
મુંબઇ : ભારતીય રિઝર્વ બેંકે બુધવારે અમદાવાદ સ્થિત કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કર્યું છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંક પાસે ન તો પૂરતી મૂડી હતી અને ન તો તેની પાસે કમાણીની કોઈ સંભાવના હતી. આ ઉપરાંત આ બેંક બેંકિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ કેટલાક મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવામાં પણ નિષ્ફળ રહી છે. જેના કારણે આ મોટું પગલું ભરવું પડ્યું.
ભારતીય રિઝર્વ બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગુજરાત સહકારી મંડળીઓના રજિસ્ટ્રારને પણ બેંક બંધ કરવાનો આદેશ જારી કરવા અને બેંક માટે લિક્વિડેટરની નિમણૂક કરવા વિનંતી કરવામાં આવી છે.
કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંકે બેંકિંગ વ્યવસાય બંધ કર્યો
રિઝર્વ બેંકે કહ્યું, કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંક દ્વારા કામગીરી ચાલુ રાખવી ગ્રાહકોના હિત માટે હાનિકારક છે. તેની વર્તમાન નાણાકીય સ્થિતિને કારણે બેંક તેના ગ્રાહકોને સંપૂર્ણ રકમ ચૂકવી શકશે નહીં.આરબીઆઈએ કહ્યું કે જો બેંકને તેનો બેંકિંગ વ્યવસાય આગળ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવશે, તો તેની ગ્રાહકો પર પ્રતિકૂળ અસર પડશે. લાઇસન્સ રદ થયા પછી સહકારી બેંક બુધવાર ના રોજ બેકિંગ અવર્સ બાદ બંધ રહેશે. બેંકિંગ વ્યવસાયમાં અન્ય બાબતોની સાથે રોકડ જમા કરાવવા અને થાપણોની ચુકવણીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: આરબીઆઈ આજે જાહેર કરી શકે છે રેપો રેટમા ઘટાડાની જાહેરાત, લોન લેનારાઓને થશે ફાયદો…
98.51 ટકા ગ્રાહકોને બધા રૂપિયા મળશે
લિક્વિડેર પાસેથી દરેક ગ્રાહક ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) તરફથી ફક્ત 5 લાખ રૂપિયાની નાણાકીય મર્યાદા સુધીની તેમની થાપણો પર વીમા દાવાની રકમ મેળવવા માટે હકદાર રહેશે. રિઝર્વ બેંકે વધુમાં જણાવ્યું હતું કે સહકારી બેંક દ્વારા સબમિટ કરાયેલા ડેટા મુજબ, લગભગ 98.51 ટકા ગ્રાહકો DICGC પાસેથી તેમની થાપણોની સંપૂર્ણ રકમ મેળવવા માટે હકદાર છે. 31 માર્ચ 2014 સુધીમાં DICGC એ બેંકના ગ્રાહકોને 13.94 કરોડ રૂપિયા ચૂકવી દીધા છે.