IPL 2025

પંજાબ સામે આજે ચેન્નઈ હારે એટલે થઈ જશે આઉટ અને પછી…

આજે પહેલી વાર ચારેય ઓપનર એવા હશે જેઓ નવો ઇતિહાસ રચશે

ચેન્નઈઃ આઇપીએલના પાંચ ટાઇટલ જીતી ચૂકેલી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમ આ વખતે નવમાંથી સાત મૅચ હારી છે અને જો આજે (સાંજે 7.30 વાગ્યાથી) હોમ-ગ્રાઉન્ડ પર પંજાબ કિંગ્સ (PBKS) સામે હારી જશે તો પ્લે-ઑફની રેસમાંથી સત્તાવાર રીતે બહાર થઈ જશે. જોકે અત્યાર સુધીમાં નવ મૅચમાં 21 ખેલાડી અજમાવી ચૂકેલી સીએસકેની ટીમ પચીસમાંના બાકીના ચાર પ્લેયરને પણ આજની અને આગામી મૅચોમાં અજમાવશે તો નવાઈ નહીં લાગે. બાવીસ વર્ષના બૅટ્સમૅન વંશ બેદી અને 27 વર્ષના પેસ બોલિંગ ઑલરાન્ડર રામક્રિષ્ન ઘોષને આજે અથવા આગામી મૅચમાં રમવા મળી શકે. શ્રેયસ ગોપાલ અને સી. આન્દ્રે સિદ્ધાર્થને પણ પહેલી વાર રમવાનો મોકો છે.

બીજી તરફ, શ્રેયસ ઐયરના સુકાનમાં પંજાબને આજે જીતીને પૉઇન્ટ્સ-ટેબલમાં ટૉપ-ફોરમાં આવવાનો મોકો છે.
ઋતુરાજ ગાયકવાડ ઈજાને કારણે સ્પર્ધાની બહાર થયો ત્યારે ધોનીને ફરી સુકાન સંભાળવાનું કહેવામાં આવ્યું હતું. જોકે એ વખતે ચેન્નઈની ટીમ ઘણા પરાજયના ઝટકા સહન કરી ચૂકી હતી એટલે ટીમને ફરી બેઠી કરવાનું ધોની માટે અસંભવ હતું. વર્ષોથી ચેન્નઈમાં ચેપૉકનું મેદાન સીએસકે માટે ગઢ મનાતું હતું, પરંતુ આ વખતે ઘણી ટીમોએ એને એના એ ગઢમાં જ હરાવી છે. એમાં ખાસ કરીને રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી)એ સીએસકેને ચેપૉકમાં 17 વર્ષે હરાવવામાં સફળતા મેળવી છે.

ચેન્નઈ આજે જીતીને પ્લે-ઑફ માટેની નહીંવત સંભાવના જીવંત રાખી શકે.
આઇપીએલ (IPL)ના ઇતિહાસમાં આજે પહેલી જ વાર બન્ને ટીમના બે-બે એટલે કુલ ચારેય ઓપનર એવા હશે જેઓ હજી સુધી ભારત વતી આંતરરાષ્ટ્રીય મૅચ રમ્યા નથી. એમાં પંજાબના પ્રિયાંશ આર્ય તથા પ્રભસિમરન સિંહનો અને ચેન્નઈના આયુષ મ્હાત્રે તથા શેખ રાશીદનો સમાવેશ છે.

સૂર્યવંશીના મિત્ર આયુષ પર સૌની નજરઃ
મુંબઈનો 17 વર્ષીય ઓપનિંગ બૅટ્સમૅન આયુષ મ્હાત્રે આ વખતે પહેલી બે મૅચમાં ઘણાને પ્રભાવિત કરી ચૂક્યો છે. બે દિવસ પહેલાં જયપુરમાં ઐતિહાસિક સેન્ચુરી ફટકારનાર રાજસ્થાન રૉયલ્સના 14 વર્ષના વૈભવ સૂર્યવંશીના અન્ડર-19 ટીમના મિત્ર આયુષે ચેન્નઈ વતી બે મૅચમાં અનુક્રમે 32 અને 30 રન કર્યા છે. ચડિયાતા પુરવાર થવા આજે ખરો મુકાબલો પંજાબના શિવમ દુબે અને ચેન્નઈના અર્શદીપ સિંહ વચ્ચે જોવા મળશે.

ખલીલ અહમદ પાવરપ્લેમાં એક્કોઃ
ચેન્નઈનો ખલીલ અહમદ આ વખતની સીઝનમાં પાવરપ્લેમાં સર્વશ્રેષ્ઠ સાબિત થયો છે. તેણે નવ મૅચમાં પાવરપ્લેની (શરૂઆતની છ) ઓવર્સમાં કુલ આઠ વિકેટ લીધી છે જે તમામ બોલર્સમાં સૌથી વધુ છે.


બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-ઇલેવન

ચેન્નઈઃ મહેન્દ્રસિંહ ધોની (કૅપ્ટન), આયુષ મ્હાત્રે, શેખ રાશીદ, સૅમ કરૅન, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, વંશ બેદી/દીપક હૂડા/વિજય શંકર, અંશુલ કંબોજ/આર. અશ્વિન, નૂર અહમદ, ખલીલ અહમદ અને 12મો પ્લેયરઃ મથીશા પથિરાના.

પંજાબઃ શ્રેયસ ઐયર (કૅપ્ટન), પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ, ગ્લેન મૅક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ/જૉશ ઇંગ્લિસ, નેહલ વઢેરા, શશાંક સિંહ, માર્કો યેનસેન, અઝમતુલ્લા ઓમરઝાઇ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્રસિંહ ચહલ અને 12મો પ્લેયરઃ હરપ્રીત બ્રાર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button