રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવશે? પુતિન-ઝેલેન્સ્કી આ પાંચ શરતો માનશે તો સ્થપાશે શાંતિ…

મોસ્કો: ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ(Russia Ukraine War)નો ઉકેલ લાવવા માટે અમેરિકાના પ્રયાસોમાં સફળતા મળી રહી હોય એવું લાગી રહ્યું છે, હાલ 30 દિવસ માટે આંશિક યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો છે. રશિયાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કર્યા બાદ 30 દિવસ સુધી યુક્રેનના ઉર્જા કેન્દ્રો પર હુમલો ન કરવા સંમત થયા છે. જોકે, આ યુદ્ધને સંપૂર્ણ રીતે સમાપ્ત કરવા માટે રશિયા-યુક્રેન બંનેએ પાંચ શરતોનું પાલન કરવું પડશે.
આ પણ વાંચો :રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવશે! યુક્રેનનો મોટો નિર્ણય, જાણો અમેરિકાએ શું કહ્યું…
કેદીઓની આપ-લે:
રશિયા અને યુક્રેન વચ્ચે કેદીઓની આપલે માટે કરાર થયો છે. બંને દેશોના 175-175 કેદીઓને મુક્ત કરવામાં આવશે. આ ઉપરાંત, રશિયા ગંભીર રીતે ઘાયલ 23 યુક્રેનિયન સૈનિકોને યુક્રેનને સોંપશે, આ પગલું શાંતિ મંત્રણાને આગળ વધારવા માટે એક સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે કેદીઓની મુક્તિથી બંને દેશો વચ્ચે વિશ્વાસ વધશે અને કાયમી યુદ્ધવિરામના માટે મજબૂત પાયો નંખાશે.
બ્લેક સીમાં જહાજો પર કોઈ હુમલા નહી થાય:
પુતિન સંમત થયા છે કે રશિયા હવે બ્લેક સીમાં વેપારી જહાજો અથવા અન્ય દરિયાઈ સંપત્તિઓ પર હુમલો કરવામાં નહીં આવે. આ નિર્ણયને કારણે બ્લેક સી મારફતે થતા વૈશ્વિક વેપાર સુરક્ષિત થશે અને યુક્રેનને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો અને લશ્કરી સહાય ચાલુ રાખવાની મંજૂરી આપશે.
કાયમી યુદ્ધવિરામ માટે વાટાઘાટો:
હાલમાં 30 દિવસ માટે યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો છે, પરંતુ કાયમી ઉકેલ શોધવા માટે રશિયા અને યુક્રેન વચ્ચે વાટાઘાટો થશે. આ મુદ્દા અંગે, રશિયા અને અમેરિકાએ એક સંયુક્ત નિષ્ણાત સમિતિ બનાવવાનો નિર્ણય લીધો છે, જે યુદ્ધવિરામને કાયમી ધોરણે લાગુ કરવા માટે ઉકેલ શોધશે. આ કરાર હેઠળ, યુક્રેનને કોઈપણ નવી લશ્કરી ભરતી બંધ કરવી પડશે અને શસ્ત્રોનો પુરવઠો પણ બંધ કરવો પડશે.
ઊર્જા કરાર:
પુતિન અને ઝેલેન્સકી સંમત થયા છે કે ઉર્જા ક્ષેત્ર પરના હુમલાઓ સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. આ કરારનો ઉદ્દેશ્ય યુક્રેન અને રશિયા બંનેની અર્થવ્યવસ્થાને સ્થિર કરવાનો અને યુરોપમાં ઉર્જા સંકટ ઘટાડવાનો છે. રશિયા અને અમેરિકા આ સંદર્ભમાં લાંબા ગાળાની ઊર્જા કરાર પર કામ કરશે, જેથી ભવિષ્યમાં પણ ઊર્જા ક્ષેત્રને સુરક્ષિત કરી શકાય.
આ પણ વાંચો : નાગપુર હિંસા પૂર્વયોજિત લાગે છે, ‘છાવા’ ફિલ્મે લોકોની ભાવનાઓને ફરી ભડકાવી: ફડણવીસ…
શાંતિ કરારનું ઉલ્લંઘન નહીં થાય:
રશિયા અને યુક્રેન બંનેએ સંમત થવું પડશે કે તેઓ આ કરારનું ઉલ્લંઘન નહીં કરે. જો કોઈ પક્ષ આ સંધિનું ઉલ્લંઘન કરે છે, તો તેના પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાદી શકાય છે. આ કરાર ફક્ત કામચલાઉ યુદ્ધવિરામ પૂરતો મર્યાદિત રહેશે નહીં, પરંતુ તેને કાયમી શાંતિ તરફનું પ્રથમ પગલું માનવામાં આવી રહ્યું છે.