શ્રીનગર: જમ્મુ કશ્મીરમાં ફરી એકવાર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે. કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા બે મજૂરોની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ હુમલામાં અન્ય બે લોકો ઘાયલ થયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગુંડ વિસ્તારમાં ટનલ નિર્માણનું કામ કરી રહેલી ખાનગી કંપનીના પરપ્રાંતીય મજૂરોના કેમ્પ પર અચાનક આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. આ ઘટનામાં બે મજૂરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય બે મજૂરો ઘાયલ થયાના અહેવાલો મળી રહ્યા છે. આ હુમલો જે વિસ્તારમાં કરવામાં આવ્યો છે તે જમ્મુ કાશ્મીરના વર્તમાન મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાના વિધાનસભા ક્ષેત્રમાં આવે છે.
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર સેના અને અને જમ્મુ કાશ્મીર પોલિસ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
આ ઘટના પર જમ્મુ કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ દુઃખ કર્યું છે. તેમણે પોતાના X હેન્ડલ પર લખ્યું કે મજૂરો પર કરવામાં આવેલ કાયરતાભર્યાં હુમલાની હું નિંદા કરું છું. આતંકવાદી હુમલામાં બે મજૂરોના મોત થયા છે, જ્યારે અન્ય બેથી ત્રણ ઘાયલ છે. હું નિર્દોષ લોકો પર કરવામાં આવેલા હુમલાને વખોડી કાઢું છું અને તેમનાં પરિવારજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.