ગુજરાત હાઇ કોર્ટ પોલીસ અધિકારીઓને ખખડાવીને શું કહ્યું? જાણો વિગત
લોકોને પોલીસમાંથી વિશ્વાસ ઉઠી ગયો છેઃ હાઇ કોર્ટ
![The Gujarat High Court remark regarding the ACR of government employees](/wp-content/uploads/2025/01/The-Gujarat-High-Court-remark-regarding-the-ACR-of-government-employee.webp)
અમદાવાદઃ ગુજરાત હાઇ કોર્ટે (gujarat high court) ફરી એક વખત પોલીસ અધિકારીઓનો (police officer) ઉધડો લીધો હતો. શહેરના નિકોલ વિસ્તારમાં નિર્દોષ લોકોને પાવર ઓફ એટર્નીના (power of attorney) ખોટા કેસમાં હેરાન કરનારા પોલીસ અધિકારીઓ સામે હાઇ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન હાઇ કોર્ટના ન્યાયાધીશ સંદીપ ભટ્ટે ઉચ્ચ પોલીસ અધિકારીનો ઉધડો લીધો હતો.
કોર્ટે શું કરી ટકોર
કોર્ટે ટકોર કરી કે, દરરોજ નિર્દોષ માણસોને પોલીસની હેરાનગતિ અને દાદાગીરીનો ભોગ બનવું પડે છે. પોલીસ બે વ્યક્તિના ઝઘડામાં પોતે પક્ષકાર બનીને સામા પક્ષને દંડવા કેમ બેસી જાય છે? તમે કાયદાનું પાલન ના કરી શકતા હોવ તો દુકાન ખોલીને બેસી જાવ. લોકોને પોલીસમાંથી વિશ્વાસ ઉઠી ગયો છે. કોર્ટે પોલીસને સવાલ કર્યો કે, તમે કોઈ વ્યક્તિને બોલાવો તો તમારે તેનું કારણ આપવું પડે. ગમે તે વ્યક્તિને ગમે ત્યારે કારણ આપ્યા વગર ન બોલાવી શકો.
Also read: ગુજરાત હાઇકોર્ટમાં રોડ -રસ્તા-પાર્કિંગ પર AMCને ફટકાર
શું અરજી કરવામાં આવી હતી
હાઇ કોર્ટમાં રજૂ થયેલી અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, નિકોલમાં બિનખેતીની જમીનના કેસમાં દીવાની દાવો કોર્ટમાં ચાલતો હોવાથી અરજદારને ક્રાઈમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા બોલાવવામાં આવ્યા હતા અને સામા પક્ષની તરફેણ કરીને અરજદારને વારંવાર પોલીસ સ્ટેશન બોલાવી હેરાન કરવામાં આવતા હતા.
કોર્ટે પોલીસની ભૂમિકા સામે પણ સવાલ કર્યો
કોર્ટે પોલીસની ભૂમિકા સામે પણ સવાલ કર્યો હતો કે, તમારા પોલીસ અધિકારી જે નિર્દોષ લોકોને હેરાન કરે છે તેના માટે ડીસીપી ક્રાઈમ બ્રાંચ અને નિકોલ પોલીસ સ્ટેશનના અધિકારીને હાજર રહેવું પડશે. તમે પૂર્વ આયોજીત કાવતરા અને મોટા આર્થિક કૌભાંડોમાં કામ કરતા નથી. તેમજ બે ખાનગી લોકોની મિલકતના ઝઘડામાં કૂદી પડો છો.