પાંચ રૂપિયા અને 350 રૂપિયાની ચલણી નોટને લઈને RBIએ કરી મહત્ત્વની જાહેરાત…
ભારતમાં કોઈ પણ નવી ચલણી નોટ કે સિક્કા બહાર પાડવા હોય એની જાહેરાત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા કરવામાં આવે છે અને આરબીઆઈ દ્વારા હાલમાં જ પાંચ રૂપિયા અને 350 રૂપિયાની ચલણી નોટને લઈને મહત્ત્વની જાહેરાત કરી છે. આ માહિતી વિશે જાણી લેવું તમારા માટે ફાયદાનો સોદો સાબિત થશે. આવો જોઈએ આરબીઆઈએ આ વિશે શું કહ્યું છે-
2016માં આવેલી નોટબંધી બાદ બજારમાંથી 500 રૂપિયા અને 1000 રૂપિયાની તમામ નોટો પાછી ખેંચી લેવામાં આવી હતી અને એના થોડાક સમય બાદ જ આરબીઆઈએ 500 અને 2000 રૂપિયાની નવી ચલણી નોટો બહાર પાડી હતી. ત્યાર બાદ અચાનક જ 2000 રૂપિયાની ચલણી નોટ પણ પાછી ખેંચી લેવામાં આવી જેને કારણે હાલમાં ભારતીય ચલણની સૌથી વધુ મૂલ્ય ધરાવતી નોટ વિશે વાત કરીએ તો તે 500 રૂપિયા છે.
આ પણ વાંચો : આજથી બદલાઈ ગયા છે બેંકિંગના આ નિયમો, RBIએ બહાર પાડી નવી ગાઈડલાઈન…
દરમિયાન કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આરબીઆઈ હવે પાંચ અને 350 રૂપિયાની નવી ચલણી નોટો બહાર પાડવા જઈ રહી છે. પરંતુ મળતી માહિતી મુજબ આરબીઆઈની આવી કોઈ જ યોજના નથી અને સોશિયલ મીડિયા પર કરાઈ રહેલાં આ દાવામાં કોઈ પણ સચ્ચાઈ નથી.
અવારનવાર સોશિયલ મીડિયા પર આવી બનાવટી નોટોના ફોટો વાઈરલ થતાં હોય છે અને ત્રણેક વર્ષ પહેલાં પણ એક ફોટો વાઈરલ થયો હતો જેમાં 5,10,20,50,100,200 અને 500 રૂપિયાની નોટનો ફોટો જોવા મળે છે. વાત કરીએ પાંચ રૂપિયાની નોટની તો આરબીઆઈ દ્વારા છેલ્લાં કેટલાક સમયથી પાંચ રૂપિયા જ નહીં પણ બે રૂપિયાની નોટો છાપવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો : 2000 રૂપિયાની નોટ પાછી ખેંચીને આ નવી નોટ બહાર પાડશે RBI? જાણો શું છે ઈનસાઈડ સ્ટોરી…
આરબીઆઈ દ્વારા આ બાબતે સ્પષ્ટતા કરતાં જણાવવામાં આવ્યું છે કે આરબીઆઈ દ્વારા આવી કોઈ જ નવી ચલણી નોટ છાપવામાં આવી નથી અને આવી નોટ માન્ય ગણાશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે 1938માં આરબીઆઈ દ્વારા 1૦,૦૦૦ રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી પરંકુ અમુક કારણોસર તે 1946માં પાછી ખેંચી લેવામાં આવી હતી. આઠ વર્ષ બાદ એટલે કે 1954માં ફરી એક વખત 10,000 રૂપિયાની ચલણી નોટ ચલણમાં લાવવામાં આવી હતી પરંતુ 1978માં આખરે તેને પાછી ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવી હતી.
જો તમને પણ આવા કોઈ પણ પ્રકારના દાવા કરતાં મેસેજ કે અહેવાલો વાંચવા કે સાંભળવા મળે તો તેના પર વિશ્વાસ કરતાં પહેલાં આરબીઆઈની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને તેની પુષ્ટિ કર્યા બાદ જ આગળ વધવાની ભલામણ પણ આરબીઆઈ દ્વારા કરવામાં આવી છે.