વન મહોત્સવના કરોડો ગયા પાણીમાં, રાજસ્થાને ગુજરાતને પછાડ્યું
![Chart comparing green cover areas where Rajasthan leads over Gujarat in forest cover statistics.](/wp-content/uploads/2025/02/rajasthan-green-cover-update.webp)
અમદાવાદઃ ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા વન મહોત્સવ (Van Mahotsav) પાછળ દર વર્ષે લાખો-કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. પરંતુ સંસદમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, વૃક્ષાચ્છાદિત ક્ષેત્રના વધારામાં ગુજરાતને પછાડીને રાજસ્થાન આગળ નીકળી ગયું છે. જેને લઈ ગુજરાતમાં દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચીનો યોજવામાં આવતા વન મહોત્સવ માત્ર પાણીમાં ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે.
લોકસભામાં રજૂ થયેલા એક પ્રશ્નના જવાબમાં 2021 અને 2023ની વચ્ચે ગુજરાત કરતાં સાવ સૂકુંભઠ્ઠ, પાણીનો અભાવ, રેતાળ જમીન ધરાવતાં રાજસ્થાનમાં વૃક્ષાચ્છિત ક્ષેત્રમાં બમણો વધારો થયો હોવાનું સામે આવ્યુ છે. વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા સોમવારે રજૂ કરેલા જવાબમાં જણાવ્યું કે, 2021માં આઈએસએફઆર રિપોર્ટમાં ભારતમાં વૃક્ષ આવરણના વ્યાપમાં અંદાજે 1445.81 ચોરસ કિલોમીટરનો વધારો થયો છે. ગુજરાતમાં 2021માં 21,488 ચોરસ કિલોમીટર એરિયા વૃક્ષ આવરણ ધરાવતો હતો. જે 2023માં 164.08ના વધારા સાથે 21,684 ચો.કિમી થયો છે.
Also read: અમદાવાદ સહિત પાંચ શહેરમાં પતંગ મહોત્સવનો પ્રારંભ
જ્યારે જ્યાં ઓછો વરસાદ પડે છે અને જમીન પણ ખાસ ફળદ્રુપ નથી તેવા રાજસ્થાનમાં ત્રણ વર્ષમાં વૃક્ષ આવરણનું પ્રમાણ 26,994.87 ચોરસ કિલોમીટરથી વધીને 27,389 ચોરસ કિલોમીટર થયું છે. જે ગુજરાતથી બમણો એટલે કે 394.46 ચોરસ કિલોમીટરનો વધારો સૂચવ છે. ગુજરાત દેશમાં વૃક્ષ આચ્છાદિત ક્ષેત્રમાં આઠમાં ક્રમે છે.
છેલ્લા ત્રણ વર્ષમાં કયા રાજ્યમાં હરિયાળી વધી રાજ્ય – વૃક્ષ આવરણમાં વધારો (ચોરસ કિમીમાં)
છત્તીસગઢ – 683.52 | ઉત્તરપ્રદેશ – 559.19 |
ઓડિશા – 558.57 | રાજસ્થાન – 394.46 |
ઝારખંડ – 286.96 | પંજાબ – 176.77 |
પંજાબ – 176.77 | ગુજરાત – 164.08 |
ઉલ્લેખનીય છે કે સ્વ. કનૈયાલાલ મુનશીએ આજથી અંદાજે 75 વર્ષ પહેલાં રાજ્યમાં પ્રથમવાર વન મહોત્સવની ઉજવણી શરૂ કરી હતી. તે સમયથી વન મહોત્સવની ઉજવણી કરવાની પ્રથા ગુજરાતમાં આજ પર્યત ચાલુ છે. પર્યાવરણ અને સંસ્કૃતિના અનોખા સમન્વય થકી વન મહોત્સવના કાર્યક્રમને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી ગુજરાતના તત્કાલિન મુખ્ય પ્રધાન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2004માં સાંસ્કૃતિક વન નિર્માણની શરૂઆત કરાવી હતી. વન મહોત્સવ અંતર્ગત રાજ્યમાં પ્રથમવાર ગાંધીનગરમાં ગ્રહ, નક્ષત્ર, રાશિ અને સંસ્કૃતિ આધારિત સાંસ્કૃતિક પુનિત વન સાકાર થયું હતું. ત્યારબાદ દર વર્ષે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં થીમ આધારિત નવા સાંસ્કૃતિક વનની હારમાળા શરૂ થઈ હતી.