ટોપ ન્યૂઝનેશનલ

પહેલગામ હુમલા બાદ કાશ્મીરમાંથી કેટલા ગુજરાતીઓને એરલિફ્ટ કરવામાં આવ્યા? જાણો

અમદાવાદઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી સહિત 26 લોકોના મૃત્યુ થયા હતા. આતંકી હુમલા બાદ કાશ્મીર ફરવા ગયેલા ગુજરાતી પ્રવાસીઓ ફફડી ઉઠ્યા હતા અને જ્યાં હતા ત્યાં જ રોકાઈ ગયા હતા. મોટાભાગના લોકોએ હોટલમાંથી બહાર નીકળવાનું ટાળ્યું હતું. ગુજરાત સરકારને ગુરુવાર સુધીમાં 194 પ્રવાસીઓ કાશ્મીરમાં ફસાયા હોવાની વિગત મળી હતી, જે બાદ તાત્કાલિક તેમને બચાવવાની યોજના શરૂ કરી હતી. પ્રથમ તબક્કામાં 40 મુસાફરોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.

અધિકારીઓએ પ્રવાસીઓ સાથે કરી સીધી વાત

મુખ્ય પ્રધાન કાર્યાલય દ્વારા રાહત અને બચાવ વિભાગ તથા ગુજસેલને આ અંગે તાત્કાલિક વ્યવસ્થા કરવાનો નિર્દેશ આપ્યો હતો. ગુજસેલે ચાર્ટર ફ્લાઇટ ક્વોટ માટે ઇન્ડિગો, સ્પાઇસજેટ અને સ્ટાર એર સહિત અનેક એરલાઇન્સનો સંપર્ક કર્યો હતો. અધિકારીઓએ પ્રવાસીઓ સાથે સીધી વાત કરી હતી. જેમાં મોટાભાગના પ્રવાસીઓએ તેઓ વૈષ્ણો દેવી અને કટરા યાત્રા ચાલુ રાખી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

રાહત વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, માત્ર 40 પ્રવાસીઓ જ તાત્કાલિક પાછા ફરવા સંમત થયા હતા. આ લોકો ગુરુવારે મોડી રાત્રે પરત ફર્યા હતા. પાકિસ્તાને ભારતીય ફ્લાઇટ્સ માટે તેની એર સ્પેસ બંધ કરી દીધી છે. જેના કારણે યુકે, યુરોપ, ઉત્તર અમેરિકા અને મધ્ય પૂર્વના રૂટને અસર થશે. એરલાઇન્સે મુસાફરોને અપડેટ્સ માટે તેમની વેબસાઇટ્સ ચેક કરતાં રહેવા જણાવ્યું છે.

ગુજરાત સરકારે જાહેર કર્યો હેલ્પ લાઈન નંબર

ગુજરાતના પ્રવાસીઓ હેમખેમ વતનમાં પરત ફરે તે માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકાર જરૂરી વ્યવસ્થાઓ કરી રહી છે. રાજ્યના પ્રવાસીઓ હેમખેમ વતમાં પરત ફરે તે માટે રાજ્ય સરકારે બે હેલ્પલાઈન નંબર શરૂ કર્યા હતા. મુખ્ય પ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાના પગલે ત્યાં પ્રવાસ અર્થે ગયેલ ગુજરાતના પરિવારોની સુરક્ષા અને સલામતી માટે રાજ્ય સરકાર જમ્મુ કાશ્મીર તંત્ર સાથે સતત સંકલનમાં છે. રાજ્ય સરકારે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે બે હેલ્પલાઇન નંબર શરૂ કર્યા છે. યાત્રિકો અને તેમના પરિવારજનો લેન્ડલાઈન નંબર 079-23251900 અને મોબાઈલ નંબર 99784 05304 પર સંપર્ક કરીને સુરક્ષા વિષયક બાબતો તેમજ ગુજરાત પરત ફરવા અંગે સંકલન સાધી શકશે, તેમજ જરૂરી મદદ મેળવી શકાશે.

આ પણ વાંચો…પહેલગામ હુમલોઃ સુરત-ભાવનગર હીબકે ચડ્યું, પરિવારજનોનું હૈયાફાટ રૂદન

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button