ઈન્ટરવલ

મગજ મંથન: માનવતાવાદ પર આધારિત છે ગાંધીજીની શિક્ષણની ફિલસૂફી…

મહાત્મા ગાંધી કહેતા કે ‘શિક્ષણ ત્યાં સુધી ઉપયોગી નથી,જ્યાં સુધી તે એક સારા નાગરિકનું નિર્માણ ના કરી શકે.’

-વિઠ્ઠલ વઘાસિયા

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – ૨૦૨૦નો અમલ થવા જઈ રહ્યો છે ત્યારે શિક્ષણની ફિલસૂફી વિશે શિક્ષણના પૂર્વ ફિલોસોફરમાંથી મહાત્મા ગાંધીજીની શિક્ષણ ફિલોસૂફીને આજે અહીં આ ૨ ઓકટોબર – ગાંધીજયંતી અવસરે જરૂર યાદ કરવી જોઈએ.

મહાત્મા ગાંધીના શિક્ષણ દર્શનમાં બાળકના આધ્યાત્મિક વિકાસ માટેના શિક્ષણ,સામાજિક વિકાસ માટેના શિક્ષણ,સ્વની શોધ માટેના શિક્ષણ, જીવનના અનુભવો માટેના શિક્ષણ જેવી પાયાની બાબતને સાંકળવામાં આવી છે.ટૂંકમાં ગાંધીજીનું શિક્ષણ દર્શન બાળકના સર્વાંગી વિકાસ માટેની એક સંપૂર્ણ દૃષ્ટિ છે.

ગાંધીજીએ કહ્યું હતું કે શિક્ષણ દ્વારા બાળકના શરીર,મન અને આત્મામાં રહેલા સર્વશ્રેષ્ઠ અંશને બહાર લાવી એનો સર્વાંગી વિકાસ કરી શકાય છે.સ્ત્રી અને પુરુષ કોઈપણ જાતના બંધન અને ભેદભાવ વગર શિક્ષણ મેળવવાને હકદાર છે. શિક્ષણનું કાર્ય બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓનો વિકાસ કરી એને પૂર્ણતાની કક્ષાએ લઈ જવાનું છે. શિક્ષણ ત્યાં સુધી ઉપયોગી નથી,જ્યાં સુધી તે એક સારા નાગરિકનું નિર્માણ ના કરી શકે,પછી ભલે ને એ છોકરો હોય કે છોકરી.શિક્ષણ દ્વારા સારા નાગરિકોનું નિર્માણ કરીને રાષ્ટ્રને વધુને વધુ શક્તિશાળી બનાવી શકાય છે.

ગાંધીજીનું શિક્ષણ દર્શન અહીં દર્શાવેલા હેતુને કેન્દ્રમાં રાખે છે:

આધ્યાત્મિક વિકાસ માટે શિક્ષણ:
સાચું શિક્ષણ એ છે જે બાળકોના બૌદ્ધિક,આધ્યાત્મિક અને ભૌતિક પાસાઓને ઉશ્કેરી પોતાની તરફ ખેંચે છે એટલે કે એવું શિક્ષણ જે બાળકોને પૂરા પાડવામાં આવતા તમામ અનુભવો એમના સર્વાંગી વિકાસ – શારીરિક,માનસિક,નૈતિક, સૌંદર્યલક્ષી અને ધાર્મિક જેવા વિવિધ પાસાઓને કેન્દ્રમાં રાખીને કાર્ય કરે.જ્ઞાનરૂપી પાત્ર દ્વારા અંતમાં મુક્તિ તરફ લઈ જવા માટે ગાંધીજીએ નૈતિક અને આધ્યાત્મિક શિક્ષણ પર ભાર મૂક્યો અને આ માટે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી, જેમાં સાહિત્યિક તાલીમની સાથે સાથે વૈજ્ઞાનિક સંશોધન,ભાષાશાસ્ત્રો,વ્યવસાયો,અંગ્રેજીનો અભ્યાસ,સંસ્કૃત અને લલિત કલાની તાલીમને પણ મહત્ત્વ આપવામાં આવે છે.જ્ઞાન જે મુક્તિ માટે રચાયેલ છે,તે સમાજને આધ્યાત્મિક સ્વતંત્રતા તરફ દોરી જાય છે.ગાંધીજી કહે છે, ‘શિક્ષણએ આત્માની જાગૃતિ છે.’

