France ના માર્સેલીમાં રશિયન દૂતાવાસમાં વિસ્ફોટ, રશિયાએ આતંકવાદી હુમલો ગણાવ્યો

માર્સેલી : ફ્રાન્સના(France Explosion )માર્સેલીમાં રશિયન દૂતાવાસમાં સોમવારે એક વિસ્ફોટ થયો. રશિયન વિદેશ મંત્રાલયે આ વિસ્ફોટને આતંકવાદી હુમલો ગણાવ્યો. જ્યારે સમાચાર એજન્સીએ વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝાખારોવાને ટાંકીને જણાવ્યું હતું કે માર્સેલીમાં રશિયન દૂતાવાસમાં થયેલા વિસ્ફોટમાં આતંકવાદી હુમલાના સંકેતો હતા. જ્યારે આ ઘટનામાં કોઈને ઈજા થઈ છે કે કોઈ પ્રકારનું નુકસાન થયું છે તેની કોઈ માહિતી સાંપડી નથી.
આ પણ વાંચો: Russia Ukraine War: રશિયન સેનામાં ફરજ બજાવતા ભારતના 12 નાગરિકોના મોત, 16 ગુમ
રશિયા-યુક્રેન યુદ્ધના ત્રણ વર્ષ પૂર્ણ થયા
આ ઉપરાંત રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝાખારોવાએ જણાવ્યું હતું કે તેમણે ફ્રાન્સ પાસેથી રશિયન દૂતાવાસ પર થયેલા હુમલાની તાત્કાલિક તપાસ કરાવવાની માંગ કરી હતી. તેમણે રશિયન વિદેશી મિશનની સુરક્ષા મજબૂત કરવા માટે પગલાં લેવાની પણ માંગ કરી. ખાસ વાત એ છે કે આ ઘટના એવા સમયે બની છે જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધના ત્રણ વર્ષ પૂર્ણ થયા છે.
દૂતાવાસની અંદર બે મોલોટોવ કોકટેલ ફેંક્યા હતા
આ વિસ્ફોટ અંગેના અહેવાલો અનુસાર અજાણ્યા હુમલાખોરોએ દૂતાવાસની અંદર બે મોલોટોવ કોકટેલ ફેંક્યા હતા. ઘટનાસ્થળ નજીકથી ચોરાયેલી કાર પણ મળી આવી હતી. આ હુમલા બાદ પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો.
કાબુલમાં રશિયન દૂતાવાસ પર હુમલા થયા હતા
માર્સેલીમાં પૂર્વે સપ્ટેમ્બર 2022 માં અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં રશિયન દૂતાવાસ પર હુમલા થયા હતા. માર્સેલીમાં થયેલા હુમલાઓએ રશિયન દૂતાવાસના પ્રવેશદ્વાર પાસે થયેલા કાબુલ હુમલાની યાદો તાજી કરી દીધી છે. આ હુમલાઓમાં ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા હતા, જેમાંથી ચાર એવા હતા જેઓ રશિયા જવા માટે વિઝા મેળવવા આવ્યા હતા અને બે દૂતાવાસના કર્મચારીઓ હતા. કાબુલમાં રશિયન દૂતાવાસ પર થયેલા હુમલાની જવાબદારી ISIS એ લીધી હતી.