આણંદને મળશે ‘જિલ્લા જેલ’: નવી બાકરોલ જેલને ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ આપી મંજૂરી…

ગાંધીનગર: આણંદ જિલ્લાના બાકરોલ ખાતે 370 કેદી ક્ષમતા સાથે રૂ.64.29 કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલી નવી જેલને આણંદ જિલ્લા જેલ તરીકે જાહેર કરીને રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ મંજૂરી પણ આપી હતી. આણંદ જિલ્લામાં અત્યાર સુધી માત્ર બાકરોલ તાલુકા જેલ કાર્યરત હતી. હવે બાકરોલ ખાતે ફાળવવામાં આવેલી જમીનમાં 370 કેદી ક્ષમતા ધરાવતી નવી જેલ બનાવવામાં આવી રહી છે, જેમાં 330 પુરુષ કેદી અને 40 સ્ત્રી કેદી માટે ક્ષમતા છે.
Also read : Gujarat સરકારે બે વર્ષમાં 94 હજાર કરોડની લોન લીધી, ચૂકવણી અંગે કોઇ સ્પષ્ટતા નહિ
જેલ સંચાલન અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનશે
જિલ્લા જેલ તરીકે ઘોષિત થવા માટે ઓછામાં ઓછી 240 કેદી ક્ષમતા હોવી જરૂરી હોય છે. આ નવી જેલ 370 કેદી ક્ષમતા ધરાવતી હોવાથી તેને ‘જિલ્લા જેલ’ તરીકે માન્યતા આપવામાં આવી છે. આ જેલના બાંધકામ માટે રૂ. 64.29 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં જ જેલનું બાંધકામ પૂર્ણ થવાની શક્યતા છે. આ નિર્ણય દ્વારા આણંદ જિલ્લામાં જેલ સંચાલન અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવશે.
જેલમાં કેદીઓના ‘ઓવરક્રાઉડિંગ’ની સમસ્યાનું નિવારણ
રાજ્યમાં વધતા કેદીઓની સંખ્યા અને ખાસ કરીને જેલમાં ‘ઓવરક્રાઉડિંગ’ની સમસ્યાને નિવારવા માટે નવી જેલના બાંધકામની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આણંદ જિલ્લામાં આ નવી જેલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
આણંદમાં જિલ્લા કક્ષાની જેલની સુવિધા
હાલમાં આણંદ તાલુકા સબજેલ મામલતદારના હસ્તક કાર્યરત છે. નવી જિલ્લા જેલ શરૂ થવાથી આણંદમાં જિલ્લા કક્ષાની જેલ ઉપલબ્ધ થશે. આનાથી અત્યારે નડિયાદ જિલ્લા જેલમાં રાખવામાં આવતા આણંદ જિલ્લાના આરોપીઓને આણંદ જિલ્લા જેલમાં ટ્રાન્સફર કરી શકાશે, જેના કારણે નડિયાદ જિલ્લા જેલની ઓવરક્રાઉડિંગની સમસ્યા પણ હળવી થશે.
કેદીઓના પરિવારજનોને સુવિધા
આણંદ જિલ્લા જેલમાં આણંદ જિલ્લાના સ્થાનિક કોર્ટોના આરોપીઓને રાખવામાં આવશે. આનાથી કેદીઓના પરિવારજનો તેમની સાથે વધુ સરળતાથી મુલાકાત કરી શકશે અને પોતાના બાળકો સાથે પણ સંપર્ક જાળવી શકશે. આનાથી પરિવારજનોને આર્થિક રીતે ફાયદો થશે તેમજ બાળકોના અભ્યાસ પર ધ્યાન આપવું પણ સરળ બનશે.
Also read : સૌરાષ્ટ્રમાં Narmada કેનાલના રિપેરિંગ દરમ્યાન રાજકોટને પાણીની સમસ્યા નહિ નડે, કરાયું આ આયોજન
ન્યાયિક પ્રક્રિયામાં ઝડપ
આણંદ જિલ્લા જેલમાં સ્થાનિક આરોપીઓને રાખવામાં આવશે, જેના કારણે સંબંધિત કોર્ટમાં તેમને નિયમિત રજૂ કરી શકાશે. આનાથી કેસોનો સમયસર કે વહેલી તકે નિકાલ થઈ શકશે. સાથે જ, પોલીસ જાપ્તા અને પોલીસ વાહનોના ખર્ચમાં ઘટાડો થશે, જે સરકારના આર્થિક બોજને પણ હળવો કરશે.