આમચી મુંબઈમહારાષ્ટ્ર

સંજય રાઉતના પુસ્તકે રહસ્યો ખોલ્યાઃ રાજકીય વર્તુળોમાં ગાજી રાઉતની કલમ

મુંબઈઃ શિવસેના (યુબીટી)ના પ્રવક્તા અને રાજયસભાના સભ્ય સંજય રાઉતનું પુસ્તક લૉંચ થયું. પુસ્તકમાં રાઉતે જે રાજકીય ઘટનાઓની વાત કરી છે તેને લીધે રાજકીય વર્તુળોમાં દિવસો સુધી ચર્ચાઓ ચાલતી રહેશે. સંજય રાઉતને પત્રાળા ચાલમાં કથિત ગેરવ્યવહાર મામલે ઈડીએ જેલમાં પૂર્યા હતા. આ જેલવાસ દરમિયાન તેમણે નરકાતલા સ્વર્ગ નામનું પુસ્તક લખ્યું છે. ખાસ કરીને ઠાકરે સરકાર રચાતા પહેલા અને પછીની અમુક વાતો તેમણે શેર કરી છે. અગાઉ પણ રાઉતે કહ્યું હતું કે ઠાકરે સરકાર પાડવાનું કાવતરુ દિલ્હીમાં ઘડાયું હતું અને ભાજપના જ એક નેતાએ રાઉતને કહ્યું હતું કે તમને જેલભેગા કરવાની તૈયારીઓ થઈ રહી છે.
રાઉતે ઘણા અલગ અલગ મુદ્દાઓ પર વાત કરી છે.


રવિન્દ્ર વાયકર વિશે શું કહ્યું
બાળ ઠાકરે અને શિવસેનાના ખૂબ જ વિશ્વાસુ ગણાતા એવા રવિન્દ્ર વાયકર એકનાથ શિંદે સાથે ગયા નહીં અને તેમણે ઉદ્ધવ ઠાકરે સાથે જ રહેાવનું પસંદ કર્યું, પરંતુ પછી કિરિટ સોમૈયાએ તેમના પર આક્ષેપો કર્યા અને રાયગઢમાં તેમણે ગેરકાયદે બાંધકામ કર્યાના ખોટા અહેવાલો આવ્યા. ત્યારબાદ ઈડી તેમની અટકાયત કરશે તેની હવા ફેલાવા લાગી. આ બધાથી ડરીને વાયકર તેમના પરિવાર સાથે ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી આવ્યા અને રડવા લાગ્યા. મને હાર્ટ એટેક આવી જશે નહીંતર હું આત્મહત્યા કરી નાખીશ. મારે જેલમાં મરવું નથી, હુ બહાર મરીશ, તેમ કહી રડવા લાગ્યા. તેમને જોઈ ઠાકરે પણ હલબલી ગયા હતા. જેને વાઘ માનતા હતા તે બિકણ શિયાળ નીકળ્યું તેમ રાઉતે તેમના પુસ્તકમાં લખ્યું છે.



હસન મુશ્રીફ અને અનિલ દેશમુખ વિશે શું કહ્યું
સંજય રાઉતે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે ઠાકરે સરકાર સમયે ગૃહ ખાતુ કોને દેવું તે શરદ પવાર સામે સવાલ હતો. બધા વિકલ્પો બાદ હસન મુશ્રીફનું નામ બહાર આવ્યું. શાહુ મહારાજના ભક્ત મુશ્રીફ બધી રીતે આ જવાબદારી પાર પાડી શકે તેમ હતા, પરંતુ તેમનો ધર્મ અડચણ બનીને ઊભો રહ્યો. મુસ્લિમ હોવાથી તેમના પર ખોટા આક્ષેપો થયા કરશે અને તેઓ શાંતિથી કામ નહીં કરી શકે તેવા વિચાર બાદ પવારે નજર નાગપુર-વિદર્ભ તરફ દોડાવી અને અનિલ દેશમુખનું નામ બહાર આવ્યું. દેશમુખે ખૂબ સારી રીતે જવાબદારી નિભાવી, પણ નાગપુરમાં તેમનું વધતું કદ તે પહેલાના ગૃહ પ્રધાન (દેવેન્દ્ર ફડણવીસ) સહિતના લોકો માટે ચિંતાનો વિષય બન્યો. રાઉતે એમ પણ લખ્યું છે કે જો પોલીસ અધિકારી સચિન વાઝેને ફરી સેવામાં લેવામાં ન આવ્યો હોત તો અનિલ દેશમુખે જેલમાં જવું પડ્યું ન હતું. જોકે વાઝેને ફરી લેવા પાછળ એક આખી અલગ સિસ્ટમ જવાબદાર હતી અને આ મામલે દેશમુખ પોતાના પુસ્તકમાં વિગતવાર લખશે તેમ તેમણે જણાવ્યું હતું.

જાવેદ અખ્તરનો શેર કહેતા કહ્યું કે
जो बात कहते डरते है सब, वो बात तू लिख;
इतनी अंधेरी थी न कभी पहले रात, लिख… રાઉતે બુક લૉંચ સમયે ત્યાં ઉપસ્થિત ગીતકાર-લેખક જાવેદ અખ્તરની એક પંક્તિ કહી હતી. ત્યારબાદ તેણે જેલના અનુભવો શરે કરતા કહ્યું હતું કે શોલે અને દીવાર ફિલ્મોમાં બતાવ્યા તેવા નાના દરવાજા અને સામે માત્ર પથ્થરોની દીવાલો. દુનિયા સાથે કઈ સંપર્ક નહીં, એકાદ માણસ છૂટી જાય તો તેના જજમેન્ટ વાંચવાના. જો કોઈ આઠ દિવસ જેલમાં જાય તો તે બેરીસ્ટર બનીને બહાર આવે, તેમ પણ રાઉતે કહ્યું હતું. આ બુક લૉંચના કાર્યક્રમમાં બીજા પક્ષના નેતાઓ પણ હાજર રહ્યા હતા, જેમને ઈડીની કાર્યવાહી દરમિયાન જેવામાં જવું પડ્યું હોય.


આ કાર્યક્રમમાં એનસીપી નેતા શરદ પવાર પણ હાજર હતા. આ પુસ્તક જેમ જેમ વંચાશે તેમ તેમ વિવાદો અને ચર્ચાઓ જોર પકડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા… More »
Back to top button