હિન્દુત્વનો ત્યાગ કરીને તેઓ નર્કમાં ઉતર્યા: શિંદેએ પુસ્તક વિમોચન પહેલાં શિવસેના (યુબીટી)ની મજાક ઉડાવી
રાઉતના પુસ્તક ‘નરકાતલા સ્વર્ગ’ (નરકમાં સ્વર્ગ)નું મુંબઈમાં અનાવરણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: શિવસેના (યુબીટી)ના નેતા-સાંસદ સંજય રાઉત દ્વારા લખાયેલા પુસ્તકના વિમોચન પહેલાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ હરીફ જૂથની ટીકા કરતાં સત્તા માટે સ્વર્ગસ્થ બાળ ઠાકરેની હિન્દુત્વ વિચારધારાને છોડી દેવાનો આરોપ લગાવ્યો છે.
રાઉતનું પુસ્તક ‘નરકાતલા સ્વર્ગ’ (નરકમાં સ્વર્ગ)નું શનિવારે સાંજે મુંબઈમાં અનાવરણ કરવામાં આવ્યું હતું, તે પહેલાં આ ટીકા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: હિન્દુત્વનો ત્યાગ કર્યો નથી પણ ભાજપનું ‘બીબાઢાળ’ સંસ્કરણ અસ્વીકાર્ય: ઉદ્ધવ ઠાકરે
‘જો તેઓ બાળાસાહેબ ઠાકરેના આદર્શો પ્રત્યે વફાદાર રહ્યા હોત, તો તેઓ નરકમાં પડ્યા ન હોત અને આજે એવી સ્થિતિમાં ન પડ્યા હોત જ્યાં તેઓ હવે સ્વર્ગ શોધી રહ્યા છે,’ એમ શિંદેએ શુક્રવારે રાત્રે થાણેમાં પત્રકારોને જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, બાળાસાહેબ ઠાકરે હિન્દુત્વની વિચારધારામાં મજબૂત રીતે મૂળ ધરાવતા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જેવા નેતાઓ માટે તેમને ખૂબ માન હતું.
આ પણ વાંચો: ‘સરકાર પોતાનું કામ કરશે, તમે તમારું કરો’: ઔરંગઝેબની કબર તોડવાની હાકલ વચ્ચે નિતેશ રાણેની હિન્દુત્વવાદી સંગઠનોને હાકલ
‘બાળાસાહેબે ગુજરાત અને રાષ્ટ્ર પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને કાર્યને સ્વીકૃતિ આપી હતી. તેમની દૂરંદેશીએ તેમને હિન્દુત્વના યોગ્ય મશાલવાહક તરીકે સ્થાપિત કર્યા હતા,’ એમ તેમણે કહ્યું હતું.
ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વિના, તેમણે કહ્યું હતું કે જે વ્યક્તિઓ હવે કોંગ્રેસ સાથે જોડાઈ ગયા છે અને બાળાસાહેબના આદર્શોને છોડી દીધા છે તેઓ તેમના નિર્ણયો પાછળના કારણો ક્યારેય સમજી શકશે નહીં.
‘તેઓ તેમના વારસાથી ઘણા દૂર ભટકી ગયા છે,’ એમ તેમણે કહ્યું હતું.
2022માં શિંદેના બળવાથી અવિભાજિત શિવસેનામાં ભાગલા પડ્યા, જેના કારણે ઠાકરેને મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી.