મને લોકસભામાં બોલવા દેવામાં આવતો નથીઃ રાહુલ ગાંધી, અધ્યક્ષે વિપક્ષ નેતાને કરી આ ટકોર

નવી દિલ્હીઃ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ગૃહની ગરિમા જળવાય અને નિયમોનું પાલન થાય તેવી ટકોર કરી હતી. તેમણે કેમ આમ કહ્યું તે અંગે સ્પષ્ટ થઈ શક્યું નથી. આ અંગે રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હું તો કંઈ બોલ્યો નથી, હું ચૂપચાપ બેઠો હતો. વિપક્ષને બોલવા જ દેવામાં આવતા નથી.
રાહુલ ગાંધીએ શું કહ્યું?
લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, જ્યારે તેઓ બોલવા માટે ઉભા થાય છે ત્યારે તેમને બોલવા દેવામાં આવતા નથી. ગૃહ કઈ રીતે ચાલી રહ્યું છે તે હું જાણતો નથી. રાહુલ ગાંધીએ કહ્યું, અહીંયા અમે જે બોલવા માંગીએ છીએ તે કહેવા દેવામાં આવતું નથી. મેં કશું કર્યુ નથી, હું શાંતિથી બેઠો હતો. લોકતંત્રમાં સરકાર અને વિપક્ષને સ્થાન હોય છે. પરંતુ અહીંયા વિપક્ષ માટે કોઈ જગ્યા નથી. અહીંયા માત્ર સરકારને જ જગ્યા છે. જે દિવસે વડા પ્રધાન મોદી કુંભ મેળા અંગે બોલ્યા તેમાં હું મારી વાત કરવા માંગતો હતો. હું રોજગારી અંગે કહેવા માંગતો હતો પરંતુ મને બોલવા ન દીધો.
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું, તમારી પાસેથી ગૃહમાં શિષ્ટાચાર અને શિષ્ટાચારના ઉચ્ચ ધોરણો જાળવવાની અપેક્ષા રાખવામાં આવે છે. મને એવા ઘણા કિસ્સાઓ ધ્યાનમાં છે જ્યાં સાંસદોનું વર્તન ગૃહના શિષ્ટાચાર અને પરંપરાઓના ઉચ્ચ ધોરણોને અનુરૂપ ન હતું. પિતા, પુત્રી, માતા, પત્ની અને પતિ આ ગૃહના સભ્યો રહ્યા છે. તેથી વિપક્ષના નેતા નિયમો મુજબ વર્તન કરે તેવી હું આશા રાખું છું.
આ પણ વાંચો…બળાત્કારના પ્રયાસ અંગે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા રાહુલ ગાંધીએ તેમની બહેન પ્રિયંકા ગાંધીનું ઉભા થઈને અભિવાદન કર્યું હતું. આ અંગે અનેક પ્રકારની કોમેન્ટ આવી હતી. કૉંગ્રેસના સાંસદોએ ગૃહમાં એમ પણ કહ્યું કે જ્યારે પીએમ ગૃહમાં આવે છે, ત્યારે ભાજપના બધા સાંસદો ઉભા થઈ જાય છે, આ ગૃહનું અપમાન છે.