ટોપ ન્યૂઝનેશનલ

જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષનો પીએમ મોદીને પત્ર, જાણો શું માંગ કરી?

નવી દિલ્હી : દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની કેન્દ્ર સરકારે કરેલી જાહેરાત બાદ રાજકારણ ગરમાયું છે. જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાતિ આધારિત વસ્તી ગણતરી અંગે એક પત્ર લખ્યો છે. તેમણે પત્ર દ્વારા પીએમ મોદીને કેટલાક સૂચનો પણ આપ્યા છે.

દુઃખની વાત છે કે મને આ પત્રનો કોઈ જવાબ મળ્યો નથી
મલ્લિકાર્જુન ખડગેએ તેમના X એકાઉન્ટ પર પત્ર શેર કર્યો અને લખ્યું, કે મે 16 એપ્રિલ, 2023 ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગણી ઉઠાવતા પત્ર લખ્યો હતો. જોકે, દુઃખની વાત છે કે મને આ પત્રનો કોઈ જવાબ નથી મળ્યો.

કમનસીબે તમારા પક્ષના નેતાઓ અને તમે કોંગ્રેસ અને તેના નેતૃત્વ પર આ યોગ્ય માંગણી ઉઠાવવા બદલ હુમલો કર્યો છે. જે તમે આજે સ્વીકારો છો કે તે સામાજિક ન્યાય અને સશક્તિકરણના હિતમાં છે. તમે હવે જાહેરાત કરી છે કે આગામી વસ્તી ગણતરીમાં જાતિને એક અલગ શ્રેણી તરીકે સમાવવામાં આવશે. પરંતુ તેની વિગતો આપી નથી. મારી પાસે તમારા વિચારણા માટે ત્રણ સૂચનો છે.

જાતિ આધારિત વસ્તી ગણતરીમાં પ્રશ્નાવલીની રચના મહત્વપૂર્ણ
તેમણે વધુમાં ઉમેર્યું, જાતિ આધારિત વસ્તી ગણતરીમાં પ્રશ્નાવલીની રચના મહત્વપૂર્ણ છે. ગૃહ મંત્રાલયે પ્રશ્નાવલીને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા અને પૂછવામાં આવેલા પ્રશ્નોના સમૂહ બંને માટે તેલંગાણા મોડેલમાંથી પ્રેરણા લેવી જોઈએ. જાતિ આધારિત વસ્તી ગણતરીના પરિણામો ગમે તે હોય તે સ્પષ્ટ છે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે 50 ટકા અનામતની મનસ્વી મર્યાદા બંધારણીય સુધારા દ્વારા દૂર કરવી જોઈએ.

બંધારણમાં કલમ 15(5) 20 જાન્યુઆરી, 2006 થી લાગુ કરવામાં આવી હતી. તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી અને 29 જાન્યુઆરી, 2014 ના રોજ લાંબી સુનાવણી પછી તેને સમર્થન આપવામાં આવ્યું હતું. તે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને OBC માટે અનામતની જોગવાઈ કરે છે. તેનો અમલ થવો જોઈએ.

હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગોને અધિકારો
મલ્લિકાર્જુન ખડગેએ પત્રમાં એમ પણ કહ્યું હતું કે જાતિ આધારિત વસ્તી ગણતરી જેવી કોઈપણ પ્રક્રિયા જે આપણા સમાજના પછાત, પીડિત અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગોને અધિકારો પ્રદાન કરે છે તેને કોઈપણ રીતે વિભાજનકારી ન ગણી શકાય અને ન ગણવી જોઈએ.

મારા સૂચનો પર ગંભીરતાથી વિચાર કરશો
તેમણે વધુમાં કહ્યું, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માને છે કે આપણા બંધારણની પ્રસ્તાવનામાં સમાવિષ્ટ સામાજિક અને આર્થિક ન્યાય અને સ્થિતિ અને તકની સમાનતા સુનિશ્ચિત કરવા માટે ઉપરોક્ત ઉલ્લેખિત વ્યાપક રીતે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમજ સૂચનો પર ગંભીરતાથી વિચાર કરવા અપીલ કરી છે.

આપણ વાંચો : રાહુલ ગાંધીએ જાતિ આધારિત વસ્તી ગણતરીના નિર્ણય અંગે આપી આ પ્રતિક્રિયા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button