યુપીના સંભલમાં હિંસા બાદ તંત્ર ‘એલર્ટ’: ગતિવિધિ પર નજર રાખવા 300 CCTV લગાવાશે

સંભલઃ ઉત્તર પ્રદેશના સંભલમાં ગયા વર્ષે બનેલી હિંસક ઘટનાઓ બાદ હવે વહીવટી તંત્ર એલર્ટ પર છે. શહેરની સુરક્ષા માટે સંવેદનશીલ વિસ્તારો સહિત 127 સ્થળોએ 300 સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.
પંદરમાં નાણાપંચની ગ્રાન્ટ હેઠળ શહેરભરમાં સર્વેલન્સ માટે 2 કરોડ રૂપિયાના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે ગયા વર્ષે 24 નવેમ્બરના રોજ સંભલના કોટ ગર્વી વિસ્તારમાં મુગલકાળની જામા મસ્જિદના સર્વેક્ષણ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. જેમાં ગોળી વાગવાથી ચાર લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા, એમ નગરપાલિકાના એક્ઝિક્યુટિવ ઓફિસર મણિ ભૂષણ તિવારીએ જણાવ્યું હતું.
આપણ વાંચો: સંભલ હિંસામાં SITએ દાખલ કરી ચાર્જશીટ, દુબઇ એંગલનો કર્યો ખુલાસો
મણિ ભૂષણ તિવારીએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્રે સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ભવિષ્યની કોઈપણ ઘટનાને અસરકારક રીતે મોનિટર કરવા માટે આ યોજનાનો પ્રસ્તાવ મુક્યો છે. તેમણે કહ્યું કે પહેલાથી જ લગાવેલા સીસીટીવી કેમેરાએ બદમાશોને ટ્રેક કરવામાં અને ઓળખવામાં નોંધપાત્ર મદદ કરી છે.
અધિકારીએ જણાવ્યું હતું કે સમગ્ર શહેરમાં 127 સ્થળોએ નવા સીસીટીવી કેમેરા સુરક્ષા અને દેખરેખને મજબૂત બનાવશે અને ટ્રાફિક વ્યવસ્થાપન, કાયદાનું અમલીકરણ અને જાહેર સલામતી વધારવાની અપેક્ષા છે, ખાસ કરીને સ્નેચિંગ અટકાવવા અને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મદદ મળશે.
આ કેમેરા મુખ્ય પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળો, સંવેદનશીલ વિસ્તારો અને મુખ્ય ચોક પર લગાવવામાં આવશે. આ સાથે ‘વોઈસ કંટ્રોલર’ સિસ્ટમમાં એકીકૃત કરવામાં આવશે. તેમણે કહ્યું કે, “બે કેન્દ્રીય કંટ્રોલ રૂમ દ્વારા કેમેરાનું નિયંત્રણ અને દેખરેખ હાથ ધરવામાં આવશે.
એક કંટ્રોલ રૂમની કામગીરી અધિક પોલીસ અધિક્ષક (એએસપી) ની દેખરેખ હેઠળ કરવામાં આવશે, જ્યારે બીજો કંટ્રોલ રૂમ પોલીસ, મ્યુનિસિપલ અધિકારીઓ અને જાળવણી માટે જવાબદાર એજન્સી દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવશે. તેમણે કહ્યું કે એકવાર કામ પૂર્ણ થઈ જાય પછી સંભલની સમગ્ર ગતિવિધિઓ પર નજર રાખી શકાય છે.