ઉત્સવ

વલો કચ્છ : 1 મે 1960 ગુજરાત મહારાષ્ટ્ર સાથે કચ્છ પણ અલગ રાજ્ય બની શક્યું હોત!

-ડૉ. પૂર્વી ગોસ્વામી

મોરારજી દેસાઈએ મહાગુજરાત ગુજરાત આંદોલન વખતે પ્રજાના મિજાજને ઓળખવામાં ભૂલ કરી હતી. એમનો તો કચ્છીઓ પ્રત્યેનો નિરુત્સાહ પણ આપણે કદી ભૂલી શકીએ તેમ નથી. આંદોલનમાં ગુજરાતનાં અનેક પ્રભાવી નામો પૈકીનું એક નામ હતું સનત મહેતાનું.

કચ્છ સાથે એકથી વધુ રીતે સંકળાયેલા પૂર્વ નાણાપ્રધાન સનતભાઇએ પોતાના લેખમાં વ્યક્ત કરેલ અફસોસ અનુસાર મહાગુજરાત આંદોલન વખતે મોરારજીભાઇએ એવું વિધાન કર્યું હતું કે, ‘કચ્છ જે મનીઓર્ડરના અર્થતંત્ર પર નભે છે, એનો ભાર ગુજરાત કેવી રીતે ઉપાડી શક્શે? ગુજરાત માટે કચ્છ બોજરૂપ થઇ પડશે એવું મોરારજીભાઇએ જાહેર નિવેદન કર્યું.’ મુંબઇ તો બીજું ક્ચ્છ હતું. ત્યાં મોટી સંખ્યામાં કચ્છી સ્થાયી થયા હતા તેમના દ્વારા મનીઓર્ડર દ્વારા મોકલાતાં નાણાં પર કચ્છમાં વસતા લોકો નભતા હોવાથી તેનું અર્થતંત્ર મનીઓર્ડર પર આધારિત છે એવી માન્યતા હતી. હકીકત તો એ છેકે કચ્છમાં વિકાસની મબલખ તકો રહેલી છે. આજે ઔદ્યોગિક અને કૃષિવિકાસની નોંધ લઈએ તો કચ્છ ગુજરાત માટે બોજ નહીં પણ નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું તેમ ‘ગુજરાતનું તોરણ’ છે. સ્વાભાવિક છે પ્રદેશને પાણી મળે તો એ પ્રજા સોળે કળાએ ખીલી ઊઠે!

આ પણ વાંચો: આજે ગુજરાતનો 65મો સ્થાપના દિવસ, જાણો ભાષાના આધારે બનેલા રાજ્યનો સંપૂર્ણ ઇતિહાસ

સ્વાતંત્ર્ય મળતાં જ રાજશાહીના વિલીનીકરણ સાથે ભાષાવાર અલગ રાજ્યોની માગણી પણ તીવ્ર બનતી ગઈ. તે બાબતે તત્કાલીન સરકારે કમિશનો નીમ્યાં અને ઠરાવો થતાં સ્વીકાર કે અસ્વીકારના જુવાળો ઊભા થયા. ગુજરાતની રચના પણ આને જ આભારી! પણ તેનાં મૂળિયાં સ્વાતંત્ર્ય પ્રાપ્તિની સાથે નખાઈ ગયા હતાં.

1920ના ભાષાવાર પ્રાંતરચનાના ઠરાવ બાદ 1948માં પ્રથમ વાર ગુજરાતના અલગ રાજ્યની ભલામણ થઈ હતી. ફરી 1953માં કેન્દ્ર સરકાર દ્વારા ફઝલઅલી પુન:રચના પંચ નીમવામાં આવ્યું તેમાં મહારાષ્ટ્ર અને ગુજરાત બે રાજ્યો રચવાની ભલામણ આવી, પણ આ વિચારના નકાર સાથે ‘બૃહદ મુંબઈ રાજ્ય’ની ભલામણ થઈ.

