આરબીઆઇ લિક્વિડિટી વધારવા માટે સિસ્ટમમાં ₹ 40 હજાર કરોડ ઠાલવશે

મુંબઇ: આરબીઆઇ અર્થતંત્રમાં પ્રવાહિતા વધારવા માટે બેન્કિંગ સિસ્ટમમાં રૂ. 40 હજાર કરોડ ઠાલવશે. ભારતીય રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે તે 17 એપ્રિલના રોજ વિવિધ પાકતી મુદતની સરકારી સિક્યોરિટીઝ ખરીદશે, જેની કુલ કિંમત 40,000 કરોડ રૂપિયા છે. બેન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટી વધારવા માટે ચાલુ નાણાકીય વર્ષમાં રિઝર્વ બેન્ક દ્વારા સિક્યોરિટીઝની આ ત્રીજી ઓપન માર્કેટ ઓપરેશન (ઓએમસી) ખરીદી હશે.
નોંધવું રહ્યું કે, 20,000 કરોડ રૂપિયાની પહેલી ખરીદી 3 એપ્રિલે કરવામાં આવી હતી, જ્યારે એટલી જ રકમની બીજી ખરીદી આઠમી એપ્રિલે કરવામાં આવી હતી અને હવે 17 એપ્રિલે ત્રીજી ખરીદી કરવામાં આવશે. સત્તાવાર આંકડા દર્શાવે છે કે જાન્યુઆરી 2025થી અત્યાર સુધીમાં, રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ બેન્કિંગ સિસ્ટમમાં લગભગ સાત લાખ કરોડ રૂપિયા રોકેલા છે. આ સાથે જ લિક્વિડિટી વધારવા માટે આરબીઆઇએ આ વર્ષે ફેબ્રુઆરી અને એપ્રિલ મહિનામાં બે વખત રેપો રેટમાં ઘટાડો કર્યો છે. જેના કારણે બેન્કો અને એનબીએફસી તરફથી મળતી લોન પરના વ્યાજ દરમાં ઘટાડો થયો છે.
આ પણ વાંચો: અમારી વ્યથા આરબીઆઇ સમજે…બૅંકના ડિપોઝિટરોએ કરી અરજી: બૅંકને ફરી ધમધમતી કરવાની અરજ…
બેન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટી વધારવા માટે, આરબીઆઇ ઓપન માર્કેટ ઓપરેશન, ડોલર રૂપિયા સ્વેપ અને વેરિયેબલ રેપો રેટ જેવી ઘણી પદ્ધતિઓ અપનાવે છે. ઓપન માર્કેટ ઓપરેશન એટલે આ પોલિસી હેઠળ મની સપ્લાય કંટ્રોલ માટે, બેન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટી વધારવા અને અર્થતંત્રને વેગ આપવા માટે, આરબીઆઇ સરકારી સિક્યોરિટીઝ ખરીદે છે, જેનાથી બેન્કમાં પૈસા આવે છે. જેના કારણે બેન્કને વધુ લોન આપી શકે છે અને આર્થિક વિકાસને વેગ મળે છે. તેવી જ રીતે, જો માર્કેટમાં વધુ લિક્વિડિટી જણાય તો તે ઘટાડવા માટે આરબીઆઇ સરકારી સિક્યોરિટીઝ વેચે છે, જેનાથી બેન્કની લોન આપવાની ક્ષમતા ઘટશે અને તેથી માર્કેટમાં ઓછા પૈસા પહોંચશે. ઓપન માર્કેટ ઓપરેશન્સ એ એક સાધન છે જેનો ઉપયોગ આરબીઆઇ ફુગાવો, વ્યાજ દર અને નાણાં પુરવઠાને નિયંત્રિત કરવા માટે કરે છે.