‘મેં RCB છોડવા વિષે વિચાર્યું હતું…’ વિરાટ કોહલીએ કર્યો ખુલાસો

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB)ની ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. હાલ 16 પોઈન્ટ્સ સાથે RCB પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, ટીમનો સ્ટાર બેટર વિરાટ કોહલી (Virat Kohli) શાનદાર બેટિંગ કરી રહ્યો છે. વિરાટ એકમાત્ર એવો ખેલાડી છે જેણે IPLની તમામ સિઝનમાં એક જ ફ્રેન્ચાઇઝી તરફથી રહ્યો હોય. RCB અને વિરાટ કોહલી એકબીજાના પર્યાય બની ગયા હોય એવું કહી શકાય. એવામાં વિરાટે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
RCBના સોશિયલ મીડિયા પેજ પર શેર કરવામાં આવેલા એક ઇન્ટરવ્યુમાં, વિરાટે ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે, તેમની કારકિર્દીના એક તબક્કે, તેમણે ટીમ બદલવાનો વિચાર કર્યો હતો.
RCB પોડકાસ્ટમાં, કોહલીએ 2016 અને 2019 વચ્ચેના તેમના કારકિર્દીના મુશ્કેલ તબક્કા વિશે ખુલીને વાત કરી. આ સમય દરમિયાન, વિરાટ ભારતીય ક્રિકેટ ટીમ અને RCB ના કેપ્ટનની જવાબદારીને કારણે પ્રેસરમાં હતો. વિરાટે સ્વીકાર્યું કે વધતી જતી અપેક્ષાઓ અને પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરવા તેમને કેપ્ટનશીપ છોડવાની ફરજ પડી હતી.
‘મને ટીમ બદલવા સૂચનો મળતા હતાં’
વિરાટે કહ્યું “મેં આ પહેલા પણ કહ્યું છે. મને એક્ષપ્લોર કરવાની, બીજી ટીમમાં જવાની તક મળી હતી, ખાસ કરીને મારી કારકિર્દીના ટોચના વર્ષોમાં. પણ 2016-19 વચ્ચે મને ટીમ બદલવા માટે સતત સૂચનો મળતા રહ્યા હતાં. એક સમયે મારા માટે તે ખરેખર મુશ્કેલ બની ગયું કારણ કે મારી કારકિર્દીમાં ઘણું બધું ચાલી રહ્યું હતું. હું 7-8 વર્ષથી ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો હતો, 9 વર્ષ સુધી RCBની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. દરેક મેચમાં મારી પાસેથી બેટિંગની અપેક્ષાઓ રાખવામાં આવતી હતી.”
આ પણ વાંચો વાનખેડેમાં મુંબઈના આઠ વિકેટે 155 રન
‘મારે ખુશ રહેવાની જરૂર હતી’
વિરાટે કહ્યું, “મને સમજ નહોતી પડતી. હું એવી સ્થિતિમાં હતો જ્યાં મને ખબર નહોતી કે ‘શું કરવું’? હું 24×7 આ સ્થિતિનો સામનો કરી રહ્યો હતો, જે મારા માટે ખૂબ જ મુશ્કેલ બની ગયું. મેં નક્કી કર્યું કે મારે ટકી રહેવું હોય તો મારે ખુશ રહેવાની જરૂર છે. હું એવી સ્થિતિમાં રહેવા માંગતો હતો જ્યાં કોઈ મારા વિષે શું વિચારે છે એ ધ્યાનમાં લીધા વિના હું ફક્ત મારું ક્રિકેટ રમી શકું.”
વિરાટે RCB કેમ ના છોડી?
વિરાટ કોહલીએ સ્વીકાર્યું કે આ મુશ્કેલ વર્ષો દરમિયાન તેણે પ્રથમ વખત RCB છોડી દેવા વિષે વિચાર્યું હતું, પરંતુ તેણે એમ પણ કહ્યું કે એ ક્યારેય લલચાયો ન હતો. આખરે, RCBમાં વર્ષોથી બનાવેલા મૂલ્યવાન સંબંધો અને પરસ્પર આદર તેના માટે નવા સેટઅપ કરતાં વધુ મહત્વપૂર્ણ હતા.
કોહલીએ કહ્યું: “મેં તેના વિશે વિચાર્યું. મેં મારી જાતને પણ પ્રશ્ન પૂછ્યો કે ‘મારા માટે વધુ મૂલ્યવાન શું છે’. ‘મેં મારી કારકિર્દીમાં ભારત માટે સિદ્ધિઓ મેળવી છે. મને ઘણી પ્રશંસા પણ મળી છે. તેથી મારે નિર્ણય લેવો પડ્યો. શું હું એક નવા સેટઅપમાં જવા માંગુ છું? ત્યારે મને સમજાયું કે આ સંબંધ મારા માટે વધુ મૂલ્યવાન છે, જે ઘણા વર્ષોથી પરસ્પર આદરને કારણે બંધાયો હતો. અને હવે હું સ્પષ્ટ જોઈ શકું છું. અમે જીતીએ કે ન જીતીએ, કંઈ ફરક નથી પડતો. આ મારું ઘર છે.”