ત્રણ બોલાવ્યા તેર આવ્યા તો દે દાળમાં પાણી
ઝબાન સંભાલ કે – હેન્રી શાસ્રી
આ કહેવત સાથે એક સાધુની કથા સંકળાયેલી છે. સાધુ સાથે મંદિરમાં એક સાધ્વી અને એક છોકરો પણ રહેતા હતા. ગામના દાના ભગતે એક દિવસ આ ત્રણેયને જમવા માટે આમંત્રણ આપ્યું. હવે વાત એમ હતી કે ભગતને પોતાના જ ઘરમાં ભોજનના ફાંફાં હતા. ઘરમાં હાલ્લાં ગગડે એવી પરિસ્થિતિ હતી. જોકે, ભગત કહેવાતા હોવાથી ડાહી ડાહી વાતો કરવામાં અને પોતે શ્રેષ્ઠ છે એ દર્શાવવામાં કોઈ કસર છોડતા નહીં. પોતે કોઈ કામધંધો ન કરતા હોવાથી તેમના બાળકો પણ ભોજન માટે વલખા મારતા હતા. ઘરના છોકરા ભૂખે મરતા હોય ત્યારે સાધુને જમવા માટે નોતરું દેવું એ બુદ્ધિનું દેવાળું ફૂંકવા જેવી વાત જ કહેવાય. પણ જશના ભૂખ્યા ભગતે પોતાની તંગ હાલત સામે આંખ આડા કાન કરી સાધુને ભોજન માટે નોતરું આપી દીધું. આમંત્રણનો દિવસ ઉગ્યો એટલે ભગતાણીએ રસોઈ માંડી દીધી. ચૂલે દાળ મૂકી અને રોટલા ટીપવાનું શરૂ કર્યું. સાધુ, સાધ્વી અને છોકરો ભગતના ઘરે પહોંચી ભજન ગાવા બેઠા. ભજનની અમૃત વાણી સાંભળી બીજા દસ સાધુ પણ ભગતના ઘરમાં પધાર્યા. ભગતનું નામ મોટું અને સ્વભાવમાં મોટાઈ પણ ખરી એટલે બારણે આવ્યા હોય એને આવકાર તો આપવો જ પડે. આવકાર ન આપે તો લોકો શું કહેશે એ કલ્પિત ભય તેમને સતાવતો. આમંત્રણ ત્રણ જણને આપ્યું હતું પણ એની બદલે સામટા બધાને જોઈ રસોઈ કરવા બેઠેલાં ભગતાણીને ચિંતા પેઠી. ભગત તો આ બધાને જમવાનો આગ્રહ કરશે પણ દાળ તો ત્રણ મહેમાન અને ઘરના લોકોને થાય એટલી જ ચૂલે ચડાવી હતી. હવે કરવું શું એમ ભગતને પૂછ્યું તો ભગતે કહી દીધું કે ‘દાળમાં પાણી પુષ્કળ નાખજો એટલે થઈ રહેશે.’ ભગતાણીએ એ પ્રમાણે દાળ બનાવી. રસોઈ તૈયાર થઈ એટલે બધા સાધુ ભાણે બેઠા પણ દાળ પીતી વખતે દાળની બદલે પાણી જ પીતા હોય એવું લાગ્યું. એક સાધુએ આખી વાત જાણી અને સાખી બોલ્યો: ‘ભગત કહે છે ભગતાણીને, સાંભળ મારી વાણી, ત્રણ બોલાવ્યા ને તેર આવ્યા, તો દે દાળમાં પાણી.’
ENGLISH વિંગ્લિશ
IDIOM STORY
અંગ્રેજી ભાષાની કહેવત કથાનો દોર આજે આગળ વધારીએ. એક બહુ જ જાણીતો રૂઢિપ્રયોગ છે Turn a Blind Eye. Meaning: To refuse to acknowledge a known truth. ટર્ન અ બ્લાઈન્ડ આઈ જેનો અર્થ થાય છે સત્ય જાણવા છતાં અજાણ હોવાનો ડોળ કરવો. ગુજરાતીમાં આને સમકક્ષ કહેવત છે આંખ આડા કાન કરવા. સાંભળ્યું ન સાંભળ્યું કરવું,અવગણવું, ધ્યાન બહાર કરવું એવો એનો ભાવાર્થ છે. I’ll turn a blind eye once, but next time you’ll be in trouble. એક વાર તો હું જોયું ન જોયું કરી દઈશ, પણ બીજી વાર આવું થશે તો મુશ્કેલી ઊભી થશે એ યાદ રાખજે. માતા – પિતા ઘણીવાર પુત્રની હરકતો પ્રત્યે આંખ આડા કાન કરતા હોય છે. આ કહેવતનો ઉદભવ કેવા સંજોગોમાં થયો એ બીના જાણવા જેવી છે. It is commonly accepted that turning a blind eye comes from a comment made by British Admiral Horatio Nelson. આ રૂઢિપ્રયોગના જન્મ વિશે કેટલાક તર્ક – વિતર્ક રજૂ થયા છે, પણ બ્રિટિશ એડમિરલ હોરેશિયો નેલસને કરેલી ટિપ્પણીના પગલે આ રૂઢિપ્રયોગ અસ્તિત્વમાં આવ્યો એ સર્વ સ્વીકાર્ય ગણાય છે. ‘બેટલ ઓફ કોપનહેગન’માં આક્રમણનું નેતૃત્વ કરી રહેલા એડમિરલ નેલસનને એક આંખે અંધાપો હતો. દુશ્મને સામે છેડેથી પીછેહઠ કરવાની નિશાની કરી. જોકે, આગળ વધવાથી જીત મળશે એવો નેલસનને વિશ્વાસ હતો. Nelson then, holding the telescope to his blind eye, pretended not to see the signal—making a sly comment to a fellow officer about reserving the right to use his blind eye every now and again. નેલસને જે આંખે અંધાપો હતો એ આંખ પર ટેલિસ્કોપ મૂક્યું અને સામે છેડેથી કોઈ નિશાની નથી દેખાતી એવો ડોળ કર્યો. સાથી ઓફિસર કહ્યું પણ ખરું કે ‘મારે જોવું હશે એ જ જોઇશ અને નહીં જોવું હોય ત્યારે દેખાતું નથી એ જ આંખનો ઉપયોગ કરીને જોઈશ.’ બસ ત્યારથી આ રૂઢિપ્રયોગ ચલણમાં આવી ગયો.
આ પણ વાંચો : આકાશ મારી પાંખમાં : બજેટનાં લેખાં-જોખાં
રાષ્ટ્ર भाषा
कहावत की कथा
હિન્દી ભાષાની કહેવતો પાછળની કથા મજેદાર હોય છે અને એ કશુંક શીખવી પણ જાય છે. कपास ओटना का अर्थ है कपास के बीज कपास तंतु से अलग करना. કાલામાંથી કપાસ એટલે કે રૂ કાઢવાની પ્રક્રિયા હિન્દીમાં કપાસ ઓટના તરીકે ઓળખાય છે. आए थे हरिभजन को ओटन लगे कपास કહેવતનો શબ્દાર્થ થાય છે આવ્યા હતા ભગવાનની ભક્તિ કરવા પણ બેસી ગયા રૂ છૂટું પાડવા. કોઈ એક મહત્વના કાર્યની ઉપેક્ષા કે અવગણના કરી બીજું મામૂલી કામ કરવું એ એનો ભાવાર્થ છે. સંત કબીરનો એક પ્રસંગ આ કહેવત સાથે જોડાયેલો છે. યુવાનીમાં જ કબીરને પ્રભુ પ્રીતિ થઈ હતી, પણ સાંસારિક જવાબદારી હોવાથી પેટિયું રળવા કામ કરવું પડતું હતું. કપડાં વણાટનું કામ ફાવી ગયું હતું અને કામકાજની સાથે પ્રભુ કીર્તન પણ કરી લેતા હતા. બે બાળકના જન્મ પછી વધુ કામ કરવા લાગ્યા હતા. કર્મ અને ધર્મ સાથે કરતા હોવાથી અન્ય સંતોને મળવાનું લગભગ બંધ થઈ ગયું. એક દિવસ કેટલાક સંત કબીરને મળવા તેમના ઘરે પહોંચી ગયા. જોયું તો કબીર વણાટ કામ કરી રહ્યા હતા. સંતોને જોઈ કબીરે તેમને આવકાર આપ્યો. કબીરને કામ કરતા જોઈ સંતોને હેરત થઈ અને તેમના ચહેરા પર સ્મિત રેલાયું. કબીરે કારણ પૂછ્યું તો એક સંત બોલ્યા કે आए थे हरिभजन को ओटन लगे कपास મતલબ ઈશ્વરની ભક્તિ કરવા માગતા કબીર રૂ કાઢવા કામમાં વ્યસ્ત થઈ ગયા. ત્યારથી કહેવત પડી ગઈ.
સગ્ગી बहिण
म्हणीची कथा
આજે આપણે જે મરાઠી કહેવતની કથાનો રસાસ્વાદ લેવાના છીએ એનો સંબંધ વાલ્મિકી રામાયણ સાથે છે. અયોધ્યા કાંડમાં એક શ્લોક આવે છે જેનો અર્થ આ પ્રમાણે છે કે શ્રેષ્ઠ ગજરાજ (હાથી) દાનમાં આપી દીધા પછી એને બાંધવા માટેના દોરામાં મન પરોવવાનો શો અર્થ? મરાઠી કહેવત છે हत्ती देणाऱ्याला त्याच्या दोराची काय आवश्यकता? भावार्थ: सर्वात मोठी गोष्ट त्यागणारा त्याच्याशी निगडीत असणाऱ्या दुसऱ्या किरकोळ गोष्टीत मन कशाला गुंतवेल? आणि त्याला त्या गोष्टीची आवश्यकता तरी काय? એનો ભાવાર્થ છે કે સૌથી મોટી વસ્તુનો ત્યાગ જે વ્યક્તિ કરતી હોય એ નાની અમથી – ક્ષુલ્લક વસ્તુ માટે શું કામ મોહ રાખે? અને એ વસ્તુની એને જરૂર હોય ખરી? રામાયણ સાથે અનુસંધાન છે આ કહેવતનું. કૈકેયીની આપેલા વરદાન અનુસાર રાજા દશરથે શ્રી રામને વનવાસ આપ્યો હોય છે. વનવાસ જતી વખતે સર્વ ભૌતિક વસ્તુઓનો ત્યાગ કરવાનો અને માત્ર વલ્કલ (ઝાડની છાલના વસ્ત્ર) પહેરવાના. રામ સર્વ સંપત્તિનો ત્યાગ કરી વનવાસ જવા નીકળ્યા, પણ પિતા દશરથથી પુત્ર રામની આ અવસ્થા સહન ન થઈ. તેમણે રામચંદ્ર સાથે ધન દોલત અને ચતુરંગી સેના મોકલવાનો આદેશ આપ્યો. આ જાણી શ્રી રામ બોલ્યા કે ‘સર્વસ્વ ત્યાગી હું નીકળ્યો છું અને મેં સર્વ આસક્તિ છોડી છે. વનવાસીને સેના અને ધન દોલતનો શું ખપ? જેણે હાથીનું જ દાન કરી દીધું છે એને હાથીના દોરાની શું જરૂર હોય?’