નાસિકમાં અજિત પવારના કાફલા પર કાંદા અને ટામેટાં ફેંકાયા: શરદ પવાર જૂથના કાર્યકર્તાઓની ધરપકડ
![Vani](https://bombaysamachar.com/wp-content/uploads/2023/10/Dhiraj-2023-10-07T152124.891.jpg)
નાસિક: શનિવારે જિલ્લાના પ્રવાસે આવેલ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના વાહનોના કાફલા પર દિંડોરી તાલુકાના વણીમાં કાંદા-ટામેટાં ફેંકવામાં આવતા ભાગદોડ મચી ગઇ હતી. રાષ્ટ્રવાદી કોંગ્રેસના શરદ પવાર જૂથના પદાધિકારી અને કાર્યકર્તાઓએ આ આંદોલન કર્યુ હતું. આંદોનકર્તાઓની પોલીસે ધરપકડ કરી હતી.
નાયબ મુખ્ય પ્રધાન બન્યા બાદ અજિત પવાર પહેલીવાર નાસિકના પ્રવાસે ગયા હતાં. પક્ષને મજબૂત કરવા દાદા દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. શનિવારે સવારે તેઓ ઓઝર એરપોર્ટ પર ઉતર્યા બાદ છગન ભુજબળ સહિત રાષ્ટ્રવાદીના સ્થાનિક નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. સત્તામાં સામેલ થતી વખતે સાથ આપનારા વિધાનસભ્યોના મતદાર સંઘમાં તેમના વિવિધ કાર્યક્રમો થનાર છે. આ કાર્યક્રમોમાં જતી વખતે વણીમાં આવેલ બિરસા મુંડા ચોકમાં શરદ પવાર જૂથના કાર્યકર્તાઓએ આંદોલન કર્યું હતું. જેની જાણકારી શરદ પવાર જૂથના જિલ્લાધ્યક્ષ કોંડાજીમામા આવ્હાડે આપી હતી. કેટલાંક દિવસોથી ટામેટાંને ભાવ નથી મળી રહ્યો. 20 કિલોના 60 થી 70 રુપિયાના ભાવે ખેડૂતોને ટામેટાં વેચવા પડ્યાં છે. બીજી બાજુ કાંદા પર 40 ટકા નિકાજ કર લગાવી દર ઓછા કરવા માટે ભાગ પાવામાં આવ્યો. સરકારની ખેડૂત વિરોધી નિતી ના વિરોધમાં આ આંદોલન કરવામાં આવ્યું હતું તેમ આવ્હાડે કહ્યું હતું.
ત્યારે આ મુદ્દે પોલીસ દોડતી ગઇ છે. છેલ્લાં એક-દોઢ મહિનાથી કાંદાનો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. નાયબ મુખ્ય પ્રધાનના પ્રવાસ દરમીયાન આવી કોઇ ઘટના બની શકે છે એની તરફ પોલીસનું ધ્યાન કેમ નહતું? એવો પ્રશ્ન અજિત પવારના સમર્થકો પૂછી રહ્યાં છે. ત્યારે આજના આખા દિવસના પ્રવાસ દરમીયાન અજિત પવારને ખેડૂતોના પ્રશ્નોનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ છે.