![Moninder Singh Pandher, one of the accused in the Nithari serial killings case, walks out of jail after being acquitted by the Allahabad High Court](https://bombaysamachar.com/wp-content/uploads/2023/10/Nithari-Killings.webp)
વર્ષ 2006ના નિઠારી કાંડમાં 17 વર્ષ બાદ અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરતાં આજે મોનિન્દર સિંહ પંઢેરને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.મળતી માહિતી મુજબ પંઢેરને બપોરે 1.40 વાગ્યે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન જેલની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.
તે પોતાના વકીલનો હાથ પકડીને જેલમાંથી બહાર આવ્યો અને પછી કારમાં બેસીને જેલની બહાર નીકળી ગયો હતો. કેટલાક પોલીસ કર્મચારીઓ પણ સલામતી પૂરી પાડવા તેની પાછળ ગયા હતા. સમગ્ર દેશને હચમચાવી નાખનાર નોઈડાના નિઠારી ગામના 17 વર્ષ જૂના કેસમાં આરોપી મોનિન્દર સિંહ પંઢેર અને સુરેન્દ્ર કોલીને દોષિત ઠેરવવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ ગયો છે. અલ્હાબાદ હાઈકોર્ટે સોમવારે બંનેને નિર્દોષ જાહેર કર્યા હતા અને સીબીઆઈ કોર્ટ ગાઝિયાબાદ દ્વારા સંભળાવવામાં આવેલી ફાંસીની સજા રદ કરી હતી.
સીબીઆઈ કોર્ટે પંઢેરને બે કેસમાં અને કોલીને 12 કેસમાં ફાંસીની સજા ફટકારી હતી. હાઈકોર્ટે કહ્યું કે જો બંને આરોપીઓ અન્ય કોઈ કેસમાં વોન્ટેડ ન હોય તો તેમને છોડી દેવા જોઈએ. હાઈકોર્ટે 2010 થી 2023 સુધી ચાલેલી 134 સુનાવણી બાદ આ નિર્ણય આપ્યો હતો.