અમાન્ય લગ્નમાં ‘ગેરકાયદેસર પત્ની’નો ઉપયોગ કરવા પર સુપ્રીમ કોર્ટે લગાવી હાઇ કોર્ટેને ફટકાર
![Supreme Court advisory fraudulent website similar to the official website](/wp-content/uploads/2025/01/image-ezgif.com-resize-2025-01-10T151439.390.webp)
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બુધવારે એક કેસની સુનાવણી કરી હતી જેમાં તેમણે બોમ્બે હાઈકોર્ટના એક આદેશનો વિરોધ કર્યો હતો. આ આદેશમાં એક મહિલાને ગેરકાયદે પત્ની જણાવવામાં આવી હતી. આવા શબ્દના ઉપયોગને મહિલા વિરોધી ગણાવતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ભારતના બંધારણના અનુચ્છેદ 21 હેઠળ દરેક વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો મૂળભૂત અધિકાર છે. કોઈ સ્ત્રીને ગેરકાયદેસર પત્ની કહેવુ એ ભારતના બંધારણના અનુચ્છેદ 21નું ઉલ્લંઘન છે. સુપ્રીમ કોર્ટે પોતાના આ ચુકાદામાં અવલોકન કર્યું હતું કે હિન્દુ લગ્ન અધિનિયમ 1955 ની કલમ 11 હેઠળ જાહેર કરાયેલા લગ્નમાં જીવનસાથીઓ કલમ ૨૫ ટકા હેઠળ કાયમી ભરણપોષણનો દાવો કરવા માટે હકદાર છે.
કોઇ પણ મહિલાના ગૌરવને અને આત્મ સમ્માનને ઠેસ પહોંચાડી શકાય નહીઃ-
સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણીમાં રઘુજી મગરના પુત્ર ભાઇસાહેબ સંધુ વિરુદ્ધ ભાઇસાહેબની પત્ની લીલાબાઇના કેસમાં બોમ્બે હાઇ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે બીજી પત્ની માટે ‘ગેરકાયદે પત્ની’ જેવા શબ્દોનો ઉપયોગ ખોટો છે. આપણે જ્યારે પતિ માટે ‘ગેરકાયદેસર પતિ’ શબ્દનો ઉલ્લેખ કરતા નથી ત્યારે પત્ની માટે આવા શબ્દો વાપરીને તેની ગરિમાને ઠેસ પહોંચાડી શકાય નહી. દુર્ભાગ્યવશ હાઇ કોર્ટ દ્વારા આવી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવા શબ્દોનો ઉપયોગ મહિલા વિરોધી છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે પોતાના ચૂકાદામાં કહ્યું હતું કે જેમના મેરેજ હિંદુ લગ્ન કાયદાની કલમ 11 હેઠળ રદ જાહેર કરવામાં આવ્યા છે, તે બીજા જીવનસાથી પાસેથી ભરણપોષણ મેળવવાને હકદાર છે.