![Ram Charan seeks blessings at Siddhivinayak Temple in Mumbai after completing Ayyappa Deeksha](https://bombaysamachar.com/wp-content/uploads/2023/10/ram-charan-siddhivinayak-temple.webp)
મુંબઇઃ પ્રભાદેવી ખાતે આવેલું સિદ્ધિ વિનાયક મંદિર આપણા દેશના પ્રસિદ્ધ અને પૂજનીય મંદિરોમાં સ્થાન પામ્યું છે. અહીં અવારનવાર સેલિબ્રિટીઝ, ઉદ્યોગપતિઓ, રાજકીય નેતાઓ અને અન્ય મહાનુભાવો દર્શને આવતા હોય છે. અહીં સામાન્ય લોકોની સાથેો સાથે સેલિબ્રિટીઝનો પણ ભારે ધસારો રહેતો હોય છે.
આજે સવારે દક્ષિણના સુપર સ્ટાર રામ ચરણ મુંબઇના સિદ્ધિ વિનાયક મંદિરમાં જોવા મળ્યા હતા. તેઓ સવારે 8.15 કલાકે મંદિરમાં દર્શન માટે આવ્યા હતા. રામ ચરણ બ્લેક કલરના કુર્તા-પાયજામામાં સજ્જ હતા. તેમની સાથે તેમની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ હતી. તેઓ સિદ્ધિ વિનાયકના દર્શને આવ્યા ત્યારે મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી રાજારામ દેશમુખ અને નાયબ કાર્યકારી અધિકારી શ્રી સંદીપ રાઠોડે તેમનું સ્વાગત કર્યું હતું.
તેમને આછા વાદળી રંગની શાલ પહેરાવવામાં આવી હતી. જ્યારે તેઓ બહાર નીકળ્યા ત્યારે તેમના કપાળ પર ચંદન અને તિલક જોવા મળ્યા હતા.
રામ ચરણને સિદ્ધિ વિનાયક મંદિરમાં જોઇ લોકોએ તેમને ચારે બાજુએથી ઘેરી લીધા હતા. મીડિયાએ પણ તેમની સાથે વાત કરવાની કોશિશ કરી હતી, પરંતુ તેમણે માત્ર હાથ જોડીને વિદાય લીધી હતી.
રામ ચરણ ‘ગેમ ચેન્જર’માં કિયારા અડવાણી સાથે જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.