Champions Trophy 2025

IND vs PAK: દુબઈની પિચ પર ટોસનું કેમ છે મહત્ત્વ, પાકિસ્તાનના આ ખેલાડી ભારતને પડી શકે છે ભારે

દુબઈઃ ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો રમાશે. આ મુકાબલો નીહાળવા સમગ્ર વિશ્વના ક્રિકેટ પ્રેમીઓ આતુર છે. દુબઈ સ્ટેડિયમમાં પાકિસ્તાની ટીમે અન્ય ટીમો કરતાં અહીં વધુ મેચ રમી હોવાથી તેમનો રેકોર્ડ ઘણો સારો છે.ભારતીય ટીમના ખેલાડીઓને પણ દુબઈના સ્ટેડિયમમાં રમવાનો અનુભવ છે, જ્યાં આ મેચનો ઉત્સાહ એક અલગ સ્તર પર જોવાની અપેક્ષા છે. આવી સ્થિતિમાં મેચમાં ટોસની ભૂમિકા પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બનવા જઈ રહી છે, જેમાં જો તમે છેલ્લી 10 મેચનું પરિણામ જોશો તો પહેલા બેટિંગ કરનારી ટીમને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

ટાર્ગેટનો પીછો કરનારી ટીમે છેલ્લી 10 વનડેમાંથી 7 મેચ જીતી

ભારતીય ટીમે દુબઈના આ સ્ટેડિયમમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પોતાની પ્રથમ મેચ રમી હતી, જેમાં તેમણે બાંગ્લાદેશ સામે 6 વિકેટથી જીત મેળવી હતી. આ મેચમાં બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તેમને બોર્ડ પર અપેક્ષિત રન જોવા મળ્યા ન હતા. દુબઇની ધીમી પિચ પર બોલ જૂનો થતાં, બેટ્સમેન માટે રન બનાવવાનું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. જો કે, લક્ષ્યનો પીછો કરતી ટીમ માટે સાંજે પીચ થોડી સરળ બની જાય છે.

દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાયેલી છેલ્લી 10 વનડેમાં લક્ષ્યનો પીછો કરનારી ટીમ 7 વખત મેચ જીતવામાં સફળ રહી છે, જ્યારે પહેલા બેટિંગ કરનારી ટીમે માત્ર 3 મેચ જીતી છે. આવી સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચમાં ટોસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બનશે. કારણકે જે પણ ટીમ જીતશે તે પાછલા રેકોર્ડને ધ્યાનમાં રાખીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે.

છેલ્લી વખત ભારતીય ટીમે 2023 માં રમાયેલી વનડે વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચમાં આ ફોર્મેટમાં ટોસ જીત્યો હતો, ત્યારથી ટીમ ઇન્ડિયાએ 11 વનડે મેચ રમી છે અને તેમાંથી એકમાં તેઓ ટોસ જીતી શક્યા નથી. આવી સ્થિતિમાં, જો ભારત પાકિસ્તાન સામેની મેચમાં ટોસ હારશે તો તે વનડે ફોર્મેટમાં સતત મેચોમાં ટોસ ગુમાવવાનો રેકોર્ડ પણ બનાવશે.

ભારતે પાકિસ્તાનના આ ખેલાડીઓથી રહેવું પડશે સાવધાન

બાબર આઝમઃ પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન બાબર આઝમ છેલ્લા થોડા સમયથી ખરાબ ફોર્મમાં છે. પરંતુ ન્યૂ ઝીલેન્ડ સામે તેણે ફિફ્ટી ફટકારી હતી. જો તે લાંબો સમય પિચ પર ટકી જાય તો ભારત માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

મોહમ્મદ રિઝવાનઃ પાકિસ્તાનનો કેપ્ટન મોહમ્મદ રિઝવાન પણ કંગાળ ફોર્મમાં છે. રિઝવાને બાબર સાથે મળીને 2021ના ટી20 વર્લ્ડકપમાં ભારત સામે પાકિસ્તાનને જીત અપાવી હતી. રિઝવાન તેની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. રિઝવાનને વન ડેમાં ભારત સામે મેચ રમવાનો વધારે મોકો મળ્યો નથી.

શાહીન આફ્રિદીઃ નવા બોલથી પાકિસ્તાનના બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરનારો શાહીન શાહ આફ્રિદી ગમે ત્યારે વિરોધી ટીમ માટે મુસીબત ઉભી કરી શકે છે. તે પહેલા પણ ભારતને પરેશાનીમાં મુકી ચુક્યો છે. ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ તેની બોલિંગથી બચવું પડશે. ડાબોડી બોલર તેની સ્વિંગ બોલિંગથી ભારતીય ખેલાડીઓને પરેશાન કરી શકે છે.

સલમાન આગાઃ પાકિસ્તાની ઓલ રાઉન્ડર સલમાન આગા હાલ શાનદાર ફોર્મમાં છે. તે બેટિંગ અને બોલિંગ બંનેથી ભારતીય ટીમને પરેશાન કરી શકે છે. ન્યૂ ઝીલેન્ડ સામે તેણે 28 બોલમાં 42 રનની ઈનિંગ રમી હતી.

આ પણ વાંચો…Champions Trophy 2025: એશિયાના બે કટ્ટર હરિફ ભારત-પાકિસ્તાનનો આજે મુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને કેવું રહેશે હવામાન

નસીમ શાહઃ પાકિસ્તાની ફાસ્ટ બોલર નસીમ શાહ નવા બોલથી વિકેટ લેવામાં એક્સપર્ટ છે. ચેમ્પિયન્સ ટ્રોફીના પ્રથમ મુકાબલામાં તેણે ન્યૂ ઝીલેન્ડના બેટ્સમેન કેન વિલિયમસન અને વિલ યંગની વિકેટ લીધી હતી. નસીમે ભારત સામે બે વન ડેમાં ત્રણ વિકેટ ઝડપી હતી. દુબઈની પિચ પર નસીમ શાહ ઘાતક સાબિત થઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button