ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ મહાબંદર કંડલા ફરી ધમધમ્યું: એરપોર્ટ હજુ પણ બંધ

ભુજ: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતાં સલામતી ખાતર પશ્ચિમ કાંઠાના મહાબંદર કંડલાને તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવાયું હતું, જો કે અચાનક સિઝફાયર લાગુ થઇ જતાં હાલ આ સરહદી જિલ્લામાં બધું ધીરે ધીરે થાળે પડવા લાગ્યું છે જે અંતર્ગત કંડલા બંદરની ગતિવિધિઓને પણ સતર્કતા વચ્ચે ચાલુ કરી દેવાઈ છે. અહીં ધમધમાટ ચાલુ થઇ જતાં ટ્રકોની દોઢેક કિલોમીટર લાંબી લાઈન લાગી છે,
જયારે તમામ જેટીઓ પર જહાજોના થપ્પા લાગી જતાં બંદરના કર્મચારીઓ પર કામનું ભારણ પણ વધી ગયું છે. સૂર્યાસ્ત બાદ જરૂરત પૂરતી લાઈટો વચ્ચે અહીં આંશિક બ્લેકઆઉટ રખાશે તેમજ બંદરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમ આ બંદરના જન સંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું છે.
આપણ વાંચો: ભારતના વિદેશ સચિવને યુદ્ધ વિરામ અંગે ટ્રોલ કરવા અયોગ્ય,સમર્થનમાં આવ્યા રાજદ્વારી અને નેતાઓ
દરમ્યાન, ભારત-પાક યુદ્ધ અંગે હજુ પણ અનિશ્ચિતતા પ્રવર્તમાન હોઈ, સુરક્ષાના કારણોસર કંડલાના એરપોર્ટને નાગરિકો માટે સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યું છે. જો સરકાર તરફથી નોટીફીકેશન આવશે તો ફરી એરપોર્ટને શરૂ કરી દેવાશે તેમ એક અધિકારીએ જણાવ્યું હતું.