ઈન્ટરવલ

રી-રિલીઝ છે રોકડિયો પાક: વહેતી ગંગામાં હાથ ધોવા જૂની ફિલ્મો ફરી થિયેટરોમાં આવી રહી છે

કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી

ભારત કૃષિપ્રધાન દેશ છે. ખેતીના ક્ષેત્રમાં જે પાકના ઉત્પાદનની બજારમાં ખૂબ માંગ હોય તેવા પાક બજારમાં દાખલ થતાની સાથે જ ચપોચપ વેચાઇ જાય છે. ક્યારેક તો ઉત્પાદન પહેલા જ સોદો થઈ જાય છે. આવો પાક ‘રોકડિયો પાક’ તરીકે ઓળખાય છે. રોકડિયો પાક મોટેભાગે સારો નફો રળી આપતા હોય છે. કપાસ ભારતનો મહત્ત્વનો રોકડિયો પાક છે. ભારત કલાપ્રધાન દેશ છે કે કેમ એ વિશે મતમતાંતર હોઈ શકે છે,પણ સિનેમા નિર્માણ એ કલાની ખેતીનો જ એક હિસ્સો છે એવા મત સાથે ભાગ્યે જ કોઈ અસહમત થશે. આજકાલ સિને જગતમાં રી-રિલીઝ નામના રોકડિયા પાકની બોલબાલા જોવા મળી રહી છે. ખરીફ પાકને નુકસાન થયું હોય કે લઈ ન શકાયો હોય ત્યારે રોકડિયો પાક કિસાન માટે આવક ઊભી કરવાનું માધ્યમ બની જાય છે.

આ વર્ષના પહેલા ૮ મહિનામાં ફ્લોપ ફિલ્મોની સંખ્યા સડસડાટ આગળ વધી રહી છે અને છેલ્લા ત્રણ મહિનાનો બોક્સ ઓફિસ હિસાબ- કિતાબ કોઈ પણ કેશિયરને ચક્કર આવી જાય એવો છે. ‘મુંજ્યા’, ‘કલ્કિ ૨૮૯૮ એડી’ અને ‘સ્ત્રી- ૨’ તેમજ બીજા એકાદ બે અપવાદ બાદ કરતાં મોટાભાગની ફિલ્મો ફ્લોપ અથવા સુપરફ્લોપ સાબિત થઈ છે. પરિણામે અમુક થિયેટરમાં તો ક્યારેક પ્રેક્ષક કરતાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા વધુ છે! આ પરિસ્થિતિમાં રી -રિલીઝ ફિલ્મ આશ્ર્વાસન સાબિત થઈ રહી છે.

રી – રિલીઝ ફિલ્મોની યાદીમાં ઊડીને આંખે વળગતું નામ છે ૧૩ સપ્ટેમ્બરે રિલીઝ થનારી ‘તુમ્બાડ’નું. ૨૦૧૮માં આવેલી આ હોરર ફિલ્મને વિવેચકોએ બહુ જ વખાણી હતી, પણ બોક્સ ઓફિસ પર એનો પરફોર્મન્સ ઓકે રહ્યો હતો. માર્યાદિત બજેટ હોવા છતાં સારું વળતર મેળવવામાં એ નિષ્ફ્ળ રહી હતી. તાજેતરમાં બે હોરર ફિલ્મ (‘મુંજ્યા’ અને ‘સ્ત્રી-૨’)ને સિનેપ્રેમીઓનો મળેલો અફાટ પ્રેમને ધ્યાનમાં રાખી ‘તુમ્બાડ’ ફરી રિલીઝ ચોક્કસ ગણતરીથી કરવામાં આવી રહી છે. મોસમ હોરરની ચાલી રહી છે તો વહેતી ગંગામાં હાથ ધોઈ લેવાની ઈચ્છા થાય એ સ્વાભાવિક કહેવાય. ફિલ્મ માટે દર્શકોને આકર્ષણ થાય એ હેતુથી હોરર લુક આપી નવું પોસ્ટર પણ તૈયાર કરવામાં આવ્યું છે. ફિલ્મ ટ્રેડ રિપોર્ટ અનુસાર યશ ચોપડાની શાહરુખ ખાન, રાની મુખરજી અને પ્રીતિ ઝિન્ટાની ‘વીર ઝારા’ (૨૦૦૪), અનિલ કપૂર – માધુરીની ‘તેજાબ’ (૧૯૯૮) તેમજ સુભાષ ઘઈની અનિલ કપૂર, અક્ષય ખન્ના અને ઐશ્ર્વર્યા રાયની ‘તાલ’ (૧૯૯૯) અને ‘પરદેસ’ (૧૯૯૭) પણ ગણેશોત્સવ દરમિયાન થિયેટરમાં રી રિલીઝ કરવામાં આવશે.

૩૦ ઓગસ્ટે માધવનની ’રેહના હૈ તેરે દિલ મેં’ (૨૦૦૧) અને ‘ગેંગ ઓફ વાસેપુર’ (૨૦૧૨) રી- રિલીઝ કરવામાં આવી .

