આમચી મુંબઈ

‘India’s Got Latent શો પર પ્રતિબંધ મૂકો’ જાણો કોણે કરી આવી માગણી

મુંબઇઃ ‘ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ શોમાં માતા-પિતા પર અશ્લીલ અને અભદ્ર ટીપ્પણી કરવા બદલ યુટ્યુબર રણવીર અલાહાબાદિયા અને સમય રૈના વિરુદ્ધ મુંબઈમાં એફઆઇઆર નોંધાઈ ગઈ છે અને પોલીસની સાયબર શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. રણવીર અને સમય રૈના ઉપરાંત અત્યાર સુધી શોમાં ભાગ લેનારા 30 મહેમાનો સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. એ જ સમયે ઓલ ઇન્ડિયા સીને વર્કર્સ એસોસિએશને ગૃહ પ્રધાન અમિત શાહને અને માહિતી તેમ જ પ્રસારણ ખાતાના પ્રધાન અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને જણાવ્યું છે કે તેઓ ‘ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ શોમાં પીરસવામાં આવતી અભદ્ર અને અશ્લીલ સામગ્રીની ટીકા કરે છે અને આ શો પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરે છે. આ શોના હોસ્ટ અને જજોએ અપશબ્દોનો ઉપયોગ કરીને અને માતાપિતા તેમ જ પરિવાર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરીને નૈતિક મર્યાદાઓ પાર કરી દીધી છે. આપણા સભ્ય સમાજમાં આવા શો અસ્વીકાર્ય છે. આવા શો દેશના યુવાનોને ગેરમાર્ગે દોરે છે અને આપણી આખી પેઢીને ખરાબ કરે છે.

પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ શો વાસ્તવમાં સ્ટેન્ડ અપ કોમેડીની આડમાં સસ્તા પૈસા કમાવાની એક યોજના છે, જેમાં સ્વઘોષિત હાસ્ય કલાકારો છે જેઓ અશ્લીલ સામગ્રીનો ઉપયોગ કરીને પોતાના સબસ્ક્રાઇબ બેઝ વધારવા માંગે છે અને વિવાદો દ્વારા પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. રણવીર અલ્હાબાદિયા સમય રૈના અપૂર્વ માખીજા, જસપ્રિત સિંહ, આશિષ ચંચલાની વગેરે જેવા શો સાથે સંકળાયેલા લોકો સામે ફોજદારી એફઆઇઆર થવી જોઈએ.

Also read: રણવીર અલાહાબાદિયાનો અશ્લીલ કમેન્ટવાળો વીડિયો યુટ્યુબ પર બ્લોક, સરકાર એક્શનના મૂડમાં…

પત્રમાં માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન અને ગૃહ પ્રધાનને આ મામલે જલ્દી હસ્તક્ષેપ કરવાની વિનંતી કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે આ લોકો સમાજને વધુ નુકસાન પહોંચાડે તે પહેલા કાનૂની અને નિયમનકારી પગલાં લેવા જરૂરી છે, ભારતની સાંસ્કૃતિક અખંડિતતાનો રક્ષણ કરવું જરૂરી છે. જો કડક પગલાં લેવામાં નહીં આવે તો આવી સામગ્રીઓ દ્વારા નિર્માતાઓ નકારાત્મકતા ફેલાવતા રહેશે અને દેશના યુવાનો તેમજ દેશના મૂલ્યોને નુકસાન પહોંચાડતા રહેશે.

શું છે આખી ઘટના:-
સમય રૈનાના શો ઈન્ડિયાઝ ગોટ લેટન્ટના લેટેસ્ટ એપિસોડમાં રણવીર અલાહાબાદિયા જજ તરીકે જોવા મળ્યો હતો. શોમાં એક સ્પર્ધકની ટીકા કરતી વખતે તેણે માતા-પિતા અને સેક્સ પર વાંધાજનક નિવેદન આપતા સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો અને રણવીર તેમજ સમય રૈના સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. દેશભરમાં દરેક જગ્યાએ આ બંને સામે જોરદાર વિરોધ થઈ રહ્યો છે. અનેક શહેરોમાં પોલીસ ફરિયાદો નોંધાઈ રહી છે. રણવીર અલાહાબાદિયાએ પોતાના વિવાદ નિવેદન બદલ માફી માંગી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button