એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર : હિંદુ ધર્મસ્થાનોના વિવાદનો ઉકેલ વર્શિપ એક્ટની નાબૂદી

-ભરત ભારદ્વાજ

ભારતમાં કેન્દ્રમાં ભાજપ સરકારનું શાસન આવ્યા પછી હિંદુત્વનો પ્રભાવ વધ્યો છે. હિંદુવાદી સંગઠનો હિંદુત્વના નામે જાત જાતના તુક્કા વહેતા કરે છે ને સોશિયલ મીડિયા પર તો હિંદુત્વના નામે રીતસરનાં તૂત જ ચાલે છે. ભારત લોકશાહી દેશ છે તેથી દરેક વ્યક્તિને કાયદાની મર્યાદામાં રહીને પોતાની રીતે વર્તવાનો અધિકાર છે. આ કારણે હિંદુવાદી સંગઠનો કે વ્યક્તિગત રીતે પણ કોઈ હિંદુત્વનો એજન્ડા ચલાવે તો તેની સામે બોલી ના શકાય.

કાયદાની મર્યાદામાં રહીને કરાતું કોઈ પણ કૃત્ય માન્ય છે તેથી આ ટ્રેન્ડને રોકી ના શકાય પણ બીજો એક ખતરનાક ટ્રેન્ડ પણ શરૂ થયો છે. આ ટ્રેન્ડ અદાલતો દ્વારા હિંદુત્વના વહેણમાં વહીને બંધારણીય જોગવાઈઓને કોરાણે મૂકીને અપાતા ચુકાદા છે. અલ્હાબાદ હાઈ કોર્ટે આવો જ એક ચુકાદો આપીને ઉત્તર પ્રદેશના સંભલની શાહી જામા મસ્જિદને વિવાદિત માળખું જાહેર કર્યું છે.

અલ્હાબાદ હાઈ કોર્ટ મસ્જિદના રંગકામની માગ કરતી અરજી પર સુનાવણી કરી રહી હતી ત્યારે હિન્દુ પક્ષના વકીલ હરિશંકર જૈને દાવો કર્યો કે, મુસ્લિમ પક્ષ આ માળખાને મસ્જિદ કહેવાનું ચાલુ રાખતો હોય તો અમે તેને મંદિર કહીશું. જૈનની દલીલ હતી કે, અયોધ્યાના રામજન્મભૂમિ મંદિર કેસમાં પણ બાબરી મસ્જિદને વિવાદિત માળખું કહેવામાં આવ્યું હતું. અલ્હાબાદ હાઈ કોર્ટના જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલે આ દલીલ સ્વીકારી લીધી અને સ્ટેનોને જામા મસ્જિદના સ્થાને વિવાદિત માળખું શબ્દો લખવા કહી દીધું.

અલ્હાબાદ હાઈ કોર્ટનું આ વલણ આઘાતજનક છે અને બંધારણીય જોગવાઈની વિરુદ્ધ છે. અયોધ્યા વિવાદ ચરમસીમા પર હતો ત્યારે કૉંગ્રેસની નરસિંહરાવ સરકારે મુસ્લિમ તુષ્ટીકરણ માટે ધ પ્લેસીસ ઓફ વર્શિપ (સ્પેશિયલ પ્રોવિઝન) એક્ટ બનાવેલો. હિંદુઓ એ વખતે અયોધ્યા ઉપરાંત કાશી, મથુરામાં હિંદુ ધર્મસ્થાનોને તોડીને બનાવાયેલી મસ્જિદો પોતાને પાછી મળે એ માટે દાવા કરતા હતા. ભવિષ્યમાં બીજાં મુસ્લિમ ધર્મસ્થાનો પર દાવા ના થાય એટલે 1991માં કેન્દ્રની નરસિંહરાવ સરકારે વર્શિપ એક્ટ બનાવી નાખેલો અને અયોધ્યાના રામજન્મભૂમિ સંકુલ સિવાયનાં તમામ ધર્મસ્થાનોને કાયદાકીય રક્ષણ આપી દીધું હતું.

પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ, 1991 હેઠળ 15 ઓગસ્ટ, 1947ના રોજ દેશ આઝાદ થયો ત્યારે દરેક ધર્મસ્થાન જે સ્થિતિમાં હતા તે જ સ્થિતિમાં રાખવાની જોગવાઈ છે. તમામ ધર્મસ્થાનો માટેની આ જોગવાઈ પ્રમાણે, હિંદુવાદીઓ હિંદુ મંદિરો તોડીને બનાવાયેલી મસ્જિદો સહિતનાં હિંદુ ધર્મસ્થાનો પર દાવો ના કરી શકે. મંદિર તોડીને મસ્જિદ બનાવાઈ હોય કે દરગાહ પણ 15 ઓગસ્ટ 1947ના રોજ ત્યાં મસ્જિદ કે દરગાહ ઊભી હોય તો પણ હિંદુઓ તેના પર દાવો ના કરી શકે. આ મસ્જિદ કે દરગાહ 14 ઓગસ્ટ, 1947ના રોજ બનાવાઈ હોય તો પણ તેના પર મુસ્લિમોનો અધિકાર થઇ ગયો, હિંદુઓ તેના પર દાવો ના કરી શકે.

