કચ્છમાં અલગ અલગ બનાવોમાં ત્રણ યુવકનાં મોત…

ભુજ: કચ્છમાં વીતેલા 24 કલાક દરમ્યાન બનેલા આપઘાત-અકસ્માતના બનાવોમાં ત્રણ યુવકોના અકાળે મોત નિપજતાં પંથકમાં ગમગીની પ્રસરી છે. નખત્રાણા તાલુકાના ઘડાણી ગામમાં ઉમર કાસમ કુંભાર નામના 32 વર્ષીય યુવકે લીમડાના વૃક્ષ પર જયારે આ તાલુકાના લૈયારીમાં 18 વર્ષના યુવાન સવીલાલ ખીરાએ બાવળની ઝાડીમાં ગળેફાંસા લગાવી આપઘાત કરી લેતાં પંથકમાં ભારે ચકચાર પ્રસરી છે.
Also read : ગુજરાતમાં આ રોગની સારવાર માટે સરકાર દર મહિને આપે છે રૂ. ૧૦૦૦ની સહાય, ૯૦ ટકાથી વધુ દર્દી થયા સાજા
નખત્રાણા પોલીસે AD ગુનો દાખલ કર્યો
નખત્રાણા તાલુકાના ઘડાણી ગામે રહેનારા ઉમર કાસમ કુંભારે એક વાડીમાં સ્થિત લીમડાના વૃક્ષ પર દોરી બાંધીને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ મોતનો માર્ગ અપનાવી લેતાં નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
બાવળના ઝાડ પર ટૂંકાવ્યું જીવન
આ પ્રકારનો અન્ય અપમૃત્યુનો બનાવ નખત્રાણા તાલુકાના લૈયારી ગામે બનવા પામ્યો હતો જેમાં અહીં રહેતા સવીલાલ ખીરા કોલીએ ગત 11મી ફેબ્રુઆરીના રોજ મોડી રાતના કોઈ અજ્ઞાત કારણોસર બાવળના ઝાડ પર બાંધેલી રસ્સી વડે ગળેટૂંપો ખાઈ જીવનને ટૂંકાવી લીધું હતું. હાલ આ બનાવ અંગે નિરોણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Also read : જાહેર બાંધકામ પરીક્ષણ ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિ, રૂ. ૧૮૪ કરોડથી વધુની થઈ આવક
બાઇક અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ
દરમ્યાન, પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકાના છેવાડાના લઠેડી પાસે મોટરસાઇકલ સ્લીપ થતાં સર્જાયેલા અકસ્માતમાં ગામના 40 વર્ષીય મનુભા વંકાજી જાડેજાનું મોત થતાં આ વિસ્તારમાં અરેરાટી પ્રસરી હતી. પોલીસ ફરિયાદમાં લખાવ્યા અનુસાર ગત મોડી રાત્રે હતભાગી વાડીથી ઘર તરફ મોટરસાઇકલ પર સવાર થઈને આવી રહ્યા હતા ત્યારે લઠેડી પાસે તેમનું વાહન સ્લીપ થઇ ગયું હતું. ગંભીર રીતે ઈજાગ્રસ્ત મનુભાનું ઘટનાસ્થળે મોત થતાં કોઠારા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.