ધર્મતેજ
આચમન: સુકૃત્યની સુગંધ ચારે દિશામાં મહેક પ્રસરાવતી હોય છે

-અનવર વલિયાણી
જગતની મોહમાયાથી દૂર રહેનાર, આશ્ચર્ય-અચંબો જેને માર્ગથી ભટકાવી શકતો નથી એવા ઈશ્વર સ્મરણમાં લીન રહેતા એક સૂફી-સંત-મહાત્માએ રાજ્યના શહેનશાહની નોંધપોથીમાં એવી તે કઈ વાસ્તવિકતા લખી જે મૃત્યુલોક સુધી દરેક માટે બોધ આપનારી સનાતન સત્ય બની રહી.
- રાજ્યના એક શહેનશાહે પોતાના રાજમહેલમાં એક સ્નાનગાર બનાવ્યું હતું. એ બાથરૂમની દીવાલો પર `રત્નો’ જડાયેલાં હતાં.
- અતિ મૂલ્યવાન પથ્થરોનો દૂરથી ઉપયોગ કરવામાં આવ્યો હતો.
- તેમાં જે હોજ હતો તેની આસપાસ સોના-ચાંદીના પંખીઓ એ રીતે ગોઠવ્યાં હતાં કે, એ પંખીઓની ચાંચમાંથી જુદી જુદી જાતના અત્તરોનો ફૂવારો ઊડતો હતો.
- શહેનશાહ દિવસમાં બે વાર તેમાં સ્નાન કરવા જતા હતા, બાકીના
વખતમાં હમામ જોવા માટે લોકોને છૂટ આપી હતી. દેશ-વિદેશના લોકો જોવા આવતા હતાં. - શહેનશાહે ત્યાં એક નોંધપોથી મૂકી હતી. તેમાં આવનારા પોતાનો અભિપ્રાય લખતા હતા.
- લગભગ દરેક જણે સ્નાનગારની પાછળ લખલૂટ ખર્ચ કર્યો હતો તેના વખાણ જ લખતા.
- એક દિવસ અચાનક એક ઈશ્વરના ઓલિયા-સંત ફકીર શહેરમાં આવ્યા. તેમને પણ લોકોએ આ અચંબો પમાડે તેવો સ્નાનગાર જોવા કહ્યું. મહાત્માએ ના કહી.
- છેવટે શહેનશાહને વાવડ મળ્યા તો તેણે સામે ચઢીને સ્નાનગાર જોવાની વિનંતી સાથે જમણનું પણ આમંત્રણ આપ્યું.
- આ તો શહેનશાહોના શહેનશાહ સમાન સંત-ઈશ્વરના ઓલિયા હતા.
- તેમણે બાદશાહને જમવાની ના પાડી દીધી અને કહ્યું કે,
- `જો તેઓ જમવા બેસશે તો સત્ય વાત કહી શકશે નહીં માટે તેમને એ વાતની સ્વતંત્રતા આપવામાં આવે કે તેઓ વાસ્તવિક હક્ક અર્થાત્ સત્યવાત છે તેને રજૂ કરવાની છૂટ આપવામાં આવે જે-મૃત્યુલોક સુધી મિથ્યા થનાર નથી. ખોટી પડતી નથી…!’
- શહેનશાહે મહાત્માના આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો.
- દુનિયાની મોહમાયાથી પર,
- અચંબો-આશ્ચર્ય જેને ચલિત કરી શકતા નથી એવા પ્રભુ સ્મરણમાં લીન રહેતા સંતે સ્નાનગારનું નિરીક્ષણ કર્યું અને તેમની સામે નોંધપોથી મૂકવામાં આવી તો તેમણે સૃષ્ટિના સર્જનહાર ઈશ્વરના નામથી લખવાનું શરૂ કર્યું.
- `દુનિયાના પથ્થરોથી થોડા વધારે સફાઈદાર સફેદ પથ્થરોને ઉપરાઉપરી ખડકોમાં ગોઠવીને આ એક નાહવાની ઓરડી એટલે સ્નાનગાર બાંધવામાં આવેલ છે.
- તેમાં બગીચાનાં ફૂલો જેવા આકારના થોડાક ચમકદાર રંગબેરંગી પથ્થરના ટુકડાઓ ગોઠવવામાં આવ્યા છે;
- તેની પાછળ
- સત્તાનો મદ,
- શિરજોરી
- ત્રાસ
- બળ
- ભયંકર અમાનુષતા
- કુકર્મો અને
- હિંસા છુપાયેલા છે.
- રંગબેરંગી પક્ષીઓના ભ્રામક આકારો ફુવારાના રૂપમાં ફરીને અત્તરો છાંટી સુગંધના ઊંડાણમાં મડદાની દુર્ગંધ ફેલાવી રહ્યાં છે.
- ઘણાંને લૂંટીને એક જ ધનભંડારમાં ભેગા કરેલા દુર્વ્યયનો આ ઓરડામાં ઢોલ પીટનારો એક કાળો પથ્થર જાણે ફરિયાદ કરે છે કે `સ્નાનગારમાં દેખાતા સોનાના અક્ષરોની નીચે ભયંકર અંધકાર અને દર્દ છુપાયેલું છે. આમાં સ્નાન કરનારો રાઈના દાણા જેટલો પણ માલ સાથે લઈ જનાર નથી. છેવટે તો તેનો અંત એ જ છે કે કહેવાતી સુગંધનો આનંદ માણનારાને ફના થનારા-નાશ પામનારા શરીરને દો ગઝ ઝમીં કે નીચેની અંધકારભરી ઓરડીમાં જ સૂવું પડશે!’
- થોડા જ દિવસમાં શહેનશાહને લડાઈનો મુકાબલો કરવો પડ્યો.
- તે હાર્યો.
- જાન બચાવવા જખ્મી હાલતમાં જંગલ તરફ ભાગી ગયો.
- છેવટે તેની શોધમાં નીકળેલા લોકોએ તેની લાશને જોઈ.
- દુર્ગંધ મારતી બદબૂદાર લાશ પાસે કોઈ જવા તૈયાર નહોતું.
- અચાનક એ સાધુમહારાજ ત્યાં આવી ગયા, અને કહ્યું,
- `અત્તરના સ્નાનથી થોડીક ખુશ્બૂ-સુગંધ-મહેક ફેલાય છે પણ જો સુકૃત્ય કર્યા હોય તો તેની ફોરમ સદા સુગંધ આપતી રહેતી હોય છે.
બોધ:
- આજે એ શહેનશાહની કબર પર ઘુવડો રડી રહ્યાં છે, પણ હમદર્દીનાં આંસુ સારવા કોઈના દિલમાં દર્દ નથી, કારણ કે તેણે કદી કોઈના આંસુ લૂછ્યાં નહોતાં.
આ પણ વાંચો…..આચમન : બચ્ચે મેં હૈ ભગવાન, બચ્ચા હૈ મહાન ઈશ્વરે ઈન્સાન જાત પરથી હજુ વિશ્વાસ ગુમાવ્યો નથી