રિઝર્વ બેંકે રેપો રેટમા ઘટાડો કર્યા બાદ ચાર બેંકોએ હોમ અને કાર લોનના વ્યાજ દરમા ઘટાડો કર્યો

મુંબઇ : દેશના અર્થતંત્રને વેગ આપવા નાણાકીય નીતિની સમીક્ષા બાદ ભારતીય રિઝર્વ બેંકે બુધવારે 9 એપ્રિલના રોજ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. આ નવા ઘટાડા પછી રેપો રેટ હવે 6.25 ટકાથી ઘટીને 6.00 ટકા થઈ ગયો છે. RBI દ્વારા રેપો રેટ ઘટાડ્યા બાદ, દેશની 4 સરકારી બેંકોએ લોનના વ્યાજ દરમાં 0.35 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. બુધવારે મોડી સાંજે પંજાબ નેશનલ બેંક અને ઇન્ડિયન બેંકે વ્યાજ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી. આ અગાઉ બેંક ઓફ ઈન્ડિયા અને યુકો બેંકે પણ લોનના વ્યાજ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.
ઇન્ડિયન બેંકે વ્યાજ દર 0.35 ટકા ઘટાડીને 8.70 ટકા કર્યો
આ જાહેર ક્ષેત્રની બેંકોના વ્યાજ દર ઘટાડવાના આ નિર્ણયથી તેમના હાલના અને નવા ગ્રાહકો બંનેને ફાયદો થશે. આ 4 બેંકો સાથે અન્ય બેંકો પણ ટૂંક સમયમાં વ્યાજ દર ઘટાડવાનું શરૂ કરશે. આ સરકારી બેંકોએ શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે લોન વ્યાજ દરમાં આ ઘટાડો આરબીઆઇ દ્વારા રેપો રેટમાં ઘટાડો કર્યા પછી કરવામાં આવ્યો છે. ઇન્ડિયન બેંકે જણાવ્યું હતું કે 11 એપ્રિલથી રેપો આધારિત ધિરાણ દર (RBLR) 9.05 થી 0.35 ટકા ઘટાડીને 8.70 ટકા કર્યો છે.
પીએનબીએ વ્યાજ દર 9.10 ટકા થી ઘટાડીને 8.85 ટકા કર્યો
આ દરમિયાન પંજાબ નેશનલ બેંકે ગુરુવારથી તેના રેપો-આધારિત ધિરાણ દર (RBLR) માં 0.25 ટકાનો ઘટાડો કરીને 9.10 ટકાથી 8.85 ટકા કર્યો છે. બેંક ઓફ ઈન્ડિયાએ પણ RBLR 0.25 ટકા ઘટાડીને 8.85 ટકા કર્યો છે. જે પહેલા 9.10 ટકા હતો. બેંક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે નવા દર બુધવારથી અમલમાં આવશે. આ ઉપરાંત, યુકો બેંકે જણાવ્યું હતું કે તેણે ગુરુવારથી ધિરાણ દર ઘટાડીને 8.8 ટકા કર્યા છે.
આ પણ વાંચો: RBI એ લોન ધારકોને આપી રહાત; રેપો રેટમાં આટલા બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો
એફડીના વ્યાજ દરમા ઘટાડો થયો
એક તરફ આરબીઆઇ દ્વારા રેપો રેટમાં ઘટાડાથી લોન લેતા ગ્રાહકોને ફાયદો થશે. તો બીજી તરફ ફિક્સ્ડ ડિપોઝીટ પૈસા જમા કરાવતા નવા ગ્રાહકોને આના કારણે નુકસાન થશે. જ્યારે આરબીઆઇ રેપો રેટમાં ઘટાડો કરે છે, ત્યારે લોન પરના વ્યાજ દરોની સાથે એફડીપરના વ્યાજમા પણ ઘટાડો થાય છે.