વિકાસશીલ સમાજ અને લોકશાહીના વિકાસ માટે શિક્ષણ:
ગાંધીજીના શિક્ષણના હેતુઓમાં બાળકોમાં શિક્ષણ દરમિયાન સહાનુભૂતિ,સેવા,પ્રેમ, ભાઈચારો,સમાનતા અને સ્વતંત્રતા જેવા ગુણોનું સિંચન કરી આદર્શ નાગરિક બનાવવાના હેતુને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે.ગાંધીજી કહે છે,‘વ્યક્તિગત અને રાષ્ટ્ર કલ્યાણ એકબીજાના પૂરક છે. તેથી એમનામાં વધુને વધુ લોકશાહી નાગરિકત્વના ગુણ વિકસાવવા જોઈએ, જેથી એક રાષ્ટ્રના નિર્માણ અને વિકાસમાં તેઓ ભાગીદાર બને.’

સામાજિકતા અને સર્વોદયના વિકાસ માટે ગાંધીજી કહે છે કે,શિક્ષણ દેશની જરૂરિયાતને પૂરી કરનાર હોવું જોઈએ. દેશ અને દેશની જરૂરિયાતોથી પરિચિત હોવાથી ગાંધીજી મફત અને હસ્તકળા કેન્દ્રિત શિક્ષણની હિમાયત કરે છે,કારણ કે ભારતનાં ગામડાઓના ગરીબ લોકો શિક્ષણ માટે નાણાં ચૂકવી શકે તેમ નથી એટલી એમના માટે હસ્તકલાનાં શિક્ષણ દ્વારા રોજીરોટી મેળવવાની તક ઊભી કરી શકે તેવું શિક્ષણ મહત્ત્વનું છે.આ ગાંધીજીની સામાજિક ફિલસૂફી તરીકે પણ ઓળખાય છે, જેમાં વ્યક્તિગત વિકાસ દ્વારા સર્વના વિકાસની બાબતને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.જાતિ,પંથ, જ્ઞાતિ અને રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના સર્વાંગી વિકાસનો ધ્યેય રાખવામાં આવેલ છે.સર્વોદય દ્વારા સામાજિક અનિષ્ટોનું રાજકીય,આર્થિક અને સામાજિક રીતે વિકેન્દ્રિકરણ કરવાની જરૂર છે. ગાંધીજીની શિક્ષણની ફિલસૂફી માનવતાવાદ પર આધારિત છે એમ કહી શકાય.

સ્વશોધ માટે શિક્ષણ:
સ્વશોધને મહત્ત્વ આપતા ગાંધીજી જણાવે છે કે
‘હું વ્યક્તિગત સ્વતંત્રતાની કદર કરું છું,પરંતુ માણસ જે સમાજમાંથી આવે છે એ સમાજની જરૂરિયાતો અને પ્રગતિ માટે એણે પોતાના વ્યક્તિત્વને સંતુલિત કરતા શીખીને પોતાની જાતને ઉપર લાવવી જોઈએ. ‘કોલેજના વિદ્યાર્થીઓને સંબોધતા એ કહે છે કે, ‘તમારું શિક્ષણ જીવનને લગતું હોય તો તેની સુગંધ જરૂર તેની આસપાસના યુવાનોમાં પ્રસરાવી જોઈએ.તમારે તમારા સમયનો થોડો ભાગ તમારી આસપાસ રહેતા લોકોની સેવા કરવામાં ખર્ચવો જોઈએ.એના માટે તમારે પાવડા,ઝાડુ અને ટોપલા લઈ તૈયાર થઈ જવું જોઈએ.આ પવિત્ર જગ્યાના સ્વચ્છ સફાઈ કામદાર બનવું જોઈએ.તે તમારા શિક્ષણનો સૌથી કિંમતી ભાગ હશે, નહીં કે સાહિત્યિક પુસ્તકોને ગોખવા.’