બીજી તરફ, ૩૧ ઓગસ્ટે રમેશ સિપ્પીની ૪૯ વર્ષ પહેલાની જડબાતોડ સફળ ફિલ્મ ’શોલે’નો એક શો રિગલ થિયેટરમાં રાખવામાં આવ્યો હતો. બપોરથી લાગેલી લાંબી લાઈન ‘મિનરવા’ થિયેટરના દિવસો યાદ કરાવનારી હતી. ટિકિટ માટેની લાઈનનો વીડિયો જોઈ જાવેદ અખ્તરે હસતા હસતા કહ્યું કે ‘સલીમ સાબ, બડી લંબી લાઈન હૈ. મતલબ અપની ફિલ્મ હિટ હૈ’.

જોકે, ‘શોલે’ના જય અમિતાભ બચ્ચનની કોમેન્ટ માર્મિક અને થોડામાં ઘણું કહી જાય એવી હતી. અમિતજીએ એમના બ્લોગ પર અંગ્રેજીમાં લખ્યું હતું કે ઠવજ્ઞ સક્ષજ્ઞૂત ૂવયવિંયિ વિંય જ્ઞહમ ૂફત લજ્ઞહમ જ્ઞિ વિંય લજ્ઞહમ બયભફળય જ્ઞહમ – જૂનું હતું એ સોનું હતું કે સોનું હવે જૂનું થઈ ગયું છે એ ખબર નથી. જૂની ફિલ્મો સોનાનો ચળકાટ ધરાવતી હતી કે હવેની ફિલ્મોમાં સોના જેવો ચળકાટ નથી રહ્યો એવો ઈશારો અમિતજી કરી રહ્યા હોય એવું લાગે છે.

આ વર્ષે અગાઉ ‘જબ વી મેટ’ (૨૦૦૭), ‘યે જવાની હૈ દીવાની’, (૨૦૧૩), ‘ચક દે ઈન્ડિયા’ (૨૦૦૭), ‘હમ આપકે હૈં કૌન (૧૯૯૪), ‘રોકસ્ટાર’ (૨૦૧૧) તેમજ ‘લૈલા મજનુ’ (૨૦૧૮) અને અન્ય કેટલીક ફિલ્મ રી રિલીઝ થઈ ચૂકી છે.

ફિલ્મ રી- રિલીઝ કરવા પાછળ મુખ્યત્વે બે કારણ હોય છે. એક, સૂના પડી ગયેલા થિયેટરમાં પ્રેક્ષકો આવ- જા કરતા થાય.થિયેટર માલિકને કમાણી કદાચ ન થાય, પણ કર્મચારીઓના પગાર તેમજ દૈનિક ખર્ચની રકમ નીકળે તોય ભયો ભયો અને પરિણામે આર્થિક બોજો હળવો થાય.

બીજું કારણ, પ્રથમ રિલીઝ વખતે આર્થિક નુકસાન થયું હોય તો રી- રિલીઝમાં નુકસાન ઓછું કરી શકાય અથવા ફિલ્મ ચાલી ગઈ તો બે પાંદડે પણ થઈ જવાય. રણબીર કપૂરની ‘રોકસ્ટાર’ રિલીઝ થઈ ત્યારે એવરેજ હિટ હતી પણ રી રિલીઝમાં સારો વકરો થયો હતો. આ વર્ષે નવી ફિલ્મના રિલીઝમાં આર્થિક ફટકો ખાઈ રહેલા ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર અને એક્ઝિબીટર માટે આ રી- રિલીઝ ફિલ્મો કમ સે કમ ઘા પર મલમપટ્ટીનું કામ તો કરે જ છે.

ત્રીજું કારણ ‘શોલે’ કે ’મૈંને પ્યાર કિયા’ જોવાથી વંચિત રહી ગયેલી આજની જનરેશનને એ જોવાનો લાભ આપવાનો પણ છે. જો એમને પસંદ પડે તો ફાયદા હી ફાયદા જ છે ને.

અમિતજી ને હોલીવૂડ
ફિલ્મ રી -રિલીઝ કરવાની આ પ્રથા કંઈ નવી નથી. ૧૯૭૦ – ૮૦ – ૯૦ના દાયકામાં ‘મધર ઈન્ડિયા’, ‘મુઘલ – એ – આઝમ’ સહિત કેટલીક ફિલ્મો પબ્લિક ડિમાન્ડથી ફરી પ્રદર્શિત કરવામાં આવી હતી.

આમાં અમિતજીનું ઉદાહરણ બેમિસાલ છે. અમિતાભ બચ્ચનની સફળતાનાં વહેણમાં હાથ ધોઈ લેવા ‘ઝંઝીર’ પહેલાની ‘બંધે હાથ’, ‘રાસ્તે કા પત્થર’, ‘સંજોગ’, ‘પ્યાર કી કહાની’ વગેરે ફ્લોપ ફિલ્મો ‘ઝંઝીર’ની સફળતા પછી રી- રિલીઝ કરવામાં આવી
હતી. મજાની વાત તો એ છે કે ‘બંધે હાથ’ના નવા પોસ્ટરમાં અમિતજીને મુમતાઝ કરતાં વધુ મહત્ત્વ આપવામાં આવ્યું હતું.
હોલીવૂડ પણ આ ટ્રેન્ડથી બાકાત નથી.

Show More

Related Articles

Back to top button
આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો… ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે? શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ?