કમોસમી વરસાદની આગાહી સામે ખેડૂતો રાખે આ અગમચેતી, હવામાન વિભાગે આપી સૂચના…

અમદાવાદઃ રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનું જોર ઘટી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને આગાહી કરી છે. જેમાં આગામી 2-3 ફેબ્રુઆરીએ રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના 7 જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, 2 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કમોસમી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
Also read : અમદાવાદ નહીં આ શહેરમાં સૌથી વધુ ઈસ્યુ થઈ લિકર પરમિટ, રાજ્યમાં 50 ટકાનો ઘટાડો
જ્યારે 3 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર સહિત ઉત્તર ગુજરાતના અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ માવઠાની હવામાન વિભાગની આગાહી છે. રાજ્યમાં ફરી માવઠાની આગાહીને લઈને ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે.
હવામાન વિભાગે 2 થી 4 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર, અરવલ્લી, દાહોદ અને મહિસાગર જિલ્લામાં છૂટા-છવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયમાં રાજ્યના ખેડૂતોનો પાક સુરક્ષિત રહે તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. વાદળ છાયા વાતાવરણ અને વરસાદને ધ્યાને લેતા ખેડૂતો દ્વારા પાક રક્ષણ માટે તકેદારીના પગલા લેવા ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે.
ખેડૂતો આ રાખો અગમચેતી
કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોએ ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક ધોરણે સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવો.
Also read : ગુજરાતીઓના સરેરાશ માસિક ખર્ચમાં 10 ટકાનો વધારો, હૉસ્પિટલ ખર્ચ 20 ટકા વધ્યો
પાકને ઢાંકીને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.
જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો.
ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવો.
APMCમાં પણ વેપારી અને ખેડૂતોએ આ બાબતની કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા
APMCમાં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા અને આ સમયગાળા પૂરતી વેચાણ અર્થે પેદાશો APMCમાં લાવવાની ટાળવી.