જીવન તથા અનુભવો માટે શિક્ષણ:
જીવન અનુભવોના શિક્ષણ માટે ગાંધીજી પાયાના શિક્ષણ અને વ્યવસાયિક શિક્ષણને પ્રાધાન્ય આપે છે.શિક્ષણ મેળવ્યા બાદ બાળક પોતાની જાતને સ્વનિર્ભર બનાવી શકે તે માટે ગાંધીજી કાર્ય શિક્ષણ અને માતૃભાષા દ્વારા શિક્ષણને મહત્ત્વ આપે છે. ગાંધીજીને મન માતૃભાષા એ માતાના ધાવણ સમાન છે. જે બાળકનું જીવન પોષણ કરે છે.જડ સમય પત્રક વિનાના શિક્ષણ દ્વારા શિક્ષણનો ભાર ઘટાડવાની વાત ગાંધીજી કહે છે.પ્રથમ સાત વર્ષ માટે મફત અને ફરજિયાત શિક્ષણની હિમાયત કરે છે.દેશમાં શાંત અને સામાજિક ક્રાંતિ લાવતા પાયાના શિક્ષણની વાત કરતા ગાંધીજી કહે છે કે ‘આના દ્વારા સામાજિક દૂષણથી ઘેરાયેલા સમાજમાં શહેર અને ગામડા તથા વિવિધ જાતિ વચ્ચેના વૈમનસ્યમાં ઘટાડો થશે અને નવા સંબંધો વિકસાવવામાં મદદરૂપ થશે.’

ગાંધીજી કાર્ય શિક્ષણ માટે જણાવે છે કે, ‘બાળકના શરીર,મન,અને આત્માનો સર્વાંગી વિકાસ કાર્ય શિક્ષણ દ્વારા થાય છે.તેના દ્વારા ઈતિહાસ,ભૂગોળ અને ગણિત જેવા વિષયોને કાર્ય શિક્ષણ સાથે સાંકળી સમવાયી શિક્ષણ દ્વારા બાળકમાં રહેલી શક્તિઓને બહાર લાવવાની છે.કાર્ય શિક્ષણમાં કાંતવું,સુથારીકામ,ખેતી, બાગાયત જેવા વિવિધ ગ્રામીણ કૌશલ્યોને મહત્ત્વના ગણાવ્યા છે.વ્યક્તિગત અને સામાજિક જરૂરિયાતો આધારિત, સ્થાનિક જરૂરિયાતો આધારિત,સ્થાનિક પરિસ્થિતિ આધારિત,બાળકના રસ, રુચિ અને વલણ આધારિત બિનખર્ચાળ અને સાદગી આધારિત અને બાળકોના સર્વાંગી વિકાસ આધારિત કાર્ય શિક્ષણ મનોવિજ્ઞાનિક સિદ્ધાંતો પર આધારિત પણ હોવું જોઈએ.’

આમ ગાંધીજીનું શિક્ષણ દર્શન એ માત્ર બાળકના સર્વાંગી વિકાસને જ કેન્દ્રમાં રાખતું નહોતું,પરંતુ તેને મેળવ્યા બાદ એને પોતાને સ્વનિર્ભર બની પોતાનું અને પોતાના પરિવારના ભરણપોષણમાં સહાયક બનવા માટે સક્ષમ બનાવનાર છે.બાળકમાં આત્મવિશ્ર્વાસ અને આત્મસન્માનની ભાવનાનો વિકાસ કરનાર છે.જે આજના સાંપ્રત સમયમાં ખૂબ જ જરૂરી પુરવાર થાય તેમ છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત