
અમદાવાદ: ગુજરાતમાં વર્ષ 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશને અનેક રાજકીય ચર્ચાઓ વહેતી કરી છે. જેમા કોંગ્રેસ ગુજરાતમાં બેઠી થવા કમર કસી રહી છે. તેમજ કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ રાહુલ ગાંધી સહિતના નેતા દેશની જેમ ગુજરાતમા જાતિ આધારિત ગણતરીને મુદ્દો બનાવવા માંગે છે. જોકે, રાજયના સ્થાનિક નેતાઓ ભૂતકાળના અનુભવના આધારે આ મુદ્દાનો વિરોધ કરી રહ્યા છે. જેના પગલે કોંગ્રેસના ગુજરાત માટેના વર્ષ 2027ના રોડમેપ અંગે કોંગ્રેસમા અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે.
કોંગ્રેસના સત્ર દરમિયાન ઘણા નેતાઓ હોલ છોડીને ચાલ્યા ગયા
જેમા મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટીમાં નવો ઉત્સાહ ભરવા માંગે છે. તેવો વર્ષ 2017 ની જેમ ગુજરાતમાં ભાજપને પડકારવાની યોજના બનાવી રહ્યા છે. જોકે, ગુજરાત કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓ તેમની યોજનાથી ખુશ નહિ હોવાની ચર્ચા છે. અહેવાલો અનુસાર કોંગ્રેસના સત્ર દરમિયાન ઘણા નેતાઓ હોલ છોડીને ચાલ્યા ગયા હતા. તેમણે કહ્યું કે આ યોજના ખૂબ જ નિરાશાજનક હોવાથી હવે આ સહન કરવું મુશ્કેલ છે.
ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ પણ આ જ ભૂલ કરી હતી
ગુજરાતમાં કોંગ્રેસના નવા પ્રસ્તાવ અંગે નેતાઓમાં અસંતોષ જોવા મળ્યો. ઇન્ડિયા કન્વેન્શન સેન્ટરમાં ગુજરાત અંગે એક નવો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવમાં રાજ્યમાં જાતિ વસ્તી ગણતરી, અનુસૂચિત જાતિ અને જનજાતિ, પછાત વર્ગો અને લઘુમતીઓ પર વધુ ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે. કોંગ્રેસ ગુજરાતમાં સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવા માંગે છે. જ્યારે ગુજરાત કોંગ્રેસના ઘણા નેતાઓ તેને ભૂલ માની રહ્યા છે. તેમનું કહેવું છે કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવ સિંહ સોલંકીએ પણ આ જ ભૂલ કરી હતી.
આ પણ વાંચો: કોંગ્રેસના અધિવેશનમાં યુપીના નેતા આલોક મિશ્રાએ સંગઠનની નિયુક્તિ પર ઊઠાવ્યા સવાલ, જાણો શું કહ્યું?
ગુજરાતને જાતિ આધારિત રાજકારણથી દૂર રાખવું જોઈએ
અહેવાલ મુજબ, એક નેતાએ જણાવ્યું હતું કે પૂર્વ સીએમ માધવ સિંહ સોલંકીએ ખામ થીયરીનો અમલ કર્યો હતો. જેમા ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમને સાથે રાખ્યા હતા. તેમજ સમાજના સવર્ણ વર્ગને હાંસિયામા ધકેલ્યો હતો. જેના પગલે પાર્ટીને વર્ષ 1985માં 149 બેઠકો મળી હતી. જોકે, આનાથી પાટીદારો અને ઉચ્ચ જાતિઓ અલગ થઈ ગઈ. તેના પરિણામો વર્ષ 1990 માં જોવા મળ્યા અને પાર્ટીને માત્ર 32 બેઠકો મળી. પાર્ટીના એક કાર્યકર્તાએ કહ્યું કે, આવો ઇતિહાસ આપણી સામે છે. મારું માનવું છે કે રાહુલ ગાંધીએ ગુજરાતને જાતિ આધારિત રાજકારણથી દૂર રાખવું જોઈએ.
આ પણ વાંચો: રાહુલ ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં કહ્યું, આપણે દલિત-મુસ્લિમોમાં ફસાયેલા રહ્યા ને ઓબીસી દૂર થઈ ગયા….
છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ફક્ત 11 બેઠકો મળી હતી
આ પ્રસ્તાવ સૌરાષ્ટ્રના પાટીદાર ચહેરા પરેશ ધાનાણીએ રજૂ કર્યો હતો. રાહુલ ગાંધી માને છે કે આ ફોર્મ્યુલા તેમને ગુજરાતમા પક્ષને ઉભો કરવામા મદદ કરશે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ફક્ત 11 બેઠકો મળી હતી. જે અત્યાર સુધીની સૌથી ઓછી બેઠકો હતી. ઘણા કોંગ્રેસના નેતાઓ કહે છે કે આવા વચનોથી કોઈ ફાયદો થશે નહીં.