ખેડામાં કૂવાની મોટરમાંથી વીજ કરંટ લાગતા ત્રણ લોકોના મોત, પથંકમાં અરેરાટી વ્યાપી

ખેડા: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આગરવા મહારાજના મુવાડા ગામમાં કરંટ લાગવાથી ત્રણ લોકોનું અકાળે મોત થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આગરવા મહારાજના મુવાડામાં કૂવાની મોટરમાંથી કરંટ લાગવાથી માત્રા, પુત્ર અને પુત્રીનું મોત થયું છે. વિગતો એવી મળી છે કે, બે વર્ષની છોકરી મીરાને ખેતરના કૂવાની મોટરમાંથી વીજળીનો કરંટ લાગ્યો હતો. જેથી તેની માતા અને ભાઈ તેને બચાવવા દોડી આવ્યા હતાં પરંતુ દીકરીને બચાવવા માટે જતા 39 વર્ષીય માતા ગીતાબેન અને આઠ વર્ષના પુત્ર દક્ષેશ પણ વીજ કરંટ લાગ્યો હતો.
ત્રણેયને બચાવવા જતા સાસુ લીલાબેનને પણ વીજળીનો આંચકો લાગ્યો
ત્રણેયને વીજ કરંટ લાગતા તેમનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું. માતા, પુત્ર અને પુત્રીને બચાવવા જતા સાસુ લીલાબેનને પણ વીજળીનો આંચકો લાગ્યો હતા. સાસુ લીલાબેનને વીજ કરંટ લાગવાથી ઇજા થતાં તેમને સારવાર માટે ડાકોર સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ સાથે માતા, દીકરી અને દીકરાને પણ આ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે લાવાવમાં આવ્યાં હતાં. ડાકોર પોલીસે પંચનામું કરીને માતા, પુત્ર અને પુત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
આ પણ વાંચો: બનાસકાંઠાઃ કાંકરેજના ઉંબરી ગામમાં માતા-પુત્ર સહિત ત્રણ લોકો વીજ કરંટથી મોત, ગામમાં શોકનો માહોલ…
મોટરથી કરંટ લાગતા ત્રણેય લોકોનું અકાળે મોત થયું
એક જ પરિવારના ત્રણ લોકોનું મોત થતાં પથંકમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો હતો. પહેલા બે વર્ષની દીકરીને કરંટ લાગ્યો હતો. જેથી તેને બચાવવા માટે માતા પણ દોડી આવી તો તેને પણ કરંટ લાગ્યો અને સાથે આઠ વર્ષના ભાઈને પણ કરંટ લાગ્યો હતો. આ ત્રણેય લોકોનું કરંટ લાગતા અકાળે મોત થયું છે. પરિવારજનો અત્યારે હ્રદય કંપાવતું રૂદન કરી રહ્યાં છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી હતી.