
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યના કેટલાક શહેરોમાં આરોપીઓના ઘર પર બુલડોઝર ચલાવવાની કાર્યવાહી કર્યા બાદ ‘બાબા કા બુલડોઝર’ કે ‘બુલડોઝર જસ્ટિસ’ જેવા શબ્દો વાપરતા થયા છે, અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. હવે સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન સામે લાલ આંખ કરી (Supreme Court about Bulldozer action) છે. પ્રયાગરાજમાં કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વિના લોકોના મકાનો તોડી પાડવાના મામલે સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને ઠપકો આપ્યો હતો.
એક કેસની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આવી કાર્યવાહી ખેદજનક છે અને ખૂબ જ અયોગ્ય ઉદાહરણ રજૂ કરે છે. સુનાવણી દરમિયાન, ન્યાયાધીશ અભય ઓક અને ન્યાયાધીશ એન કોટીશ્વર સિંહની બેન્ચે મકાનો તોડી પાડવાની કાર્યવાહીને દમનકારી પગલું ગણાવ્યું હતું. કોર્ટે એમ પણ કહ્યું છે કે સરકારે ઘરો ફરીથી બનાવવીને લોકોને આપવા પડશે.
સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કહ્યું, “આ કાર્યવાહી ખોટો સંદેશ આપે છે. તમે મકાનો તોડીને આવી કાર્યવાહી કેમ કરી રહ્યા છો? અંતે, કલમ 21 અને આશ્રયના અધિકાર જેવું કંઈક છે.”
હાઈ કોર્ટે અરજી ફગાવી:
સુપ્રીમ કોર્ટ પ્રયાગરાજમાં ઝુલ્ફીકાર હૈદર, પ્રોફેસર અલી અહેમદ, બે વિધવાઓ અને અન્ય એક વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી. અરજદારોએ રાજ્ય સરકાર પર ગેરકાયદેસર રીતે મકાનો તોડી પાડવાનો આરોપ લગાવ્યો છે. સરકારે દલીલ આપી કે, આ જમીન ગેંગસ્ટર-રાજકારણી અતીક અહેમદની હતી, જે 2023 માં પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.
અરજદારોની દલીલ:
અગાઉ, અરજદારોએ અલ્હાબાદ હાઈકોર્ટ સમક્ષ અરજી કરી હતી, પરંતુ કોર્ટે અરજી ફગાવી દીધી હતી. ત્યાર બાદ અરજદારો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતાં.
અરજદારોએ જણાવ્યું કે તેમને માર્ચ 2021માં શનિવારે રાત્રે નોટિસ આપવામાં આવી હતી અને રવિવારે ઘરો તોડી પાડવામાં આવ્યા હતા. અરજદારોએ અપીલ કરી કે રાજ્યએ પોતાની ભૂલ સ્વીકારવી જોઈએ.
આ પણ વાંચો…ઉત્તર પ્રદેશના આ ગામમાં કોઈ છોકરી પરણવા તૈયાર નથી, કારણ પાણી કે વીજળી નહીં પણ…
સરકારની દલીલ અને કોર્ટની ફટકાર:
ઉત્તર પ્રદેશ સરકાર તરફથી હાજર થયેલા એટર્ની જનરલ આર વેંકટરામણીએ દલીલ કરતા કહ્યું કે લોકોને નોટિસનો જવાબ આપવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો. જોકે, જસ્ટિસ ઓકા સંમત થયા ન હતા.
જસ્ટિસ ઓકાએ કહ્યું “નોટિસ આ રીતે કેમ ચોંટાડવામાં આવી? કુરિયર દ્વારા કેમ મોકલવામાં ન આવી? આમ તો કોઈપણ વ્યક્તિ આ રીતે નોટિસ આપશે અને તોડફોડ કરશે. આ એક ખરાબ ઉદાહરણ પૂરું પાડે છે.”
સુપ્રીમ કોર્ટે કહ્યું કે તોડી પાડવામાં આવેલા મકાનો ફરીથી બનાવવા પડશે.