અમરેલીઃ ધારીમાં પાકિસ્તાન કનેક્શન ધરાવતા મૌલાનાના મદરેસા પર બુલડોઝર ફરી વળ્યું

ધારીઃ અમરેલી જિલ્લાના ધારીમાં હિમખીમડી પરામાં પાકિસ્તાન કનેક્શન ધરાવતા મૌલાનાના મદરેસા પર બુલડોઝર ફરી વળ્યું હતું. મફત ફાળવેલા પ્લોટમાં મદરેસા ઊભી કરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તેને તોડી પાડવામાં આવી હતી. મદરેસામાં ભણાવતો મૌલાના મોહમદફઝલ અબ્દુલ અજીજ શેખ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનું કનેક્શન ધરાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
અમરેલીના ડીએસપી પીઆર રાઠોડે કહ્યું કે, એસડીએમ તપાસમાં મદરેસા પાસે દસ્તાવેજો ન હોવાનું સામે આવ્યું હતું. સંચાલકો જમીન તેમની છે અને બાંધકામ કાયદેસર રીતે કરવામાં આવ્યું હોવાનું સાબિત કરવામાં નિષ્ફળ ગયા હતા.
પહલગામ આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસે અમરેલીથી શંકાસ્પદ મૌલાનાને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન તેનું પાકિસ્તાન કનેકશન સામે આવ્યું હતું. તેના ફોનમાં 7 શંકાસ્પદ પાકિસ્તાની અને અફઘાનિસ્તાની વોટ્સએપ ગ્રુપ મળ્યા હતા. અમરેલી એસઓજીને તપાસ દરમિયાન માહિતી મળી હતી કે હિમખીમડીપરા વિસ્તારમાં આવેલી મદરેસાનો મૌલવી મોહંમદફઝલ અબ્દુલઅઝીઝ શેખ ગેરકાયદે રીતે વસવાટ કરે છે. જેથી એસઓજીની ટીમ પુરાવા માંગ્યા હતા પરંતુ મૂળ રહેઠાણ અંગે કોઈ પુરાવા ન હોવાથી પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. જ્યાં તે અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. તેને વધુ તપાસ માટે અમદાવાદ લાવવામાં આવ્યો હતો.
મૌલવીનો મોબાઇલ ચકાસતાં પાકિસ્તાનના કેટલાક સોશિયલ મીડિયામાં ગ્રુપ મળી આવ્યા હતા. જેને લઈને હાલ પોલીસ મૌલવી અહીં કેટલા સમયથી રહેતો હતો, અત્યાર સુધી અહીં કોણ કોણ આવ્યું, પાકિસ્તાનમાં કોના કોના સંપર્કમાં હતો તે અંગે તપાસ શરૂ કરી હતી. પોલીસે તપાસ કરતાં આ તમામ ગ્રુપનું સંચાલન પાકિસ્તાનથી કરવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થયો હતો અને ગ્રુપના સભ્ય તરીકે મૌલવીને જોડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ ગ્રુપના તમામ સભ્યો પાકિસ્તાન અને બાંગ્લાદેશના જોવા મળ્યા હતા, જેમા મોટા પ્રમાણમાં અરબી ભાષામા મેસેજની આપ-લે થતી હતી. પોલીસે આ મેસેજનું ભાષાંતર કરાવ્યું હતું.
આ પણ વાંચો…..દાદાના બુલડોઝર સામે ભાજપના વિધાનસભ્યએ ઉઠાવ્યો વાંધોઃ ગરીબોને ત્રાસ ન આપો