ઔરંગઝેબની કબર ધરાવતા શહેરનું નામ ખુલતાબાદથી બદલીને રત્નાપુર કરાશે

મુંબઈ: મહારાષ્ટ્રમાં ઔરંગઝેબ પરનો વિવાદ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યો. હવે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સરકારના એક પ્રધાન સંજય શિરસાટે ખુલતાબાદ શહેરનું નામ બદલવાની જાહેરાત કરી છે. અગાઉ સરકારે ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર કર્યું હતું.
મહારાષ્ટ્રમાં ઔરંગઝેબ પર ચાલી રહેલા હોબાળા વચ્ચે એકનાથ શિંદેની પાર્ટીના નેતા અને રાજ્યના સામાજિક ન્યાય ખાતાના પ્રધાન સંજય શિરસાટે ખુલતાબાદ શહેરનું નામ બદલવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે મુઘલ સમ્રાટ ઔરંગઝેબની કબર ધરાવતા ખુલતાબાદ શહેરનું નામ બદલીને રત્નાપુર કરવામાં આવશે.
અહીં ઉલ્લેખનીય છે કે આ પ્રધાન, રાજ્યના કેટલાક અન્ય નેતાઓ અને જમણેરી સંગઠનો છત્રપતિ સંભાજીનગર શહેરથી લગભગ પચીસ કિમી દૂર આવેલા ખુલતાબાદમાંથી ઔરંગઝેબની કબર હટાવવાની પણ માગણી કરી રહ્યા છે. આ વિસ્તારમાં ઔરંગઝેબ, તેમના પુત્ર આઝમ શાહ, નિઝામ આસફ જાહ અને અન્ય ઘણા લોકોની કબરો આવેલી છે.
આ પણ વાંચો: ઔરંગઝેબપુર હવે શિવાજી નગરના નામે ઓળખાશે, ઉત્તરાખંડ સરકારે ઈદના દિવસે સ્થળોના નામ બદલ્યા…
‘ઔરંગઝેબની કબર માટે મહારાષ્ટ્રમાં કોઈ જગ્યા નથી’
ગયા મહિનાની શરૂઆતમાં શિરસાટે કહ્યું હતું કે, છત્રપતિ સંભાજી મહારાજને ત્રાસ આપીને મારી નાખનાર ક્રૂર સમ્રાટ ઔરંગઝેબની કબર માટે મહારાષ્ટ્રમાં કોઈ સ્થાન નથી. ગયા અઠવાડિયે પત્રકારો સાથે વાત કરતા શિરસાટે કહ્યું હતું કે છત્રપતિ સંભાજીનગર પહેલા ખડકી તરીકે ઓળખાતું હતું અને બાદમાં તેનું નામ બદલીને ઔરંગાબાદ રાખવામાં આવ્યું.
‘રત્નાપુરનું નામ બદલીને ખુલતાબાદ કરવામાં આવ્યું’
શિવસેનાના નેતાએ કહ્યું હતું કે, ‘ખુલતાબાદ પહેલા રત્નાપુર તરીકે ઓળખાતું હતું. ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન ઘણી જગ્યાઓના નામ બદલવામાં આવ્યા હતા. અમે ખુલતાબાદનું નામ બદલીને ફરીથી રત્નાપુર કરવા જઈ રહ્યા છીએ.
છત્રપતિ સંભાજીનગર જિલ્લાના પાલક પ્રધાને જણાવ્યું હતું કે, ‘અમે તે તમામ સ્થળોના નામ બદલવાની પ્રક્રિયામાં છીએ જેના નામમાં ‘બાદ’ આવે છે.’ જેમ કે- ઔરંગાબાદ. ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન રત્નાપુરનું નામ ખુલતાબાદ રાખવામાં આવ્યું હતું.
સરકાર પણ સ્મારક બનાવવા માટે સકારાત્મક છે
શિરસાટે કહ્યું હતું કે સરકાર ખુલતાબાદમાં સ્મારક બનાવવા અંગે પણ સકારાત્મક છે. આ સ્મારકમાં છત્રપતિ શિવાજી મહારાજ અને તેમના પુત્ર સંભાજી મહારાજના ઇતિહાસનું સાક્ષી બનશે.