ઑગસ્ટ, 1956ના સંસદમાં મહારાષ્ટ્ર, મુંબઈ, કચ્છ-સૌરાષ્ટ્ર અને ગુજરાત સહિતના દ્વિભાષી રાજ્યનો ઠરાવ સ્વીકારાયો તે જ દિવસે અમદાવાદની લો કોલેજમાં વિદ્યાર્થીઓની સભામાં પગલાં સમિતિની રચના કરવામાં આવી; વિદ્યાર્થીઓએ સ્વયંભૂ દેખાવો શરૂ કર્યા; તેના જવાબમાં પોલીસે 8 ઓગસ્ટ, 1956ના કરેલ ગોળીબારમાં ચાર વિદ્યાર્થીઓ શહીદ થયા અને સો
જેટલા લોકો ઘવાયાં હતાં. તેમને વીરાંજલિ આપવા 13મી ઓગસ્ટ અમદાવાદમાં મહાગુજરાતના ‘શહીદ દિન’ તરીકે મનાવતા આંદોલનની ઉગ્રતા પ્રચાર ભણી આગળ વધતાં અમદાવાદ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છની સભાઓ ભરાવા લાગી.
પરંતુ મહાગુજરાત આંદોલનની તીવ્રતાના પગલે 1959ના અંતમાં રાષ્ટ્રીય કૉંગ્રેસ સમિતિએ વિભાજન માટે સંમતિ આપી ને ગુજરાત તો રચાયું પણ કચ્છીઓ કચ્છને અલગ રાજ્ય બનાવી લેવા ટૂંકા પડ્યા. પ્રાણલાલ શાહ, તરુણાવસ્થાથી તેમણે વિવિધ ચળવળોમાં નેતૃત્વ લીધેલ.

આ પણ વાંચો: ગુજરાત ડે- મહારાષ્ટ્ર ડે: આ બંને રાજ્યએ આપણા રાજનૈતિક ઇતિહાસ પર સૌથી વધુ પ્રભાવ પાડ્યો છે

તેથી તે જાણીતા બન્યા હતા. તેમનો ઇન્દુચાચા સાથે સંબંધ હતો એટલે જ્યારે ઇન્દુચાચાએ મહાગુજરાત આંદોલનનું સુકાન સંભાળ્યું, ત્યારે સ્વાભાવિક રીતે પ્રાણલાલ શાહ તેમાં ખેંચાયા અને ઝુકાવી જ દીધું અને અમદાવાદમાં સક્રિય રહ્યા. એ સિવાય આંદોલનમાં કચ્છનો ફાળો નહિવત કહેવાય. મહદઅંશે કચ્છ આ બધી બાબતોમાં શાંત અથવા તો નિષ્ક્રિય રહ્યું છે કહીએ તો ખોટું નથી.

આઝાદી વખતે પણ શ્યામજી કૃષ્ણવર્મા, કેપ્ટન સિસ્ટર્સ, યુસુફ મહેરઅલી વગેરે સિવાય કચ્છ શાંતભાવે લડાઈ લડયું હતું. કચ્છ ક વર્ગનું રાજ્ય બન્યું એ પછી તરત જ જયપુરમાં કૉંગ્રેસ મહાસમિતિનું અધિવેશન મળ્યું હતું, તેમાં સરદાર પટેલે કચ્છને પૂર્ણ રાજ્યનો દરજ્જો નથી અપાયો એમાં સબળ અને સક્ષમ નેતાગીરીનો અભાવ જવાબદાર હોવાનું જાહેરમાં કહ્યું હતું, પરંતુ રાજકીય વિવાદના પગલે સરદારે એ શબ્દો પાછા ખેંચી લેવાની ફરજ પડી.

અભ્યાસુઓનાં મત તો એવા છે કે, આ ચળવળમાં મુંબઈના મરાઠી ભાષી સૂત્ર ‘આમચી મુંબઇ’ સામે ગુજરાતી ભાષામાં ‘ગુજરાત મોરી રે’ સૂત્રોચ્ચારથી વારંવાર હિંસક અથડામણો થયેલ હતી. ચળવળ દરમિયાન જો કચ્છમાં પણ ‘એય વલ્લો મુંજો કચ્છડો’ નાં સૂત્રોચ્ચાર થયા હોત તો કચ્છને પણ અલગ રાજયની રચના માટેના આંદોલનને વેગ મળ્યો હોત અને કદાચ કચ્છ પણ 1લી મે ના સ્થાપના દિવસ ઉજવતું હોત!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button