ટોપ ન્યૂઝનેશનલ

સુપ્રીમ કોર્ટમાં વકફ સુધારા કાયદા મુદ્દે સુનાવણી હવે 15 મેના રોજ હાથ ધરાશે…

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે વકફ સુધારા કાયદાની બંધારણીયતાને પડકારતી અરજી પરની સુનાવણી આગામી સપ્તાહ સુધી મુલતવી રાખી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયાધીશ પીવી સંજય કુમાર અને ન્યાયાધીશ કેવી વિશ્વનાથનની બેન્ચ આ કેસની સુનાવણી શરૂ કરી હતી. ત્યારે જ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચને આગામી અઠવાડિયા સુધી સુનાવણી મુલતવી રાખવા વિનંતી કરી. બેન્ચે તેમની માંગણી સ્વીકારી હતી. હવે આ મામલાની સુનાવણી આગામી ગુરુવાર 15 મેના રોજ થશે.

બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચ દ્વારા કરવામાં આવશે
આજની સુનાવણી દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ નોંધ્યું કે તેમણે સરકાર દ્વારા દાખલ કરાયેલી બધી દલીલો અને જવાબ વાંચ્યો છે. કોર્ટે કહ્યું કે નોંધણી અને ચોક્કસ ડેટાના આધારે મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. જેના પર અરજદારો દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે. કોર્ટે કહ્યું કે સીજેઆઈ ખન્નાની નિવૃત્તિ નજીક હોવાથી તે છેલ્લા તબક્કે પણ કોઈ નિર્ણય કે આદેશ અનામત રાખવા માંગતી નથી. તેથી આ હવે આ મામલાની સુનાવણી આગામી ગુરુવારે દેશના સીજેઆઈ બનવા જઈ રહેલા જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચ દ્વારા કરવામાં આવશે.

રાષ્ટ્રપતિની સંમતિ મળ્યા બાદ આ સુધારો અમલમાં આવ્યો
ઉલ્લેખનીય છે કે, વકફ મિલકતોનું નિયમન અને વ્યવસ્થાપન કરવા માટે સરકારે 1995ના વકફ કાયદામાં કેટલાક સુધારા કર્યા હતા. વિરોધ પક્ષો અને મુસ્લિમ સંગઠનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેમાં તેને ધાર્મિક અને મૂળભૂત અધિકારો પર અતિક્રમણ ગણાવ્યું છે. આ કાયદો લોકસભા દ્વારા 3 એપ્રિલે અને રાજ્યસભા દ્વારા 4 એપ્રિલે પસાર કરવામાં આવ્યો હતો. 5 એપ્રિલે રાષ્ટ્રપતિની સંમતિ મળ્યા બાદ આ સુધારો અમલમાં આવ્યો.

કેન્દ્ર સરકાર અને ઘણી ભાજપ શાસિત રાજ્ય સરકારો દ્વારા કોર્ટમાં કાયદાનો બચાવ કરવામાં આવી રહ્યો છે. જ્યારે પડકાર આપનારા કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદ અને ઓલ ઈન્ડિયા મજલિસ- એ- ઇત્તેહાદુલ-મુસ્લિમીનના સાંસદ અસદુદ્દીન ઓવૈસીના નામ ટોચ પર છે.

વિવાદાસ્પદ જોગવાઈઓ પર હાલમાં કોઈ અમલ નહિ કરે
છેલ્લી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને ખાતરી આપી હતી કે તે કાયદાની વિવાદાસ્પદ જોગવાઈઓ પર હાલમાં કોઈ અમલ નહિ કરે. જેમાં ઉપયોગના આધારે વકફ તરીકે ગણવામાં આવતી મિલકતો, કોર્ટ દ્વારા જાહેર કરાયેલ વકફ મિલકત અને વકફ બોર્ડ અથવા કાઉન્સિલમાં બિન-મુસ્લિમોના પ્રવેશનો સમાવેશ થાય છે.

આપણ વાંચો : ગુજરાતમાં Waqf Board પાસે અધધધ સંપત્તિઓ, સૌથી વધુ અમદાવાદમાં

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button