આ કાયદાનું અર્થઘટન સ્પષ્ટ છે કે, 15 ઓગસ્ટ 1947ના રોજ મસ્જિદ હતી એ મસ્જિદ રહે ને મંદિર હતું એ મંદિર રહે. તેનો ઉલ્લેખ પણ એ રીતે જ કરાય એ કહેવાની જરૂર નથી પણ અલ્હાબાદ હાઈ કોર્ટ મસ્જિદ તરીકે જેનો ઉલ્લેખ કરાતો હતો તેને વિવાદાસ્પદ માળખું ગણાવે એ બંધારણીય જોગવાઈની ઐસી તૈસી કહેવાય.

દેશની હાઈ કોર્ટો અને સુપ્રીમ કોર્ટની મૂળભૂત ફરજ જ બંધારણના રક્ષણની છે ત્યારે આ તો બંધારણીય જોગવાઈનું રક્ષણ કરવાના બદલે તેનો અનાદર કરવાની વાત છે. હિંદુ પક્ષે અયોધ્યાના સંકુલનો ઉલ્લેખ વિવાદાસ્પદ સ્થળ તરીકે કરાતો હતો એવી દલીલ કરી એ સાચું છે કેમ કે રામજન્મભૂમિ વિશે વિવાદ ચાલતો હતો અને વર્શિપ એક્ટ હેઠળ રામજન્મભૂમિ સંકુલને આવરી નહોતું લેવાયું. સંભલ સહિતનાં ધર્મસ્થાનો વર્શિપ એક્ટ હેઠળ આવરી લેવાયેલાં છે તેથી તેનો ઉલ્લેખ અલગ રીતે ના કરી શકાય.

કૉંગ્રેસે બનાવેલો વર્શિપ એક્ટ મુસ્લિમ તુષ્ટીકરણનો નાદાર નમૂનો છે તેમાં બેમત નથી પણ તેના કરતાં મોટી હકીકત એ છે કે, વર્શિપ એક્ટ ભારતના બંધારણમાં કરાયેલી જોગવાઈ છે અને દેશનો કાયદો છે. આ દેશના તમામ નાગરિકે આ કાયદો પાળવો જ પડે ને અદાલતે આ કાયદાનું પાલન કરાવવું પડે જ પણ તેના બદલે આ તો હાઈ કોર્ટ જ તેનો અનાદર કરી રહી છે ને વાડ જ ચિભડાં ગળે એવી હાલત છે.

કમનસીબી એ છે કે, આવું પહેલી વાર નથી બન્યું. ઘણા કેસોમાં હાઈ કોર્ટે આવા ચુકાદા આપ્યા છે ને આ ટ્રેન્ડ ખતરનાક છે. હાઈ કોર્ટે સારી હોય કે ખરાબ, બંધારણીય જોગવાઈનું ચુસ્ત રીતે પાલન થાય એ જોવું જ જોઈએ પણ તેના બદલે હાઈ કોર્ટ જ બંધારણની અવગણના કરી રહી છે. દેશના કાયદા અને બંધારણીય જોગવાઈઓનું જતન કરવાની સૌથી વધારે જવાબદારી જેની છે એ ન્યાયતંત્ર આ રીતે વર્તે તો દેશમાં કાયદાનું શાસન જ ના રહે.

સંભલ સહિતનાં જે પણ હિંદુ ધર્મસ્થાનો મુસ્લિમ આક્રમણ વખતે તોડી પાડવામાં આવ્યાં તેના પર હિંદુઓ દાવો કરી જ શકે. એ તેમનો અધિકાર છે પણ એ અધિકાર વર્શિપ એક્ટના કારણે છીનવાય છે. આ સંજોગોમાં ખરી જરૂર વર્શિપ એક્ટને નાબૂદ કરવાની છે પણ કમનસીબે આપણી સરકારમાં એટલું જોર નથી. અત્યારે તો ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી જ નથી એટલે વર્શિપ એક્ટ નાબૂદ કરવાની વાત પણ ના કરી શકાય પણ દસ વર્ષ લગી તેમની પાસે બહુમતી હતી ત્યારે પણ ભાજપે એવો પ્રયત્ન નથી કર્યો. હાઈ કોર્ટે આ વાત સ્પષ્ટ કરવી જોઈએ અને ધર્મસ્થાનોને લગતા જે પણ વિવાદો ઊભા કરાય તેમાં સ્પષ્ટ રીતે કહેવું જોઈએ કે, વર્શિપ એક્ટના કારણે અમારા હાથ બંધાયેલા છે એટલે સરકાર પાસે જાઓ અને સંસદ પાસે વર્શિપ એક્ટ નાબૂદ કરાવો.

હિંદુઓએ પણ આ વાત સમજવી જરૂરી છે. ભૂતકાળમાં સંઘ સહિતનાં હિંદુવાદી સંગઠનો અને ભાજપ પણ વર્શિપ એક્ટની ટીકા કરતાં ને તેને નાબૂદ કરવાની વાતો કરતાં પણ સત્તા આવી પછી આ વાત ભાજપ સાવ ભૂલી ગયો છે. દસ વર્ષથી કેન્દ્રમાં ભાજપની સરકાર છે પણ ભાજપ સરકારે વર્શિપ એક્ટ નાબૂદ કરવા કશું કર્યું નથી. સાધુ-સંતો વચ્ચે વચ્ચે ઉકળાટ બતાવે છે પણ પછી પાછા ઠંડા પડી જાય છે.

હિંદુઓએ પોતાનાં ધર્મસ્થાનો પાછાં લેવાં હોય તો વર્શિપ એક્ટ નાબૂદ કરાવવા માટે દબાણ પેદા કરાવવું જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button