વર્ચસ્વ 2014માં શરૂ કરાયેલા આત્મ-નિર્ભર સંરક્ષણ ઉત્પાદન મોડેલોનું સીધું પરિણામ છે, જેની એક સમયે મજાક ઉડાવવામાં આવતી હતી, પરંતુ હવે વૈશ્ર્વિક સ્તરે તેનું સન્માન કરવામાં આવે છે.’

આપણ વાંચો: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કર્યું મુંબઈ મેટ્રો લાઇન 3 ફેઝ 2-અ (બીકેસીથી આચાર્ય અત્રે ચોક)નું ઉદ્ઘાટન

મોદી સરકાર દ્વારા શરૂ કરાયેલ, સંરક્ષણ ક્ષેત્રમાં ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ ઝુંબેશોએ સ્વદેશી ડિઝાઇન, વિકાસ અને સંરક્ષણ સાધનોના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ફડણવીસે કહ્યું કે ભારતીય સંરક્ષણ સાધનોની વૈશ્ર્વિક માંગ દેશના વધતા કદનો પુરાવો છે.

‘વિશ્ર્વ હવે સમજી ગયું છે કે ભારત પાસે શ્રેષ્ઠ સંરક્ષણ ટેકનોલોજી છે. તેથી જ અન્ય દેશો આપણને ઓર્ડર આપી રહ્યા છે,’ એવો દાવો તેમણે કર્યો હતો.

તુર્કીએ પાકિસ્તાનને આપેલા સમર્થનનો કડક વિરોધ કરતા, તેમણે કહ્યું હતું કે, ‘હું ભારતીયોને આતંકવાદ અને માનવતા વિરુદ્ધના ગુનાઓ સાથે ઉભા રહેલા દેશનો મૌન બહિષ્કાર કરવા બદલ અભિનંદન આપું છું. તેમને હવે ભારતીય નાગરિકોની શક્તિનો અહેસાસ થયો છે.’

આપણ વાંચો: ‘ઘા પર મીઠું ભભરાવવું’, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આતંકવાદીઓ પરની ટિપ્પણી બદલ કોંગ્રેસી નેતા વિજય વડેટ્ટીવારની ઝાટકણી કાઢી…

‘ઓપરેશન સિંદૂર’ પછી રાજદ્વારી સંપર્ક પ્રતિનિધિમંડળો માટે સાંસદોની પસંદગીની ટીકા કરનારાઓની પણ ફડણવીસે ટીકા કરી. ‘કેટલાક વ્યક્તિઓ હંમેશા દરેક વસ્તુનું રાજકારણ કરે છે. તેમને દેશ કે સમાજની કોઈ વાસ્તવિક ચિંતા નથી. તેમની સતત નકારાત્મકતા આખરે તેમની રાજકીય યાત્રાનો અંત લાવશે,’ એમ તેમણે કહ્યું હતું.

ફડણવીસે કોંગ્રેસ પર તેની ‘જય હિંદ’ રેલી માટે દંભનો આરોપ લગાવ્યો. ‘એક તરફ રાહુલ ગાંધી ભારતીય સેના પર સવાલ ઉઠાવે છે અને બીજી તરફ કોંગ્રેસ દેશભક્તિની રેલીઓનું આયોજન કરે છે. તેમણે આપણા રાષ્ટ્રીય હિતોનું રાજકારણ ન કરવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button